હજારો પરિવારો પર તોળાઈ રહ્યું છે સંકટ, મેટા પછી હવે એમેઝોનમાં છટણીનો ધમધમાટ, શું એઆઈ માનવ રોજગારને ગળી જશે?
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પાછળ અબજોનું રોકાણ કરી રહેલી એમેઝોન કંપનીએ વધુ એકવાર છટણીની જાહેરાત કરી છે. છેલ્લા છ મહિનામાં 30,000 નોકરીઓ કાપ્યા બાદ હવે કંપનીએ કઈ નવી ટીમ પર નિશાન સાધ્યું છે તે જાણવું દરેક ટેક કર્મચારી માટે જરૂરી છે.

એમેઝોન અત્યારે એક એવા વળાંક પર ઉભું છે જ્યાં તે ટેકનોલોજી પાછળ પાણીની જેમ પૈસા વાપરી રહ્યું છે પણ પોતાના કર્મચારીઓની સંખ્યામાં સતત ઘટાડો કરી રહ્યું છે. કંપનીના સીઈઓ એન્ડી જેસીના નેતૃત્વમાં હવે 'સેલિંગ પાર્ટનર સર્વિસીસ' ડિવિઝનમાં છટણીનો નવો રાઉન્ડ શરૂ થયો છે. આ એ જ ટીમ છે જે લાખો વેપારીઓને એમેઝોન પર સામાન વેચવામાં મદદ કરે છે.

શું છે એમેઝોનનો માસ્ટર પ્લાન?: કંપનીનું કહેવું છે કે તેઓ પોતાની કાર્યક્ષમતા વધારવા માટે ટીમોનું પુનર્ગઠન કરી રહ્યા છે. પરંતુ અસલી વાત એ છે કે એમેઝોન હવે રિટેલ, લોજિસ્ટિક્સ અને ક્લાઉડ સર્વિસમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ને વધુ મહત્વ આપી રહ્યું છે. સીઈઓ એ પણ સ્વીકાર્યું છે કે જેમ જેમ એઆઈ વધુ કામ સંભાળશે, તેમ તેમ કંપનીને અમુક ચોક્કસ કામો માટે ઓછા લોકોની જરૂર પડશે.

છટણીનો આંકડો ક્યાં પહોંચ્યો?: તમને જાણીને નવાઈ લાગશે કે છેલ્લા છ મહિનામાં જ એમેઝોન અંદાજે 30,000 કર્મચારીઓને ઘરભેગા કરી ચૂક્યું છે. ઓક્ટોબર અને જાન્યુઆરી બાદ હવે ફરી એકવાર આ પ્રક્રિયા તેજ બની છે. મહામારી દરમિયાન જ્યારે ઓનલાઇન શોપિંગ વધ્યું ત્યારે કંપનીએ જે અંધાધૂંધ ભરતી કરી હતી, હવે તેને સંતુલિત કરવાના બહાને આ કાપ મૂકવામાં આવી રહ્યો છે.

ભવિષ્યની દિશા શું છે?: એમેઝોન એક તરફ ખર્ચ ઘટાડવા માટે છટણી કરી રહ્યું છે, તો બીજી તરફ ડેટા સેન્ટર્સ અને એઆઈ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે મોટી યોજનાઓ બનાવી રહ્યું છે. જે કર્મચારીઓને કાઢવામાં આવી રહ્યા છે તેમને કંપની સહાય પેકેજ અને નવી નોકરી શોધવામાં મદદ કરવાની ખાતરી આપી રહી છે. જોકે, આ ઘટનાક્રમ સ્પષ્ટ સંકેત આપે છે કે ભવિષ્યમાં ટેકનોલોજી જ રોજગારના સમીકરણો નક્કી કરશે.

એમેઝોનનો આ નિર્ણય માત્ર એક કંપનીની વાત નથી, પણ સમગ્ર આઈટી ક્ષેત્ર માટે ચેતવણી સમાન છે કે એઆઈનું આગમન હવે માનવ સંસાધનોના માળખામાં મોટા ફેરફારો લાવી રહ્યું છે.
મેટામાં ફરી સર્જાશે બેરોજગારી : 8,000 કર્મચારીઓ ગુમાવશે નોકરી, માર્ક ઝુકરબર્ગે એવું તો શું કહ્યું કે આખું ટેક જગત ફફડી ઉઠ્યું ?
