તુર્કીના ભૂકંપથી લઈને બિપરજોય વાવાઝોડું…આ છે વર્ષ 2023ની સૌથી ભયંકર કુદરતી આફતો
વર્ષ 2023માં વિશ્વએ ઘણી ભયાનક કુદરતી આફતો જોઈ. જેમાં તુર્કી-સીરિયામાં આવેલા વિનાશક ભૂકંપથી લઈને લિબિયામાં આવેલા પૂરે મોટાપાયે વિનાશ વેર્યો હતો. આ કુદરતી આફતોમાં સેંકડો લોકોના જીવ ગયા હતા. આજે અમે તમને વર્ષ 2023માં આવેલી કુદરતી આફતોમાંથી સૌથી ભયંકર ઘટનાઓ વિશે જણાવીશું, જે કાયમ માટે ઈતિહાસમાં નોંધાઈ ગઈ છે.

તુર્કી-સીરિયામાં ભૂકંપ : 6 ફેબ્રુઆરી 2023ના રોજ દક્ષિણ પૂર્વ તુર્કી અને સીરિયામાં 7.8 તીવ્રતાનો ભૂકંપ અને ત્યારબાદ 7.6 તીવ્રતાનો બીજો ભૂકંપ આવ્યો હતો. આ ઘટના ભયંકર હતી કે જ્યાં ઇમારતો હતી ત્યાં માત્ર કાટમાળ જ દેખાઈ રહ્યો હતો. આ કુદરતી આફતમાં 50,000થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા અને હજારો લોકો બેઘર બન્યા હતા. આ ભૂકંપમાં તુર્કીના 10 શહેરો તબાહ થઈ ગયા હતા અને 11 હજારથી વધુ નાની-મોટી ઈમારતો ધરાશાયી થઈ હતી.

લિબિયામાં પૂર : 10 સપ્ટેમ્બર 2023ના રોજ લિબિયામાં ડેનિયલ વાવાઝોડું ત્રાટક્યું હતું. જેના કારણે ભારે પવન સાથે ભારે વરસાદ પડતાં ડર્નાના બે ડેમ તૂટી ગયા હતા. આ ડેમ તૂટવાથી જે તબાહી સર્જાઈ છે તેની કોઈએ કલ્પના પણ કરી ન હતી. લિબિયન રેડ ક્રેસન્ટના આંકડા અનુસાર, ડર્નામાં 11,300 લોકો માર્યા ગયા હતા અને 10,000થી વધુ લોકો લાપતા થયા હતા.

મોરોક્કો ભૂકંપ : મોરોક્કોમાં 9 સપ્ટેમ્બર, 2023ના રોજ મોડી રાત્રે 6.8 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેમાં 2,900થી વધુ લોકો માર્યા ગયા હતા અને 2,059 લોકો ઘાયલ થયા. આ આંકડો મોરોક્કોના ગૃહ મંત્રાલયે આપ્યો હતો. મંત્રાલયના જણાવ્યા અનુસાર, અલ-હૌઝ પ્રાંતમાં સૌથી વધુ 1,293 લોકોના મોત થયા હતા.

હિમાચલ પ્રદેશ ભૂસ્ખલન : વર્ષ 2023ના જુલાઈ-ઓગસ્ટ મહિનામાં હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદના કારણે રાજ્યમાં ભયંકર પૂરની સ્થિતિ સર્જાઈ હતી. આવી ભયંકર તબાહી રાજ્યના લોકોએ ઈતિહાસમાં પહેલીવાર જોઈ હતી. ભારે વરસાદ પછી પૂર અને ભૂસ્ખલનને કારણે રાજ્યમાં 500થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા.

હવાઈના જંગલમાં આગ : ઓગસ્ટ 2023માં અમેરિકાના જંગલમાં ઇતિહાસમાં સૌથી ભયંકર આગ લાગી હતી. આ આગમાં જીવ ગુમાવનારા લોકોની સંખ્યા 100ની આસપાસ હતી. સદીઓ જૂના લાહૈના શહેરમાં આગ લાગી હતી અને ત્યારબાદ આસપાસના વિસ્તારોમાં આગ લાગી હતી. આગના કારણે લગભગ 2,200 ઇમારતોને નુકસાન થયું હતું, જેમાંથી 86 ટકા રહેણાંક ઇમારતો હતી. અંદાજે 6 બિલિયન યુએસ ડોલરનું નુકસાન થયું હતું.

બિપરજોય વાવાઝોડું : ચક્રવાત બિપરજોયે આ વર્ષે જૂનની શરૂઆતમાં ગુજરાતમાં તબાહી મચાવી હતી, બિપરજોય વર્ષ 1977 પછી ઉત્તર હિંદ મહાસાગરમાં સૌથી લાંબુ સક્રિય ચક્રવાતી તોફાન હતું. ચક્રવાત બિપરજોયએ ભારત અને પાકિસ્તાનને અસર કરી હતી, જેના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાંથી 1,80,000થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. આ વાવાઝોડું અરબી સમુદ્રમાં કુલ 13 દિવસ અને ત્રણ કલાક સુધી સક્રિય રહ્યું હતું. (Image : ANI, PTI, AFP)
