કાનુની સવાલ : સુપ્રીમ કોર્ટનો મહત્વનો નિર્ણય માત્ર સર્ટિફિકેટથી પતિ-પત્ની નહી બની શકો, ધાર્મિક વિધિઓ વિનાનું મેરેજ સર્ટિફિકેટ નકામું
સુપ્રીમ કોર્ટે હિંદુ લગ્નને લઈ એક મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે.આ નિર્ણયમાં, સુપ્રીમ કોર્ટે 1955ના હિન્દુ લગ્ન અધિનિયમ હેઠળ હિન્દુ લગ્નોની કાનૂની જરૂરિયાતો અને પવિત્રતા સ્પષ્ટ કરી છે. કોર્ટે જણાવ્યું હતું કે ,ધાર્મિક વિધિઓ અને સાત ફેરા વિનાના લગ્ન માન્ય નથી.

હિન્દુ લગ્ન એક સંસ્કાર છે. જેને હિન્દુ લગ્ન એક્ટ 1955 હેઠળ ત્યાં સુધી માન્યતા ન આપવામાં આવી શકે. જ્યાં સુધી લગ્ન રીતિ રિવાજ તેમજ વિધિઓ સાથે કરવામાં આવતું નથી. સુપ્રીમ કોર્ટે ભારપૂર્વક જણાવ્યું હતું કે હિન્દુ લગ્ન કાયદા હેઠળ માન્ય લગ્ન માટે માત્ર લગ્ન પ્રમાણપત્ર પૂરતું નથી.

આ એક સંસ્કાર છે. જેને ભારતીય સમાજમાં મુખ્ય સ્થાન આપવામાં આવ્યું છે. જસ્ટિસ બીવી નાગરત્ના અને જસ્ટિસ ઓગસ્ટીન જૉર્જ મસીની પીઠે 19 એપ્રિલના રોજ આ વિશે એક મહત્વનો આદેશ આપ્યો હતો. પીઠે યુવક-યુવતીઓને લગ્ન કરતા પહેલા લગ્ન સમારંભ વિશે ઊંડાણપૂર્વક વિચાર કરવા અને ભારતીય સમાજમાં તે કેટલું પવિત્ર છે તે અંગે સમજવા વિનંતી કરી.

સુપ્રીમ કોર્ટે યાદ અપાવ્યું કે, હિન્દુ લગ્ન "ડાન્સ, ગીત, ભોજન સમારંભ અથવા દહેજ અને ભેટોની માંગણી જેવા અયોગ્ય દબાણ" માટેના પ્રસંગો નથી. આવી કોઈપણ ફરિયાદ ફોજદારી કાર્યવાહીમાં પરિણમી શકે છે. બેન્ચે વધુમાં જણાવ્યું હતું કે લગ્નનો હેતુ વ્યાપારી વ્યવહાર નથી. તે એક પવિત્ર વિધિ છે જે એક પુરુષ અને સ્ત્રી વચ્ચે જોડાણ સ્થાપિત કરવા માટે કરવામાં આવે છે. આ વિધિમાં, યુવક અને યુવતી ભાવિ પરિવાર માટે પતિ અને પત્નીનો દરજ્જો ધારણ કરે છે, જે ભારતીય સમાજનું મૂળભૂત એકમ છે.

પીઠે આગળ કહ્યું કે, હિંદુ લગ્ન વિવાહ સંતાનોત્પતિને સુગમ બનાવે છે. પરિવારની યુનિટને મજબુત કરે છે. આ વિભન્ન સમુદાયો વચ્ચે ભાઈચારાની ભાવનાને મજબુત કરે છે. આ લગ્ન પવિત્ર છે કારણ કે,આ 2 વ્યક્તિઓ વચ્ચે આજીવન, ગરિમાપૂર્ણ, સમાન, સહમતિપૂર્ણ અને સ્વસ્થ મિલન પુરુ પાડે છે.

