Health Tip: શું તમે પણ પગની દુર્ગંધ અને ફાટેલી એડીઓથી પરેશાન છો ? અઠવાડિયામાં માત્ર એકવાર આ ઘરગથ્થુ ઉપાય અજમાવો
આપણું આખું શરીર જેના પર ટકેલું છે એ પગની સંભાળ લેવામાં આપણે ઘણીવાર આળસ કરીએ છીએ. પણ શું તમે જાણો છો કે રસોડામાં રહેલી આ વસ્તું જે તમારા પગ માટે જાદુઈ કામ કરી શકે છે?

પગની કાળજી શા માટે છે અનિવાર્ય?: આપણી રોજબરોજની વ્યસ્ત લાઈફમાં આપણે ઘણીવાર ચહેરા અને હાથની સુંદરતા પર ધ્યાન આપીએ છીએ, પરંતુ આખા શરીરનું વજન ઉઠાવતા પગની અવગણના કરીએ છીએ. સતત દબાણ, પસીનો અને ધૂળને કારણે પગમાં દુર્ગંધ, શુષ્કતા અને ઈન્ફેક્શન જેવી સમસ્યાઓ થવી સામાન્ય છે. જોકે, આ મોંઘી ટ્રીટમેન્ટ વગર ઘરે જ એક સરળ ઉપાયથી દૂર કરી શકાય છે.

વિનેગરના કુદરતી ફાયદા: નેશનલ લાઈબ્રેરી ઓફ મેડિસિન મુજબ, વિનેગર (ખાસ કરીને એપલ સાઈડર વિનેગર) માં નેચરલ એસિડ અને એન્ટિ-માઈક્રોબિયલ તત્વો હોય છે. તે ત્વચા પર રહેલા હાનિકારક બેક્ટેરિયાનો નાશ કરે છે અને પસીનાને કારણે થતી દુર્ગંધને રોકે છે. અઠવાડિયામાં માત્ર એકવાર વિનેગરના પાણીમાં પગ પલાળવાથી પગ એકદમ ફ્રેશ અને સાફ થઈ જાય છે.

ઈન્ફેક્શન અને ફંગસ સામે રક્ષણ: જો તમે 'એથલીટ ફૂટ' જેવી ફંગલ સમસ્યા અથવા નખના બદલાતા રંગથી પરેશાન હોવ, તો વિનેગરનું એસિડિક તત્વ આ ફંગસને વધતી રોકે છે. તે આંગળીઓ વચ્ચે થતી ખંજવાળ અને લાલાશમાં પણ રાહત આપે છે. આ ઉપરાંત, તે ત્વચા પરના બેક્ટેરિયા માટે પ્રતિકૂળ વાતાવરણ બનાવે છે, જેથી ઈન્ફેક્શન ફેલાવાનું જોખમ ઘટી જાય છે.

ખરબચડી ત્વચા અને એડીઓ માટે રામબાણ: પગના તળિયે જામી ગયેલી સખત ચામડી (Callus) અને ફાટેલી એડીઓ માટે વિનેગર બેસ્ટ છે. તે સખત ત્વચાને નરમ પાડે છે, જેથી તમે સરળતાથી ડેડ સ્કિન દૂર કરી શકો છો. આ પ્રક્રિયાથી પગની ચામડી મુલાયમ બને છે અને પગ હેલ્ધી દેખાય છે. નિયમિત સંભાળ રાખવાથી પગની સુંદરતામાં પણ વધારો થાય છે.

થાક અને સોજામાં તરત આરામ: આખો દિવસ ઊભા રહેવાથી કે ચાલવાથી પગની સ્નાયુઓમાં થાક અને દુખાવો થાય છે. હૂંફાળા પાણીમાં વિનેગર ભેળવીને પગ પલાળવાથી બ્લડ સર્ક્યુલેશન સુધરે છે અને સ્નાયુઓને આરામ મળે છે. આ એક પ્રકારનું નેચરલ પેડિક્યોર છે જે દિવસભરનો તણાવ ઓછો કરી પગને શાંતિનો અનુભવ કરાવે છે.

કેવી રીતે તૈયાર કરશો આ મિશ્રણ?: આ ઉપાય કરવો અત્યંત સરળ છે. એક ટબમાં હૂંફાળું પાણી ભરી તેમાં એક કપ વિનેગર ઉમેરો. તેમાં 15 થી 20 મિનિટ પગ પલાળી રાખો. ત્યારબાદ સાદા પાણીથી પગ ધોઈ, તેને બરાબર કોરા કરી નારિયેળ તેલ અથવા મોઈશ્ચરાઈઝર લગાવો. જોકે, કોઈ ગંભીર બીમારી કે ડાયાબિટીસ હોય તો આ પ્રયોગ કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.
Disclaimer: આ સમાચાર સામાન્ય માહિતી પર આધારિત છે. વધુ માહિતી માટે તમારા ડૉક્ટરની સલાહ લો.
શું ભીનું કપડું બતાવશે સિલિન્ડરમાં કેટલો ગેસ બાકી છે? જાણો
