અંબાણી કંઈક મોટું કરવાના મૂડમાં…! ‘ફ્રેશ ઈશ્યુ’ થી બજાર ગજવવાની તૈયારી, નવા રોકાણકારો માટે ‘ગોલ્ડન ચાન્સ’
દલાલ સ્ટ્રીટમાં અત્યારે માત્ર એક જ સવાલ ગુંજી રહ્યો છે, શું Jioનો IPO ભારતીય બજારના તમામ રેકોર્ડ તોડી નાખશે? રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની આ ડિજિટલ પાંખ હવે કંઈક એવું કરવા જઈ રહી છે કે, જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી.

દલાલ સ્ટ્રીટ એક સુસ્ત પ્રાઇમરી માર્કેટમાં Jio Platforms અને NSE જેવા મોટા IPOsની રાહ જોઈ રહ્યું છે. અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે કે, Reliance Industries આ મોટા IPOના સ્વરૂપમાં ફેરફાર કરી રહી છે. કંપની હવે નવા શેર અને OFS (ઓફર ફોર સેલ) ના કોમ્બિનેશનને બદલે, ફક્ત નવા શેર વાળો IPO લાવવાની તૈયારીમાં છે. કોઈપણ રોકાણકાર OFS અને નવા શેરના કોમ્બિનેશનવાળા IPO કરતા ફક્ત નવા શેરવાળા IPO ને વધુ પસંદ કરે છે. અહેવાલો અનુસાર, તેનું કારણ શેરના ભાવ નક્કી કરવા બાબતે રોકાણકારો વચ્ચેનો મતભેદ છે. અહેવાલોમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, આ નિર્ણયમાં નાના રોકાણકારો (રિટેલ ઇન્વેસ્ટર્સ) ના હિતોની રક્ષાને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે, કારણ કે આમાં લિસ્ટિંગ પછી શેરની કિંમત બજાર દ્વારા નક્કી કરવામાં આવશે. આ સિવાય, IPO થી મળનારી પૂરેપૂરી રકમ કંપની પાસે જશે, જેનાથી કંપનીને તેના વ્યવસાયનો વિસ્તાર કરવામાં મદદ મળશે. OFS થી મળતી રકમ ક્યારેય કંપની પાસે જતી નથી પરંતુ તે એવા વર્તમાન શેરધારકોના ખિસ્સામાં જાય છે કે, જેઓ કંપનીમાં પોતાનો હિસ્સો ઘટાડવા માંગે છે.

માર્કેટ શેરની દ્રષ્ટિએ Jio દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની છે. તેના IPO ને લઈને છેલ્લા એક વર્ષથી વધુ સમયથી જાહેર મંચ પર ચર્ચા ચાલી રહી છે. ઓગસ્ટ 2022 માં Reliance ના ચેરમેન મુકેશ અંબાણીએ જાહેરાત કરી હતી કે, Jio નાણાકીય વર્ષ 2027 ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળા સુધી શેર બજારમાં લિસ્ટ થવાનું લક્ષ્ય રાખશે. તે સમયે એમ પણ કહેવામાં આવ્યું હતું કે, આ IPO દ્વારા 40,000 કરોડ રૂપિયાથી વધુની રકમ એકત્ર કરી શકાય છે.

અહેવાલો અનુસાર, Jio છેલ્લા એક મહિનાથી વધુ સમયથી વૈશ્વિક ટેકનોલોજી કંપનીઓ સાથે આ IPO ના સ્વરૂપ પર ચર્ચા કરી રહી છે. આ IPO ની કિંમતને આખરી ઓપ આપવા માટે સોવરિન વેલ્થ ફંડ્સ અને પ્રાઇવેટ ઇક્વિટી રોકાણકારો પણ આ ચર્ચાઓમાં હતા. માર્ચ મહિનામાં એવો અહેવાલ આવ્યો હતો કે, Jio એ OFS લાવવાની યોજના તૈયાર કરી લીધી છે. એવું નક્કી કરવામાં આવ્યું હતું કે, તેના 14 ઇક્વિટી રોકાણકારોમાંથી દરેક પોતાની હોલ્ડિંગ્સમાં 8-8.5% નો ઘટાડો કરશે, જેના પરિણામે ઇક્વિટીમાં 2.8% નો ઘટાડો થશે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કંપની તેના IPO સ્ટ્રક્ચરમાં મોટો ફેરફાર કરવા જઈ રહી છે. અગાઉ એવું માનવામાં આવતું હતું કે, IPO માં કેટલાક શરૂઆતી અને વિદેશી રોકાણકારો પોતાના હિસ્સાના શેર વેચી શકે છે પરંતુ હવે અહેવાલો મુજબ, Jio IPO ને સંપૂર્ણપણે “Fresh Issue” મોડેલમાં લાવવાની તૈયારી થઈ રહી છે.

