World Stroke Day : 10 માંથી 4 સ્ટ્રોક પેશન્ટ 50 વર્ષથી ઓછી ઉંમરના ! નિષ્ણાતોએ ચિંતા વ્યક્ત કરી
'વર્લ્ડ સ્ટ્રોક ડે', જેનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને સ્ટ્રોકના જોખમો અને નિવારણ વિશે જાગૃત કરવાનો છે. પહેલાં એવું માનવામાં આવતું હતું કે સ્ટ્રોક ફક્ત મોટી ઉંમરના લોકોને જ આવે છે, પરંતુ આધુનિક જીવનશૈલીના કારણે હવે યુવાનોમાં પણ સ્ટ્રોકના કિસ્સાઓ ઝડપથી વધી રહ્યા છે. તેના વિશે નિષ્ણાતોએ શું કહ્યું જાણો વિગતે.

વર્લ્ડ સ્ટ્રોક ડે નિમિત્તે હેલ્થ એક્સપર્ટ્સે 50 વર્ષથી ઓછી ઉંમરના વ્યક્તિઓમાં સ્ટ્રોકના વધતાં કેસના ચિંતાજનક ટ્રેન્ડ પ્રત્યે ધ્યાન આકર્ષિત કર્યું છે.નિષ્ણાતોનું કહેવું છે કે પ્રત્યેક 10માંથી 4 દર્દીઓની ઉંમર 50 વર્ષથી નીચેની હોય છે. નેશનલ સેન્ટર ફોર ડિસીઝ ઇન્ફોર્મેટિક્સ એન્ડ રિસર્ચ (NCDIR) ના ડેટા મુજબ, ભારતમાં દર વર્ષે 1.6 મિલિયનથી વધુ નવા સ્ટ્રોકના કેસ નોંધાયા છે.

એક સમયે વૃદ્ધોને પ્રભાવિત કરતી બિમારી તરીકે ઓળખાતા સ્ટ્રોક હવે યુવાનો પણ અસર કરે છે, જેનું મુખ્ય કારણ જીવનશૈલી સંબંધિત પરિબળો છે. બેઠાડી જીવનશૈલી, હાઇ કોલેસ્ટ્રોલ, ડાયાબિટિસ, હાઇપરટેન્શન અને સ્ટ્રેસ પ્રમુખ કારણો છે. આહારમાં બદલાવ, શારીરિક પ્રવૃત્તિઓનો અભાવ, ધુમ્રપાન અને આલ્કોહોલનું સેવન સ્ટ્રોકના જોખમમાં વધારો કરે છે.

ડૉક્ટરના જણાવ્યા મુજબ લાંબાગાળાના નુકશાનને ઘટાડવા માટે સમય સૌથી મહત્વપૂર્ણ પરિબળ છે તેમજ સ્ટ્રોકના લક્ષણોની વહેલી ઓળખ કરવાથી વ્યક્તિનું જીવન બચાવી શકાય છે. તેના લક્ષણનું એક સંક્ષિપ્ત નામ BEFAST છે, જે યાદ રાખવાની એકદમ સરળ રીત છે. B- બેલેન્સ – અચાનક સંતુલન ગુમાવવું, E – આંખોમાં ઝાંખપ આવવી, F – ચહેરાની એકબાજુ ઝુકી જવી, A – હાથ – એક હાથમાં નબળાઇ અથવા નિષ્ક્રિયતા, S – સ્પીચ – બોલવામાં તકલીફ પડવી, T (ટાઇમ) – તાત્કાલિક તબીબી મદદ લો. જો આમાંથી કોઇપણ લક્ષણ અનુભવાય, તો વિલંબ કર્યાં વગર નજીકના સ્ટ્રોક-રેડી હોસ્પિટલમાં જવું જોઇએ.

અપોલો હોસ્પિટલ, અમદાવાદના ઇન્ટરવેન્શનલ ન્યુરોલોજીસ્ટ ડો. દેવાશીષ વ્યાસે જણાવ્યું કે, “સ્ટ્રોકની સારવાર શક્ય છે અને વહેલી મેડિકલ કેર રિકવરીમાં નોંધપાત્ર સુધારો કરી શકે છે. સ્ટ્રોક કોઇપણ ઉંમરના વ્યક્તિને આવી શકે છે અને જો તમને લક્ષણો અનુભવાય તો તાત્કાલિક ધોરણે સ્ટ્રોક-રેડી હોસ્પિટલ જવું જોઇએ.

ડૉ. વ્યાસે સ્ટ્રોકની સારવારમાં “ગોલ્ડન અવર”ની મહત્વતા ઉપર ભાર મૂક્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, સ્ટ્રોક આવ્યાં બાદ પ્રથમ 60 મિનિટ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ “ગોલ્ડન અવર”માં ક્લોટને રોકતી દવાઓ અને મિકેનિકલ થ્રોમ્બેક્ટોમી જેવી સારવાર લોહીને પ્રવાહને પુનઃસ્થાપિત કરવામાં તેમજ મગજને નુકશાન ઘટાડવામાં કારગર નિવડે છે.

અપોલો હોસ્પિટલ, અમદાવાદના સિનિયર કન્સલ્ટન્ટ ન્યુરોલોજીસ્ટ ડૉ. સુચેતા મુદગેરિકર જણાવ્યું કે, “હવે સમય બદલાયો છે અને સ્ટ્રોકમાં હવે આશા રાખવી એક માત્ર પરિબળ નથી. આજે, પ્રભાવી સારવાર ઉપલબ્ધ છે, જે દર્દીને રિકવર થવામાં અને દૈનિક જીવનમાં પરત ફરવામાં મદદ કરે છે. આ સારવારથી દર્દી રિકવરી પ્રાપ્ત કરીને રોજિંદી કામ ફરીથી શરૂ કરવા સક્ષમ બને છે. વહેલા હસ્તક્ષેપથી ખરા અર્થમાં સારા પરિણામો મળી શકે છે.”

સ્ટ્રોકની સારવારના વિકલ્પો અસરકારક હોવાની સાથે-સાથે તેનાથી બચવા માટે પ્રિવેન્શન પણ સૌથી પ્રભાવી પરિબળ છે. વર્લ્ડ સ્ટ્રોક ડે આપણને જાગૃકતા, પ્રિવેન્શન અને સમયસર પગલા ભરવાની યાદ અપાવે છે, જેનાથી રિકવરી અને લાંબાગાળાની અક્ષમતા વચ્ચે અંતર પેદા કરી શકાય છે. સ્વાસ્થ્ય અધિકારીઓ લોકોને જોખમી પરિબળો સમજવા, વહેલા લક્ષણોની ઓળખ કરવા તથા જરૂર પડ્યે તાત્કાલિક સારવાર માટે લોકોને પ્રોત્સાહિત કરે છે.
સ્વાસ્થ્યના વધારે ન્યૂઝ વાંચવા માટે અહીં ક્લિક કરો. સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આનાથી તમે તમારી જાતને ઘણી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓથી પણ બચાવી શકો છો.
