ATM માંથી એક દિવસમાં કેટલી વાર કેશ ઉપાડી શકાય? જાણી લો બેંકના નિયમો, નહિતર આપવો પડશે એક્સ્ટ્રા ચાર્જ
આજના સમયમાં આપણે બધા પૈસા ઉપાડવા માટે એટીએમનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ શું તમે જાણો છો કે એક દિવસમાં તમે કેટલી વાર કેશ ઉપાડી શકો છો? બેંકો દ્વારા એટીએમ ટ્રાન્ઝેક્શન પર બે અલગ-અલગ પ્રકારની લિમિટ રાખવામાં આવે છે.

આજના સમયમાં મોટાભાગના લોકો કેશ ઉપાડવા માટે એટીએમ જાય છે. પરંતુ ઘણી વખત લોકોના મનમાં સવાલ આવે છે કે શું એટીએમમાંથી એક દિવસમાં જેટલી વાર ઈચ્છીએ એટલી વાર પૈસા ઉપાડી શકાય? અથવા તો કેશ ઉપાડવા માટે પણ કોઈ લિમિટ હોય છે? જો તમારા મનમાં પણ આવા સવાલો હોય તો પહેલાં બેંકના નિયમો જાણી લેવા ખૂબ જરૂરી છે. વાસ્તવમાં, એટીએમમાંથી કેશ ઉપાડવા પર બે પ્રકારની લિમિટ લાગુ થાય છે. પહેલી - કેશ ઉપાડવાની ડેઇલી લિમિટ (દૈનિક મર્યાદા) અને બીજી - દર મહિને મળતા ફ્રી ટ્રાન્ઝેક્શનની લિમિટ. આ બંને નિયમો બિલકુલ અલગ છે અને તેથી જ તેને સમજવા જરૂરી છે.

કેટલી વાર ઉપાડી શકાય કેશ?: બેંકોના એટીએમમાંથી કેશ ઉપાડવા પર સામાન્ય રીતે તો કોઈ અલગ ડેઇલી લિમિટ નથી હોતી. એટલે કે તમે એક દિવસમાં જેટલી વાર ઈચ્છો એટલી વાર કેશ ઉપાડી શકો છો. જો કે, કુલ કેટલા પૈસા ઉપાડી શકાય તેની લિમિટ ચોક્કસ હોય છે. ઉદાહરણ તરીકે, જો તમારા ડેબિટ કાર્ડ પર રોજ કેશ ઉપાડવાની લિમિટ ₹50,000 છે, તો તમે એક દિવસમાં એક જ વારમાં અથવા 10 વાર કરીને પણ કુલ મળીને માત્ર ₹50,000 જ ઉપાડી શકશો.

અલગ બેંક - અલગ લિમિટ: રોજ કેશ ઉપાડવા માટે તમામ બેંકો અને ડેબિટ કાર્ડના પ્રકાર (જેમ કે ક્લાસિક, પ્લેટિનમ વગેરે) નો હિસાબ-કિતાબ અલગ-અલગ હોઈ શકે છે. ઘણી બેંકો ₹50,000, 1 લાખ કે 2 લાખ રૂપિયા સુધીની ડેઇલી લિમિટ આપે છે, તો વળી કેટલીક નાની બેંકોની લિમિટ ₹10,000 પર જ પૂરી થઈ જાય છે.

ફ્રી ટ્રાન્ઝેક્શન કેટલા મળે છે?: રોજની લિમિટ સિવાય દર મહિને ફ્રી એટીએમ ટ્રાન્ઝેક્શનની પણ લિમિટ હોય છે. પોતાની બેંકના એટીએમ પર સામાન્ય રીતે દર મહિને 5 ફ્રી ટ્રાન્ઝેક્શન મળે છે. જ્યારે બીજી બેંકના એટીએમ પર મેટ્રો શહેરોમાં 3 અને નોન-મેટ્રો (અર્ધ-શહેરી કે ગ્રામીણ) શહેરોમાં 5 ફ્રી ટ્રાન્ઝેક્શનની સુવિધા મળે છે. ખાસ નોંધનીય છે કે આ ફ્રી ટ્રાન્ઝેક્શનમાં માત્ર કેશ ઉપાડવી જ નહીં, પરંતુ બેલેન્સ ચેક કરવું અને મિની સ્ટેટમેન્ટ કઢાવવા જેવી બિન-નાણાકીય સેવાઓ પણ ગણતરીમાં લેવાય છે.

કેટલો ચાર્જ લાગશે? જો તમે નક્કી કરેલી ફ્રી લિમિટ કરતાં વધુ એટીએમ ટ્રાન્ઝેક્શન કરો છો, તો બેંક દરેક વધારાના ટ્રાન્ઝેક્શન પર ચાર્જ વસૂલે છે. હાલના નિયમો અનુસાર, આ વધારાના ટ્રાન્ઝેક્શન પર ₹23 નો ચાર્જ ચૂકવવો પડે છે.
હવે કાર ઇન્સ્યોરન્સ પર બચાવી શકો છો હજારો રૂપિયા, જાણો શું છે PAYD પ્લાન અને કોને મળશે આનો સૌથી મોટો ફાયદો ?
