ભારતીય રેલવે લાવી રહ્યું છે ‘ગજરાજ સુરક્ષા’, જાણો આ AI ટેક્નોલોજી વિશે
ભારતીય રેલ્વે દ્વારા દરરોજ લાખો લોકો મુસાફરી કરે છે. તમને જણાવી દઈએ કે ભારતીય રેલ્વેના ઘણા ટ્રેક એવા સ્થળો પરથી પસાર થાય છે જ્યાં હાથીઓની વસ્તી ઘણી વધારે હોય છે અને ઘણીવાર હાથીઓ રેલ્વે ટ્રેક પર આવી જાય છે. કેટલીકવાર અકસ્માતને કારણે તેમનો જીવ પણ જતો હોય છે. આ સમસ્યાના સમાધાન માટે ભારતીય રેલવેએ એક નવી પહેલ કરી છે.

ભારતીય રેલ્વેએ સોફ્ટવેર "ગજરાજ સુરક્ષા" ઇન્સ્ટોલ કરવાની પહેલ શરૂ કરી છે જેથી હાથીઓને પાટા ઓળંગતી વખતે ટ્રેનની અડફેટે આવતાં બચાવી શકાય. આપણે જાણીએ છીએ કે રેલવે એ ભારતમાં પરિવહનનું મુખ્ય માધ્યમ છે.

સરકારી આંકડાઓ અનુસાર, દર વર્ષે સરેરાશ 20 હાથીઓ ટ્રેનની અડફેટે આવીને મૃત્યુ પામે છે. આવી સ્થિતિમાં AI આધારિત સોફ્ટવેર ગજરાજ હાથીઓની સુરક્ષામાં મહત્વની ભૂમિકા ભજવશે. આવી સ્થિતિમાં રેલ્વેની સુરક્ષાને દરેક રીતે સુનિશ્ચિત કરવાની જવાબદારી રેલ્વે મંત્રાલયની છે.

તેને ધ્યાનમાં રાખીને ગજરાજ સોફ્ટવેર લોન્ચ કરવામાં આવ્યું છે. રેલ્વે મંત્રીએ કહ્યું કે ગજરાજ સોફ્ટવેર એક આર્મર સિસ્ટમની જેમ કામ કરે છે અને રેલ્વે ટ્રેક પર હાથીઓની ગતિવિધિ વિશે ટ્રેન ડ્રાઈવરને અગાઉથી જ માહિતી આપે છે. જેના કારણે હાથીઓને ટ્રેનની અડફેટે આવતા અટકાવી શકાય છે. જ્યારે આ AI ટેક્નોલોજી તેના નિર્ધારિત વિસ્તારમાં હાથીઓની હિલચાલને કારણે થતા વાઇબ્રેશનને અનુભવે છે, ત્યારે તે નજીકના સ્ટેશન માસ્ટરને એલાર્મ દ્વારા એલર્ટ કરશે.

આ પછી સ્ટેશન માસ્ટર ત્યાંથી પસાર થતી ટ્રેનના ડ્રાઈવરને એલર્ટ કરશે. આ ટેક્નોલોજી OFC લાઇનમાં સેન્સરની મદદથી કામ કરશે. ભારતીય રેલ્વે અનુસાર, આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેક્નોલોજી હાથીઓ સાથે સંકળાયેલા 99.5% અકસ્માતોને અટકાવશે. આ ટેક્નોલોજી સેટ-અપ સિગ્નલના ઝડપી ટ્રાન્સફર માટે ઓપ્ટિકલ ફાઈબર કેબલ ધરાવે છે. એટલે કે તે હાથીઓના વાઇબ્રેશનથી મળતા સિગ્નલને શોધી કાઢશે અને તે મુજબ સ્ટેશન માસ્ટરને એલર્ટ આપશે.

કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે આ AI આધારિત સિસ્ટમ પ્રથમ તબક્કામાં તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, ઝારખંડ, આસામ, કેરળ અને છત્તીસગઢ રાજ્યોમાં તૈનાત કરવામાં આવશે. રેલ્વેના જણાવ્યા અનુસાર, આ ટેક્નોલોજી આ વિસ્તારોમાં 700 કિલોમીટરથી વધુ રેલ્વે પર લગાવવામાં આવશે.