દુનિયામાં મોટાભાગના લોકો કેમ છે ‘રાઇટ હેન્ડેડ’? વૈજ્ઞાનિકોએ જણાવ્યું મગજનું ચોંકાવનારું કનેક્શન!
શું તમે ક્યારેય વિચાર્યું છે કે દુનિયાની મોટાભાગની વસ્તુઓ જેમ કે કાતર, માઉસ કે ATM મશીન જમણા હાથના લોકો માટે જ કેમ બને છે? શા માટે આપણે ડાબા હાથ કરતાં જમણા હાથથી વધુ સરળતાથી કામ કરી શકીએ છીએ? વૈજ્ઞાનિકોએ આની પાછળ મગજ અને ઇન્સાનના ઇવોલ્યુશનની એક ચોંકાવનારી કહાની શોધી કાઢી છે.

વૈજ્ઞાનિકોના મતે, આપણો જમણો હાથ વધુ સક્રિય હોવા પાછળનું અસલી કારણ મગજની રચનામાં છુપાયેલું છે. માનવ મગજનો ડાબો ભાગ શરીરના જમણા હિસ્સાને કંટ્રોલ કરે છે. આ જ જૈવિક પ્રક્રિયા (Biological Process) ને કારણે દુનિયાના મોટાભાગના લોકો જમણા હાથે કામ કરવામાં વધુ કમ્ફર્ટેબલ અને સક્ષમ હોય છે.

સંશોધકોએ ચિમ્પાન્ઝી અને વાંદરાઓની વિવિધ પ્રજાતિઓ પર સ્ટડી કર્યો ત્યારે જાણવા મળ્યું કે, પ્રાણીઓ પોતાના બંને હાથનો લગભગ એકસરખો ઉપયોગ કરે છે. માત્ર મનુષ્ય જ એક એવું પ્રાણી છે જેમાં કોઈ એક હાથ (ખાસ કરીને જમણો હાથ) આટલો બધો એક્ટિવ હોય છે. આ જ બાબત આપણને અન્ય જીવોથી અલગ પાડે છે.

આ રહસ્યનો સંબંધ આપણા પૂર્વજો સાથે જોડાયેલો છે. લાખો વર્ષો પહેલાં જ્યારે મનુષ્યના પૂર્વજોએ ઝાડ પરથી ઉતરીને બે પગ પર ચાલવાનું શરૂ કર્યું, ત્યારે તેમના બંને હાથ અન્ય કામો માટે મુક્ત થઈ ગયા. આ ફેરફાર બાદ હાથોએ શિકાર કરવા, ઓજારો બનાવવા અને વસ્તુઓ પકડવા જેવા ખાસ કૌશલ્યો વિકસાવ્યા.

નિષ્ણાતોનું માનવું છે કે જો માનવો આજે પણ પ્રાણીઓની જેમ 4 પગે ચાલતો હોત, તો કદાચ ડાબા અને જમણા હાથનો આટલો મોટો તફાવત ક્યારેય ઊભો જ ન થયો હોત. 2 પગે ચાલવાના સંતુલનને કારણે જમણો હાથ ધીમે-ધીમે માનવ જીવનનો મુખ્ય અને વધુ મજબૂત હાથ બની ગયો.

આ કોઈ નવી આદત નથી પરંતુ લાખો વર્ષ જૂની ઉત્ક્રાંતિ છે. વૈજ્ઞાનિકોને મળેલા 18 લાખ વર્ષ જૂના માનવ અવશેષો અને પ્રાચીન ઓજારો પરથી સાબિત થયું છે કે આદિમાનવો પણ ખોરાક તૈયાર કરવા અને શિકાર કરવા માટે જમણા હાથનો જ વધુ ઉપયોગ કરતા હતા. આજે દુનિયાની આશરે 90% વસ્તી રાઇટ-હેન્ડેડ છે.

આપણી આસપાસની દુનિયા મોટાભાગે જમણા હાથના લોકોને ધ્યાનમાં રાખીને ડિઝાઈન કરવામાં આવી છે. કાતર, સ્કૂલની ડેસ્ક, કમ્પ્યુટર માઉસ, ATM મશીન, કિચન ટૂલ્સ અને મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ પણ જમણા હાથ મુજબ બને છે. જેના કારણે ડાબા હાથે કામ કરતા (Left-handed) લોકોને રોજિંદા જીવનમાં નાની-મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

ભૂતકાળમાં બાળકો જો ડાબા હાથે લખે, તો તેમને પરાણે જમણા હાથે લખવા માટે મજબૂર કરવામાં આવતા હતા. મનોવૈજ્ઞાનિકોના મતે, આવું કરવાથી બાળકના આત્મવિશ્વાસ પર ખૂબ જ ખરાબ અસર પડે છે. આ મગજની કુદરતી રચના છે, કોઈ ખોટી આદત નથી, તેથી બાળકને જે હાથે ફાવે તેમ લખવા દેવું જોઈએ.

આજના ડિજિટલ યુગમાં સ્માર્ટફોન પર ટાઈપિંગ, મોબાઈલ ગેમિંગ અને મલ્ટીટાસ્કિંગને કારણે લોકોના બંને હાથ સરખા વપરાવા લાગ્યા છે. આ આદત મગજને એક નવી રીતે ટ્રેન કરી રહી છે. નિષ્ણાતો માને છે કે ભવિષ્યમાં માણસોમાં બંને હાથ સરખી રીતે વાપરવાની ક્ષમતા વધી શકે છે, છતાં જમણા હાથનો દબદબો કાયમ રહેશે.
જીભ મોંના ઉપરના ભાગ પર કેમ ચોંટેલી રહે છે? 99% લોકોને નહીં ખબર હોય આ વસ્તુ.. તમે પણ ચેક કરો!, વાંચવા માટે અહીં ક્લિક કરો
