Breaking News : મોંઘા પેટ્રોલથી મળશે છુટકારો… જલ્દી લોન્ચ થશે 85% ઇથેનોલથી ચાલતી ગાડી, સરકારે બનાવ્યો મોટો પ્લાન
પેટ્રોલના વધતા ભાવમાંથી સામાન્ય લોકોને રાહત આપવા સરકારે મોટો પ્લાન બનાવ્યો છે. ટૂંક સમયમાં ભારતમાં 85% ઇથેનોલ (E85) થી ચાલતી 'ફ્લેક્સ-ફ્યુઅલ' ગાડીઓ લોન્ચ થશે.

પેટ્રોલના વધતા ભાવોથી પરેશાન સામાન્ય લોકોને હવે રાહત મળવાની આશા દેખાઈ રહી છે. સરકાર દેશની વિદેશી ક્રૂડ ઓઇલ પરની નિર્ભરતા ઘટાડવા માટે મોટા સ્તરે નવી યોજના પર કામ કરી રહી છે. આ યોજના હેઠળ ટૂંક સમયમાં 85 ટકા ઇથેનોલ (E85) પર ચાલતા ‘ફ્લેક્સ-ફ્યુઅcલ’ વાહનો ભારતીય રસ્તાઓ પર જોવા મળી શકે છે. આ પગલું લાંબા ગાળે લોકોને સસ્તું ઇંધણ આપવાની સાથે દેશના ઊર્જા ક્ષેત્રને વધુ મજબૂત બનાવવાનું લક્ષ્ય ધરાવે છે.

તાજેતરના સમયમાં વૈશ્વિક સ્તરે ઊભા થયેલા તણાવના કારણે ક્રૂડ ઓઇલના ભાવોમાં ભારે અસ્થિરતા જોવા મળી છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ અને ભૂ-રાજકીય પરિસ્થિતિઓના કારણે તેલના ભાવ ક્યારેક $100 પ્રતિ બેરલથી પણ ઉપર પહોંચી ગયા હતા. આવા ફેરફારોનો સીધો પ્રભાવ ભારત જેવા આયાત પર આધારિત દેશ પર પડે છે. જ્યારે પણ આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ વધે છે, ત્યારે તેનો ભાર સીધો સામાન્ય લોકોના ખિસ્સા પર પડે છે.

આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકાર હવે વિકલ્પ તરીકે ઇથેનોલ આધારિત ઇંધણને આગળ ધપાવી રહી છે. 2025માં 20 ટકા ઇથેનોલ મિશ્રણ (E20) લાગુ કરવામાં આવ્યું હતું, પરંતુ કેટલાક વાહનચાલકો દ્વારા માઇલેજ અને એન્જિન પ્રદર્શન અંગે ફરિયાદો પણ સામે આવી હતી. હવે સરકાર વધુ આગળ વધીને E85 પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે, જેમાં 85 ટકા ઇથેનોલ અને માત્ર 15 ટકા પેટ્રોલ હોય છે.

E85 ઇંધણનો ઉપયોગ કરવા માટે ખાસ પ્રકારના ‘ફ્લેક્સ-ફ્યુઅલ વાહનો’ (FFVs)ની જરૂર પડશે. આ વાહનોના એન્જિન ખાસ રીતે ડિઝાઇન કરવામાં આવે છે જેથી તેઓ ઊંચા પ્રમાણમાં ઇથેનોલ પર પણ સારો પરફોર્મન્સ આપી શકે. આ ટેકનોલોજીથી ઇંધણ કાર્યક્ષમતા જાળવી રાખવાની સાથે એન્જિનને નુકસાન થતું નથી.

આ પ્રોજેક્ટને આગળ વધારવા માટે તાજેતરમાં કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ઓઇલ માર્કેટિંગ કંપનીઓ, ઓટોમોબાઇલ ઉત્પાદકો અને સંબંધિત વિભાગોના નિષ્ણાતોએ ભાગ લીધો હતો. એક ખાસ કાર્યકારી જૂથે આ યોજના માટે વિગતવાર રોડમેપ પણ તૈયાર કર્યો છે, જે સરકાર સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે.

સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર સસ્તું ઇંધણ ઉપલબ્ધ કરાવવાનો નથી, પરંતુ દેશને વૈશ્વિક તેલ બજારના આંચકાઓથી બચાવવાનો પણ છે. જો આ યોજના સફળ થાય છે, તો ભવિષ્યમાં આપણા વાહનોમાં ભરાતું ઇંધણ મોટા પ્રમાણમાં દેશી સ્તરે બનાવેલા ઇથેનોલમાંથી આવશે. આથી આયાતમાં ઘટાડો થશે અને અર્થતંત્રને પણ મજબૂતી મળશે.
પેટ્રોલ-ડીઝલ ઇંધણનો સૌથી મહત્વનો સ્ત્રોત છે. આ પેટ્રોલિયમ બળતણ ઈંધણનો સૌથી સામાન્ય પ્રકાર છે. જાણવા માટે અહીં ક્લિક કરો..