આનો અર્થ એ થશે કે, IPO માં જૂના રોકાણકારો દ્વારા શેર વેચવાને બદલે કંપની નવા શેર બહાર પાડીને ડાયરેક્ટ બજારમાંથી મૂડી એકઠી કરશે. IPO માંથી આવનારા તમામ નાણાં કંપની પાસે જશે. આનો ઉપયોગ વિસ્તરણ, નવી ટેકનોલોજી, AI અને ડિજિટલ બિઝનેસને મજબૂત કરવા માટે કરી શકાય છે. અહેવાલો અનુસાર, Jio Platforms માં રોકાણ કરનારા ઘણા મોટા વૈશ્વિક રોકાણકારો હાલમાં પોતાનો હિસ્સો વેચવા ઈચ્છુક નથી. આમાં Meta, Google અને બીજા વિદેશી રોકાણકારો જોડાયેલ છે.

જણાવવામાં આવી રહ્યું છે કે, આ રોકાણકારોને ભવિષ્યમાં Jio Platforms ની વેલ્યુ હજુ વધવાની આશા છે, તેથી તેઓ અત્યારે કંપનીમાંથી બહાર નીકળવાને બદલે લાંબાગાળા સુધી રોકાણ જાળવી રાખવા માંગે છે. આ સિવાય IPO valuation ને લઈને પણ કંપની અને કેટલાક રોકાણકારો વચ્ચે અલગ-અલગ અભિપ્રાય હોવાની ચર્ચા છે. માર્કેટ નિષ્ણાતોના મતે, Jio Platforms નું સંભવિત વેલ્યુએશન આશરે 180 અબજ ડોલર સુધી આંકવામાં આવી રહ્યું છે. જો આવું થાય છે, તો તે ભારતના ઇતિહાસના સૌથી મોટા IPOs માં જોડાઈ શકે છે.

જો કે, અગાઉ આ IPO માર્ચ 2026 ની આસપાસ આવવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી પરંતુ વૈશ્વિક બજારોમાં ઉતાર-ચઢાવ, Geopolitical Tensions અને રોકાણકારોની સાવચેતીને કારણે તેની ટાઈમિંગ આગળ વધી શકે છે. માર્કેટ એક્સપર્ટ્સ આ સમાચારને સકારાત્મક સંકેત તરીકે જોઈ રહ્યા છે. તેમનું માનવું છે કે, જો પ્રારંભિક રોકાણકારો IPO માં હિસ્સો નથી વેચી રહ્યા, તો તેનો અર્થ એ છે કે તેમને કંપનીની ભવિષ્યની ગ્રોથ પર વિશ્વાસ છે. Fresh Issue મોડેલથી કંપની પાસે નવું ફંડ આવશે. આનાથી ટેલિકોમ, ડિજિટલ સર્વિસિસ, ક્લાઉડ, AI અને ટેકનોલોજી બિઝનેસમાં રોકાણ વધારી શકાય છે. કેટલાક નિષ્ણાતો એમ પણ માને છે કે, જો IPO Valuation ખૂબ ઊંચું રાખવામાં આવે, તો Listing Gains મર્યાદિત હોઈ શકે છે. સાથે જ બજારની સ્થિતિ નબળી રહી, તો IPO લોન્ચ કરવામાં વધુ વિલંબ પણ સંભવ છે.
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.
ટાટાનો આ શેર ‘સોના’ જેવો…! ₹5,000 ની સપાટી તોડવા તૈયાર, રોકાણકારો માટે મોટી કમાણીનો સંકેત
