Gold-Silver Rate : રોકાણકારો માટે ‘સોનું’ ફરી હોટ ચોઈસ, ચાંદી પણ રેસમાં આગળ
શુક્રવાર, 13 જૂને સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો હતો. સતત ત્રીજા દિવસના ઉછાળા સાથે, સોનું 2200 રૂપિયા મોંઘુ થયું અને પ્રતિ 10 ગ્રામે 1,01,540 રૂપિયા નજીક પહોંચી ગયું. ઈઝરાયલ-ઈરાન તણાવ, વૈશ્વિક અસ્થિરતા અને રોકાણકારોની સુરક્ષિત રોકાણમાં રુચિ એ આ વધારા પાછળનું મુખ્ય કારણ છે.

સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. શુક્રવાર, 13 જૂને પણ આવું જ કઈંક જોવા મળ્યું છે. સતત ત્રીજા દિવસે સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે 2200 રૂપિયાનો વધારો થયો. આ ઉછાળા પછી, નવો ભાવ 1,01,540 રૂપિયા પ્રતિ 10 ગ્રામની નજીક પહોંચી ગયો છે, જે અત્યાર સુધીના રેકોર્ડ ઉચ્ચ સ્તરોમાંનો છે.

આ ઉછાળા પાછળનું મુખ્ય કારણ ઇઝરાયલ અને ઈરાન વચ્ચે વધતો તણાવ હોવાનું કહેવાઈ રહ્યું છે, જેના કારણે રોકાણકારોએ સોનાને સુરક્ષિત રોકાણ વિકલ્પ માનીને તેમની ખરીદીમાં વધારો કર્યો છે.

ઓલ ઈન્ડિયા સરાફા એસોસિએશનના જણાવ્યા અનુસાર, શુક્રવારે 99.5 ટકા શુદ્ધતા ધરાવતું સોનું 1900 રૂપિયા વધીને 1,00,700 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયું હતું. આ પહેલા 22 એપ્રિલે સોનું 1800 રૂપિયા વધીને 1,01,600 રૂપિયાના રેકોર્ડ સ્તરે પહોંચ્યું હતું.

આટલું જ નહી સોનાના ભાવની સાથે ચાંદીના ભાવમાં પણ ઉછાળો જોવા મળ્યો હતો. શુક્રવારે ચાંદી 1100 રૂપિયા વધીને ફરી એકવાર 1,08,100 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગઈ હતી.

એમસીએક્સ (મલ્ટિ કોમોડિટી એક્સચેન્જ) પર ઓગસ્ટ ડિલિવરી માટે સોનાનો વાયદો 2011 રૂપિયા વધીને 1,00,403 રૂપિયા પ્રતિ 10 ગ્રામના રેકોર્ડ સ્તરે પહોંચ્યો હતો. જો કે, બાદમાં તેમાં થોડો ઘટાડો થયો હતો અને તે 10 ગ્રામ દીઠ 99,906 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો હતો.

મહેતા ઇક્વિટીઝના વાઇસ પ્રેસિડેન્ટ (કોમોડિટીઝ) રાહુલ કલાન્ત્રીના જણાવ્યા અનુસાર, ઇઝરાયલ દ્વારા ઇરાન પર લશ્કરી હુમલાથી મધ્ય પૂર્વમાં તણાવ વધ્યો છે. આનાથી વિશ્વભરના રોકાણકારોમાં ભયનું વાતાવરણ ઉભું થયું છે અને તેઓ સોના જેવા સલામત વિકલ્પો તરફ વળ્યા છે.

આ ઉપરાંત, યુએસમાં વેપાર નીતિઓ અંગે અનિશ્ચિતતા અને ટેરિફ અંગે રાષ્ટ્રપતિ ટ્રમ્પના મજબૂત સંકેતોને કારણે પણ રોકાણકારો જોખમથી દૂર રહ્યા હતા. બીજીબાજુ હવે બજારમાં એવી અપેક્ષા વધી રહી છે કે, ફેડરલ રિઝર્વ ટૂંક સમયમાં વ્યાજ દરોમાં ઘટાડો કરી શકે છે, જેનાથી સોનાની માંગમાં વધુ વધારો થઈ શકે છે.

કોટક સિક્યોરિટીઝના કાયનત ચૈનવાલા (AVP-કોમોડિટી રિસર્ચ)એ જણાવ્યું હતું કે, રોકાણકારો હવે મિશિગન યુનિવર્સિટીના રિપોર્ટ પર નજર રાખી રહ્યા છે. રોકાણકારોની નજર ખાસ કરીને ફુગાવાના ડેટા પર છે. કેમ કે, આ માહિતીથી સોનાના ભાવ અને નાણાકીય નીતિ વિશેના સંકેત મળી શકે છે.
ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે, આથી તેનો ભાવ શું ચાલી રહ્યો છે તેની જાણકારી મેળવવા અહીં ક્લિક કરો
