Breaking News : BCCI એવોર્ડ્સમાં ગિલને સૌથી મોટો એવોર્ડ, રાહુલ દ્રવિડને લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી કરાશે સન્માનિત
BCCI દર વર્ષની જેમ આ વખતે પણ તેના પ્રતિષ્ઠિત “NAMAN” એવોર્ડ્સનું આયોજન કરવા જઈ રહ્યું છે. 15 માર્ચે નવી દિલ્હીમાં યોજાનારા આ સમારોહમાં છેલ્લા વર્ષમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ખેલાડીઓ, કોચ અને અધિકારીઓને સન્માનિત કરવામાં આવશે. આ વખતે ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન શુભમન ગિલને ક્રિકેટર ઓફ ધ યર એવોર્ડ આપવામાં આવશે, જ્યારે દિગ્ગજ રાહુલ દ્રવિડને લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ મળશે.

ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા આયોજિત “NAMAN” એવોર્ડ્સ દર વર્ષે ક્રિકેટમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારાઓને સન્માનિત કરવા માટે યોજાય છે. આ વર્ષે આ સમારોહ 15 માર્ચે નવી દિલ્હીમાં યોજાશે. સિનિયર અને જુનિયર સ્તરના અનેક ખેલાડીઓ, ભૂતપૂર્વ ક્રિકેટરો, કોચ અને અમ્પાયરોને તેમના યોગદાન બદલ એવોર્ડ આપવામાં આવશે.

આ વખતેનો સૌથી મોટો એવોર્ડ ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન અને ટેસ્ટ-વનડે ટીમના કેપ્ટન શુભમન ગિલને આપવામાં આવશે. તેને વર્ષ 2025 દરમિયાન ત્રણેય ફોર્મેટમાં કરેલા શાનદાર પ્રદર્શન માટે “ક્રિકેટર ઓફ ધ યર” તરીકે પસંદ કરવામાં આવ્યો છે. ખાસ કરીને ટેસ્ટ ક્રિકેટમાં તેના પ્રદર્શનને ધ્યાનમાં રાખીને આ સન્માન આપવામાં આવી રહ્યું છે.

ગિલે ગયા વર્ષે ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન પોતાની ડેબ્યૂ ટેસ્ટ શ્રેણીમાં જ ચાર સદી સાથે કુલ 754 રન બનાવીને નવો રેકોર્ડ નોંધાવ્યો હતો. આ ઉપરાંત તેણે ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ મહત્વપૂર્ણ સદી ફટકારીને ભારતને ખિતાબ જીતવામાં મોટી ભૂમિકા ભજવી હતી.

આંકડાઓ પર નજર કરીએ તો ગિલે 2025 દરમિયાન ત્રણેય ફોર્મેટમાં કુલ 42 ઈનિંગ્સમાં લગભગ 49ની સરેરાશથી 1764 રન બનાવ્યા હતા. તેની ઈનિંગ્સમાં સાત સદી અને ત્રણ અડધી સદીનો સમાવેશ થાય છે. ભલે T20 ફોર્મેટમાં તેનું પ્રદર્શન એવરેજ રહ્યું હોય, પરંતુ કુલ મળીને તેનું વર્ષ ખૂબ સફળ રહ્યું હતું.

બીજી તરફ, ભારતીય ક્રિકેટના દિગ્ગજ બેટ્સમેન અને ભૂતપૂર્વ કોચ રાહુલ દ્રવિડને “સી.કે.નાયડુ લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ”થી સન્માનિત કરવામાં આવશે. ખેલાડી અને કોચ તરીકે ભારતીય ક્રિકેટમાં આપેલા તેમના વિશાળ યોગદાનને ધ્યાનમાં રાખીને આ પ્રતિષ્ઠિત સન્માન આપવામાં આવી રહ્યું છે.

દ્રવિડના કોચિંગ હેઠળ ભારતે 2024માં T20 વર્લ્ડ કપ જીતીને લાંબા સમય પછી મોટો ICC ખિતાબ જીત્યો હતો. ઉપરાંત તેણે ભારતની અંડર-19 ટીમને 2018માં વર્લ્ડ કપ જીતાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

આ ઉપરાંત અંડર-19 વર્લ્ડ કપ વિજેતા ટીમના કેપ્ટન આયુષ મ્હાત્રેને પણ ડોમેસ્ટિક ક્રિકેટમાં શ્રેષ્ઠ ઓલરાઉન્ડર તરીકે સન્માનિત કરવામાં આવશે. (PC: PTI/X)
T20 WC Breaking : T20 વર્લ્ડ કપ પૂરો થતા જ નવા મુખ્ય કોચની જાહેરાત, 64 સદી ફટકારનાર દિગ્ગ્જને મળી કમાન
