લો બોલો 35 વર્ષ જૂની હત્યાનો રહસ્યસ્ફોટ: પ્રેમીએ જ પ્રેમીકાને મોતને ઘાટ ઉતારી દફનક્રિયા કરી નાખી
1992માં મુંબઈથી પ્રેમીને મળવા આવેલી શબનમની કરપીણ હત્યાનો મામલો ફરી ગરમાયો છે. ક્રાઈમ બ્રાન્ચે જેસીબી સાથે વટવામાં ખોદકામ શરૂ કર્યું છે. શું કૂવામાંથી મળશે લાશના અવશેષો?
શહેરના વટવા વિસ્તારમાં આવેલા કુતુબનગરમાં 35 વર્ષ અગાઉ થયેલી એક સનસનીખેજ હત્યાનો ભેદ ઉકેલવા માટે ક્રાઈમ બ્રાન્ચે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. વર્ષ 1992માં બનેલી આ ઘટનામાં શબનમ નામની યુવતીની તેના જ પ્રેમીએ હત્યા કરી હોવાની વિગતો સામે આવતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
પ્રેમ પ્રકરણ અને કરપીણ હત્યા
મળતી માહિતી મુજબ, મૃતક યુવતી શબનમ મુંબઈથી તેના પ્રેમી શમસુદ્દીનને મળવા માટે અમદાવાદ આવી હતી. શમસુદ્દીન પહેલેથી જ પરિણીત હોવાથી બંને વચ્ચે ઉગ્ર તકરાર થઈ હતી. આ વિવાદ એટલો વરવો બન્યો કે શમસુદ્દીને શબનમની કરપીણ હત્યા કરી નાખી હતી. હત્યા બાદ લાશનો નિકાલ કરવા માટે આરોપીએ પોતાના જ ઘરમાં આવેલા કૂવામાં મૃતદેહને દાટી દીધો હોવાની આશંકા છે.
પરિવાર અંધશ્રદ્ધામાં રહ્યો, ક્રાઈમ બ્રાન્ચે ભેદ ખોલ્યો
ચોંકાવનારી વાત એ છે કે આટલા વર્ષો સુધી શબનમના પરિવારને એવો ભ્રમ હતો કે તે જીવિત છે. પરિવારજનોએ તેની શોધખોળ માટે ભૂવા અને અંધશ્રદ્ધાનો પણ સહારો લીધો હતો. જોકે, તાજેતરમાં પરિવારને મળેલી ચોક્કસ માહિતીના આધારે ક્રાઈમ બ્રાન્ચને જાણ કરવામાં આવી હતી. ક્રાઈમ બ્રાન્ચની ટીમે શક્યતાઓને આધારે વટવા કુતુબનગરમાં તપાસ તેજ કરી છે.
જેસીબી સાથે ખોદકામ અને અવશેષોની શોધ
હાલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ જેસીબી મશીન અને એફએસએલની મદદ સાથે નિર્ધારિત સ્થળ પર પહોંચી છે. 35 વર્ષ જેટલો લાંબો સમય વીતી ગયો હોવાથી પોલીસ હવે જમીનમાં દટાયેલા કંકાલ કે અન્ય અવશેષો મળી આવે તે દિશામાં ખોદકામ કરી રહી છે. પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં આ તપાસ ચાલી રહી છે.
વર્ષો જૂના આ કેસમાં જો મૃતદેહના અવશેષો મળી આવશે, તો તે અમદાવાદ પોલીસ માટે એક મોટી સફળતા ગણાશે. આટલા લાંબા સમય બાદ શબનમને ન્યાય મળશે કે કેમ તે હવે મળનારા પુરાવાઓ પર નિર્ભર છે.
