Breaking News : EPFOનો PF પર મોટો નિર્ણય! હવે પ્રોવિડન્ટ ફંડ માટેની પગાર મર્યાદા ₹15,000થી વધીને ₹25,000 થશે
નાણા મંત્રાલયે EPF અને EPS માટે ફરજિયાત પગાર મર્યાદા ₹15,000 થી વધારીને ₹25,000 કરવાની મંજૂરી આપી છે. આ નિર્ણયથી ખાનગી ક્ષેત્રના લાખો કર્મચારીઓને PF અને પેન્શન યોજનાનો લાભ મળશે, જેનાથી નિવૃત્તિ બાદ તેમને વધુ મજબૂત આર્થિક સુરક્ષા મળશે.

ખાનગી ક્ષેત્રમાં કામ કરતા લાખો કર્મચારીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. નાણા મંત્રાલયે કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) અને કર્મચારી પેન્શન યોજના (EPS) માટે ફરજિયાત પગાર મર્યાદા ₹15,000 પ્રતિ માસથી વધારીને ₹25,000 પ્રતિ માસ કરવાની મંજૂરી આપી છે. જોકે, આ નિર્ણય અમલમાં આવે તે પહેલાં કેન્દ્ર સરકારની કેબિનેટની અંતિમ મંજૂરી જરૂરી રહેશે.

નવી જોગવાઈ અમલમાં આવ્યા બાદ ₹15,000થી ₹25,000 સુધીનો મૂળ પગાર મેળવતા લાખો ખાનગી કર્મચારીઓ પણ ફરજિયાત EPF અને EPS યોજનાના દાયરામાં આવશે. તેના કારણે કર્મચારીઓને નિવૃત્તિ બાદ વધુ મજબૂત આર્થિક સુરક્ષા અને સામાજિક સુરક્ષા કવચનો લાભ મળશે.

હાલની વ્યવસ્થા મુજબ માત્ર ₹15,000 સુધીના મૂળ પગાર ધરાવતા કર્મચારીઓ માટે EPF અને કર્મચારી પેન્શન યોજનામાં જોડાવું ફરજિયાત છે. જો કોઈ કર્મચારીનો પગાર આ મર્યાદાથી વધુ હોય, તો તેને યોજનામાં સામેલ કરવો કે નહીં તે નોકરીદાતા અને કર્મચારીની સંમતિ પર નિર્ભર રહે છે. કાયદાકીય રીતે નોકરીદાતાને આવા કર્મચારીઓને ફરજિયાત આવરી લેવાની જરૂર પડતી નથી.

પરંતુ હવે પગાર મર્યાદા ₹25,000 સુધી વધારવાનો નિર્ણય લેવાતા, અગાઉ બહાર રહેલા હજારો નહીં પરંતુ લાખો કર્મચારીઓ પણ PF અને પેન્શન યોજનાના લાભાર્થી બનશે. આ નિર્ણય ખાસ કરીને ખાનગી ક્ષેત્રના મધ્યમ આવકવર્ગના કર્મચારીઓ માટે ખૂબ જ લાભદાયી સાબિત થઈ શકે છે.

નાણા મંત્રાલયના આ પ્રસ્તાવને કેબિનેટની મંજૂરી મળ્યા બાદ તેની અમલવારીની સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવશે. ત્યારબાદ દેશભરના લાખો કર્મચારીઓને EPF અને EPS હેઠળ વધારાનું સામાજિક સુરક્ષા કવરેજ મળશે, જે તેમના ભવિષ્યને વધુ સુરક્ષિત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે.
PPF એકાઉન્ટ હોલ્ડર્સ સાવધાન, આ 6 ભૂલ કરી તો 'મોટું નુકસાન' થશે
