Swimming pool eye safety tips: શું તમે પણ ઉનાળામાં સ્વિમિંગ પૂલમાં ડૂબકી લગાવો છો? આ ભૂલ છીનવી શકે છે તમારી આંખોની રોશની
ગરમીથી રાહત મેળવવા માટે સ્વિમિંગ પૂલ અને વોટર પાર્ક લોકોની પહેલી પસંદ છે. પરંતુ શું તમે જાણો છો કે પૂલનું ક્લોરિનયુક્ત પાણી તમારી આંખો માટે કેટલું ખતરનાક સાબિત થઈ શકે છે? સ્વિમિંગ કરતા પહેલા આંખોની સુરક્ષા સાથે જોડાયેલી આ ખાસ વાતો જાણી લેવી ખૂબ જરૂરી છે.

ઉનાળાની શરૂઆત થતા જ લોકો ઠંડક મેળવવા માટે સ્વિમિંગ પૂલ તરફ દોડે છે. મસ્તી અને આનંદ વચ્ચે આપણે ઘણીવાર આપણી આંખોની સુરક્ષાને નજરઅંદાજ કરી દઈએ છીએ. નિષ્ણાતોના મતે ભલે પૂલનું પાણી ઉપરથી સાફ દેખાતું હોય પરંતુ તે તમારી આંખોના કુદરતી સુરક્ષા સ્તરને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે.

પૂલનું પાણી કેમ છે જોખમી?: સ્વિમિંગ પૂલને સાફ રાખવા માટે ક્લોરિન અને અન્ય કેમિકલ્સનો ઉપયોગ કરવામાં આવે છે. આ તત્વો કીટાણુઓને તો મારે છે પણ સાથે જ આંખોમાં રહેલા ભેજને શોષી લે છે જેનાથી આંખોમાં બળતરા ડ્રાયનેસ અને ક્યારેક ધૂંધળું દેખાવાની સમસ્યા થઈ શકે છે. જો પાણીનું પીએચ લેવલ યોગ્ય ન હોય તો કોર્નિયામાં ઈજા થવાનું જોખમ પણ વધી જાય છે.

કોન્ટેક્ટ લેન્સ પહેરનારાઓ ખાસ ચેતજો: નેત્ર રોગ નિષ્ણાતોના મતે સ્વિમિંગ દરમિયાન કોન્ટેક્ટ લેન્સ પહેરવા સૌથી વધુ ખતરનાક છે. પાણીમાં રહેલા સૂક્ષ્મ બેક્ટેરિયા કે અમીબા લેન્સ પર ચોંટી જાય છે અને આંખોમાં ફસાઈ જાય છે. આનાથી ગંભીર ઇન્ફેક્શન કે કન્જક્ટિવાઈટિસ થવાનું જોખમ અનેકગણું વધી જાય છે. તેથી સ્વિમિંગ કરતા પહેલા હંમેશા લેન્સ કાઢી નાખવા અથવા વોટરપ્રૂફ ગોગલ્સનો ઉપયોગ કરવો હિતાવહ છે.

ભીડભાડવાળા પૂલમાં વધુ જોખમ: નિષ્ણાના જણાવ્યા મુજબ જ્યાં વધુ લોકો નાહતા હોય તેવા પૂલમાં બેક્ટેરિયા ફંગસ અને વાયરસ ફેલાવાની શક્યતા વધુ હોય છે. જો પૂલની સફાઈમાં જરા પણ કચાસ હોય તો આંખોમાં લાલાશ ખંજવાળ અને સતત પાણી આવવા જેવી સમસ્યાઓ થઈ શકે છે. ખાસ કરીને બાળકો વૃદ્ધો અને જેમને પહેલેથી જ આંખની એલર્જી હોય તેમણે વધુ સાવધ રહેવું જોઈએ.

આંખોને બચાવવા શું કરવું?: સ્વિમિંગ દરમિયાન ગોગલ્સ પહેરવાનું રાખો અને પૂલમાંથી બહાર નીકળ્યા પછી તરત જ આંખોને સાફ અને ચોખ્ખા પાણીથી ધોઈ લો. આંખોને વારંવાર ઘસવાનું ટાળો અને લાંબો સમય પૂલમાં રહેવાને બદલે સમયાંતરે બ્રેક લો. તમારી થોડીક સાવધાની તમારી આંખોને લાંબા સમય સુધી સુરક્ષિત રાખી શકે છે.
Disclaimer: આ સમાચાર સામાન્ય માહિતી પર આધારિત છે. વધુ માહિતી માટે તમારા ડૉક્ટરની સલાહ લો.
શું તમે પણ દહીં સાથે ખાઓ છો આ 4 શાકભાજી આયુર્વેદિક એક્સપર્ટે આપી ગંભીર ચેતવણી, દહીં બની શકે છે ઝેર
