Kitchen Tips : હવે ડુંગળી કાપતી વખતે આંખમાંથી સહેજ પણ પાણી નહીં નીકળે, બસ આ પદ્ધતિ અપનાવો
ડુંગળી કાપવાની વાત સાંભળીને ઘણા લોકો હાથ ઉંચા કરી દે છે. આની પાછળનું કારણ એ જ છે કે, લોકોને ડુંગળી કાપતી વખતે રડવાનું ગમતું નથી. જો કે, કેટલીક સરળ પદ્ધતિઓનો ઉપયોગ કરીને તમે આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.

આંખોમાં બળતરા અને ડુંગળી કાપતી વખતે આંસુ આવે એ એક ખૂબ જ સામાન્ય સમસ્યા છે, જેનાથી લગભગ દરેક વ્યક્તિ પરેશાન છે. ડુંગળીમાં જોવા મળતા સિન-પ્રોપેનેથિયલ-એસ-ઓક્સાઇડ નામના રસાયણને કારણે આંસુ આવે છે, જે હવામાં ભળી જાય છે અને આંખોમાં પહોંચે છે. જણાવી દઈએ કે, આનાથી આંખમાં બળતરા થાય છે.

જો કે, હવે ડુંગળી કાપતી વખતે આંખમાંથી એક ટીપું પણ પાણી નહી નીકળે. કેટલીક સરળ અને અસરકારક રીતો થકી તમે કોઈપણ મુશ્કેલી વિના ડુંગળી ઝડપથી કાપી શકો છો અને તમને ખબર પણ નહીં પડે કે આ કામ ક્યારે પૂર્ણ થઈ ગયું.

ઠંડા પાણીનો જાદુ: જો તમે સૌથી સરળ અને અસરકારક પદ્ધતિ અપનાવવા માંગતા હોવ, તો ડુંગળીને કાપતા પહેલા તેને ઓછામાં ઓછી 15-30 મિનિટ માટે ઠંડા પાણીમાં પલાળી રાખો. જો તમે ઇચ્છો તો, તેને થોડા સમય માટે ફ્રીજમાં પણ રાખી શકો છો. ઠંડા તાપમાનમાં ડુંગળીમાં રહેલા રસાયણોની વરાળ ઓછી થાય છે, જેના કારણે હવામાં ઓછા રસાયણો ફેલાય છે અને તે આંખો સુધી પહોંચતા નથી.

ડુંગળીને પાણીની નીચે કાપો: આ સિવાય ડુંગળીને વહેતા પાણીની નીચે અથવા પાણીથી ભરેલા મોટા બાઉલમાં રાખીને કાપો. પાણી રસાયણને હવામાં ફેલાતું અટકાવે છે અને તેને પોતાનામાં ઓગાળી દે છે, જેના કારણે તે આંખો પર અસર કરતું નથી.

ધારદાર ચપ્પુ: તમારે ડુંગળી કાપતી વખતે હંમેશા ધારદાર ચપ્પુ વાપરવું જોઈએ. ચપ્પુ ડુંગળીને ચોકસાઈથી કાપે છે, જેના કારણે રસાયણો ઓછી માત્રામાં ફેલાય છે.

મીણબત્તી અથવા પંખાનો ઉપયોગ: હવામાં યોગ્ય પ્રવાહ હોય તો ડુંગળીમાંથી નીકળતા રસાયણો દૂર થઈ જાય છે. જ્યાં તમે ડુંગળી કાપો છો ત્યાં નજીક એક સળગતી મીણબત્તી મૂકો. મીણબત્તીની જ્યોત રસાયણોને પોતાની તરફ આકર્ષે છે અને તેમને બાળી નાખે છે. જો તમે ઇચ્છો તો, એક નાનો ટેબલ ફેન તમારાથી દૂર મૂકી રાખો, જેથી તે રસાયણોને આંખોથી દૂર ખસેડી દે.

ચશ્મા અથવા ગોગલ્સ પહેરો: સાંભળવામાં આ પદ્ધતિ થોડી વિચિત્ર લાગશે. જો કે, આ પદ્ધતિ જ સીધી અને અસરકારક છે. ડુંગળી કાપતી વખતે તમે સામાન્ય ચશ્મા, સ્વિમિંગ ગોગલ્સ અથવા ખાસ "ડુંગળી કાપવાના ગોગલ્સ" પહેરી શકો છો. આ તમારી આંખો અને હવામાં હાજર રહેલ રસાયણો વચ્ચે અવરોધ બનાવે છે, જેના કારણે રસાયણો તમારી આંખો સુધી પહોંચી શકતા નથી.
અસ્વીકરણ: આ લેખમાં કરવામાં આવેલા દાવાઓ ઇન્ટરનેટ પર ઉપલબ્ધ માહિતીના આધારે રજૂ કરવામાં આવ્યા છે. TV9 Gujarati આ માહિતીની ખાતરી કરતું નથી.
સ્વાસ્થ્યના વધારે ન્યૂઝ વાંચવા માટે અહીં ક્લિક કરો. સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આનાથી તમે તમારી જાતને ઘણી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓથી પણ બચાવી શકો છો.
