વર્લ્ડ કપ પર પ્રદૂષણનું સંકટ, દિલ્હીમાં આ ટીમો વચ્ચેની મેચ થઈ શકે છે રદ્દ
વર્લ્ડ કપની 38મી મેચ શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે રમાશે. બંને ટીમો વચ્ચેની આ મેચ નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. આ મેચ શ્રીલંકા માટે કરો યા મરો હશે. આ સાથે જ બાંગ્લાદેશની ટીમ જીત સાથે બે પોઈન્ટ મેળવવા ઈચ્છશે. શ્રીલંકા સાત મેચમાંથી બે જીત સાથે પોઈન્ટ ટેબલમાં સાતમા સ્થાને છે. આ સાથે જ બાંગ્લાદેશ સાત મેચમાં બે જીત સાથે નવમા સ્થાને છે.

શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચેની મેચ પર વરસાદ કે તોફાનનો પડછાયો નથી, પરંતુ દિલ્હીમાં પ્રદૂષણને કારણે ખેલાડીઓની મુશ્કેલીઓ વધી છે. વાયુ પ્રદૂષણને કારણે સોમવારે યોજાનારી મેચ પર શંકા પ્રવર્તી રહી છે. ખેલાડીઓના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવામાં આવે છે કે કેમ તે જોવું રહ્યું.

પ્રદૂષણે ફરી એકવાર રાષ્ટ્રીય રાજધાનીને ઘેરી લીધું છે, બંને ટીમોને ઓછામાં ઓછા એક વખત તેમના પ્રેક્ટિસ સત્રો રદ કરવાની ફરજ પડી છે. દિલ્હીનો એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) ગંભીર શ્રેણીમાં છે.

ગુરુવાર (2 નવેમ્બર) થી AQI 400 થી ઉપર રહ્યો છે. એર ક્વોલિટી અર્લી વોર્નિંગ સિસ્ટમ મુજબ મંગળવાર સુધી તે ગંભીર રહેવાની શક્યતા છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) અનુસાર, રવિવારે સવારે AQI 457 હતો.

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ સ્પષ્ટ કર્યું છે કે મેચ અંગેનો નિર્ણય મેચના દિવસે જ લેવામાં આવશે. મેચ અધિકારીઓ સોમવારે હવાની ગુણવત્તા તપાસશે.

ICC ના આર્ટિકલ 2.8 ઓન પ્લેઇંગ કંડીશન મુજબ, "જો કોઈપણ સમયે અમ્પાયરો સંમત થાય કે મેદાન, હવામાન અથવા પ્રકાશ અથવા અન્ય કોઈપણ સંજોગો ખતરનાક અથવા અયોગ્ય છે, તો તેઓ તરત જ રમતને સ્થગિત કરશે અથવા રમત બંધ કરશે."