આસામથી ગુજરાત સુધી તેલના કુવા છતાં તિજોરી કેમ ખાલી? શા માટે ભારત 85% તેલ વિદેશથી મંગાવે છે? જાણો આ પાછળનું રહસ્ય
ભારત પાસે ગુજરાતથી લઈને આસામ સુધી તેલના કુવાઓ છે. તેમ છતાંય આપણે 85% તેલ વિદેશથી કેમ મંગાવવું પડે છે? કેમ આપણે દર વર્ષે અબજો રૂપિયા બીજા દેશોને આપીએ છીએ? શું આપણા કુવાઓ ખાલી થઈ રહ્યા છે કે આની પાછળ કોઈ બીજું કારણ છે?

ભારતના નકશા પર નજર કરીએ તો, આસામના ડિગ્બોઈથી લઈને મુંબઈના દરિયાકાંઠા (મુંબઈ હાઈ) અને ગુજરાતના તટ સુધી તેલના કુવાઓ આવેલા છે. હવે આમ છતાંય, સામાન્ય માણસના મનમાં અવારનવાર એક સવાલ થાય છે કે, જ્યારે આપણી પાસે પોતાની જમીન અને દરિયામાં તેલ છે, તો પછી આપણે આરબ દેશો કે રશિયા સામે હાથ કેમ ફેલાવવા પડે છે? ભારત તેની જરૂરિયાતનું 85% કાચું તેલ (Crude Oil) વિદેશથી કેમ મંગાવે છે અને શું આપણા કુવાઓ સુકાઈ રહ્યા છે?

ભારતમાં કાચા તેલના ઉત્પાદનનો ઈતિહાસ ઘણો જૂનો છે પરંતુ સમસ્યા એ છે કે, વધતી જતી જરૂરિયાત સામે ઉત્પાદન ઘણું ઓછું છે. હાલમાં ભારત દુનિયાનો ત્રીજો સૌથી મોટો તેલ વપરાશકાર દેશ છે. રિફાઇનરીઓને ચલાવવા અને દેશના વાહનોના પૈડાં ફેરવવા માટે દરરોજ લાખો બેરલ તેલની જરૂર પડે છે. ભારતની પોતાની જમીન અને સમુદ્રમાંથી નીકળતું તેલ કુલ વપરાશનો માત્ર 15 થી 20 ટકા હિસ્સો જ પૂરો કરી શકે છે. આ જ કારણ છે કે, બાકીના 80 થી 85 ટકા હિસ્સા માટે આપણે વૈશ્વિક બજાર પર નિર્ભર રહેવું પડે છે.

એવું નથી કે, ભારતમાં તેલ શોધવાના પ્રયાસો નથી થઈ રહ્યા પરંતુ કાચા તેલની શોધ એ એક અત્યંત ખર્ચાળ અને અનિશ્ચિત પ્રક્રિયા છે. ભારતમાં ONGC અને ઓઇલ ઇન્ડિયા જેવી કંપનીઓ સતત નવા કુવાઓ ખોદી રહી છે પરંતુ નવા ભંડારો મળવાની ગતિ આપણી વપરાશ વધવાની ઝડપ કરતાં ઘણી ધીમી છે. મુંબઈ હાઈ જેવા જૂના તેલ ક્ષેત્રો હવે તેમની પરિપક્વતા (Maturity) ની ઉંમર વટાવી રહ્યા છે, જેના કારણે ત્યાંથી તેલ કાઢવાનો ખર્ચ વધી રહ્યો છે અને ઉત્પાદન ધીમે ધીમે ઘટી રહ્યું છે. જો કે, આની સરખામણીમાં ઈરાક કે સાઉદી અરેબિયા જેવા દેશોમાં તેલ કાઢવાનું કામ ઘણું સરળ અને સસ્તું પડે છે.

દરેક દેશની જમીનમાંથી નીકળતું કાચું તેલ એકસરખું હોતું નથી. કેટલુંક તેલ 'સ્વીટ' (ઓછું સલ્ફર ધરાવતું) હોય છે અને કેટલુંક 'સોર' (વધારે સલ્ફર ધરાવતું) હોય છે. ભારતની આધુનિક રિફાઇનરીઓ, જે હવે BS-VI માનકના પેટ્રોલ-ડીઝલ બનાવે છે, તેમને એક ખાસ પ્રકારના મિશ્રણની જરૂર હોય છે.

ઘણીવાર સ્થાનિક (ઘરેલું) તેલની ગુણવત્તા એવી હોતી નથી, જે ઉચ્ચ સ્તરના ઇંધણ બનાવવા માટે જરૂરી છે. આથી, રિફાઈનરી પોતાની ક્ષમતાનો પૂરો ઉપયોગ કરવા અને આંતરરાષ્ટ્રીય ધોરણનું ઇંધણ તૈયાર કરવા માટે વિદેશથી અલગ-અલગ ગ્રેડનું તેલ મંગાવે છે.

વિદેશી તેલ મંગાવવું એ માત્ર મજબૂરી નથી, ઘણીવાર તે મોટો આર્થિક ફાયદો પણ કરાવે છે. હાલના દિવસોમાં રશિયા-યુક્રેન યુદ્ધ દરમિયાન ભારતે રશિયા પાસેથી ભારે ડિસ્કાઉન્ટ પર તેલ ખરીદ્યું છે. એવામાં જ્યારે વિદેશી બજારમાં કાચું તેલ આપણને આપણા ઉત્પાદન ખર્ચ કરતાં ઓછી અથવા સ્પર્ધાત્મક કિંમતે મળે છે, ત્યારે તે દેશના અર્થતંત્ર અને વિદેશી મુદ્રા ભંડાર (Foreign Exchange Reserves) માટે વધુ સારું સાબિત થાય છે.

આ ઉપરાંત, ખાડી દેશો સાથે સારા સંબંધો જાળવી રાખવા અને પોતાની ઊર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પણ ભારતે વૈશ્વિક તેલ વ્યાપારનો હિસ્સો બની રહેવું પડે છે. ભારત જાણે છે કે, સંપૂર્ણપણે આયાત પર નિર્ભર રહેવું જોખમી છે, તેથી સરકાર 'સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ' એટલે કે કટોકટી માટે તેલનો સંગ્રહ કરી રહી છે. આ યોજના હેઠળ વિશાખાપટ્ટનમ અને મેંગલુરુ જેવી જગ્યાઓએ જમીનની નીચે વિશાળ ટેન્કોમાં તેલનો જથ્થો જમા કરવામાં આવ્યો છે, જે યુદ્ધ કે સપ્લાય અટકી જવા જેવી સ્થિતિમાં કામ આવે છે.

આ સાથે જ, સરકાર ઇથેનોલ બ્લેન્ડિંગ અને ઇલેક્ટ્રિક વાહનો પર ભાર આપી રહી છે, જેથી કાચા તેલના આયાત બિલમાં ઘટાડો કરી શકાય. બીજું કે, જ્યાં સુધી ભારત પોતાની ઊર્જા જરૂરિયાતો માટે વૈકલ્પિક રસ્તાઓ સંપૂર્ણપણે તૈયાર નહીં કરી લે, ત્યાં સુધી વિદેશી તેલ આપણી મજબૂરી બની રહેશે.
Breaking News : ‘સાવધાન, ક્યાંક તમે જ ન ભૂંસાઈ જાઓ !’ ટ્રમ્પની ધમકી સામે ઈરાને યાદ અપાવ્યો ઇતિહાસ