આ એક એવી ઘટના માનવામાં આવે છે. જે વ્યક્તિને મોક્ષ આપે છે. ખાસ કરીને સંસ્કાર અને સમારોહ આયોજિત કરવામાં આવે છે. હિંદુ લગ્ન અધિનિમની જોગવાઈઓ પર વિચાર કરતા પીઠે કહ્યું કે, જ્યાં સુધી લગ્ન યોગ્ય વિધિઓ અને વિધિઓ સાથે પૂર્ણ ન થાય ત્યાં સુધી, કાયદાની કલમ 7(1) મુજબ તેને 'ગૌરવપૂર્ણ' કહી શકાય નહીં.

કોર્ટે આગળ કહ્યું કે, કલમ 7ની પેટા કલમ (2) જણાવે છે કે, આવા સંસ્કારો અને વિધિઓમાં સપ્તપદીનો સમાવેશ થાય છે, એટલે કે, કન્યા અને વરરાજા દ્વારા પવિત્ર અગ્નિની આસપાસ સંયુક્ત રીતે લેવામાં આવતા સાત ફેરા. સાતમું પગલું ભર્યા પછી લગ્ન પૂર્ણ માનવામાં આવે છે. તેથી, હિન્દુ લગ્ન સમારંભમાં જરૂરી વિધિઓ લાગુ રિવાજો અનુસાર હાથ ધરવામાં આવવી જોઈએ, જેમાં સપ્તપદી સમારંભનો સમાવેશ થાય છે, જ્યાં નવદંપતીઓ સાત ફેરા કરે છે.

સુપ્રીમ કોર્ટે એક મહિલાની અરજી પર સુનાવણી કરી હતી. જે છૂટાછેડાની અરજી હતી.જ્યારે અરજી પેન્ડિંગ હતી, ત્યારે મહિલા અને તેના ભૂતપૂર્વ જીવનસાથીએ બંધારણની કલમ 142 હેઠળ સંયુક્ત અરજી દાખલ કરીને વિવાદનો ઉકેલ લાવવાનો નિર્ણય લીધો. બંને પાઇલટ છે. આ દંપતીની સગાઈ 7 માર્ચ, 2021ના રોજ થઈ હતી અને તેમણે દાવો કર્યો હતો કે તેમના લગ્ન 7 જુલાઈ, 2021 ના રોજ થયા હતા.

તેમણે વૈદિક જનકલ્યાણ સમિતિ પાસેથી લગ્નનું પ્રમાણપત્ર પણ મેળવ્યું હતું. આ પ્રમાણપત્રના આધારે, તેમણે ઉત્તર પ્રદેશ લગ્ન નોંધણી નિયમો, 2017 હેઠળ લગ્નનું પ્રમાણપત્ર મેળવ્યું હતું.

કોર્ટે 'હિન્દુ લગ્ન'ના પુરાવા તરીકે વૈદિક જનકલ્યાણ સમિતિ દ્વારા જાહેર કરાયેલ પ્રમાણપત્ર અને ઉત્તર પ્રદેશ નોંધણી નિયમો, 2017 હેઠળ જાહેર કરાયેલ 'લગ્ન પ્રમાણપત્ર'ને અમાન્ય જાહેર કર્યું. બેન્ચે કહ્યું કે જો કલમ 7 મુજબ લગ્ન થયા નથી, તો નોંધાયેલા લગ્નને પણ માન્યતા આપવામાં આવશે નહીં.

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- Canva)
કાયદો એ નિયમોનો સમૂહ છે. જેને સમુદાય દ્વારા માન્ય તરીકે સ્વીકારવામાં આવે છે. કાયદો દેશના વહીવટ માટે નૈતિક માર્ગદર્શક તરીકે પણ કાર્ય કરે છે. કાયદો એ માનવ વર્તન અને ક્રિયાઓનું નિયમન કરવાની એક પદ્ધતિ છે. અહી ક્લિક કરો
