લાંબી લાઇનોમાંથી મુક્તિ અને ટિકિટ પર ડિસ્કાઉન્ટ, રેલવેએ આપી સસ્તી મુસાફરી કરવાની મોટી ઓફર
હવે રેલવે સ્ટેશન પર કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાની જરૂર નથી. રેલવેની નવી એપથી સ્માર્ટફોન દ્વારા ઘરે બેઠા જનરલ ટિકિટ બુક કરો અને પૈસા બચાવો.

હવે ટ્રેનમાં મુસાફરી કરવી વધુ સસ્તી અને સરળ બનવા જઈ રહી છે. ભારતીય રેલવેએ પોતાની સત્તાવાર એપ રેલવન (RailOne) દ્વારા જનરલ ટિકિટ બુક કરવા પર 3 ટકા સુધીની વિશેષ છૂટ આપવાની જાહેરાત કરી છે. આ સુવિધાનો ઉપયોગ કરીને મુસાફરો હવે સ્માર્ટ રીતે ટિકિટ બુક કરી પોતાના પૈસા બચાવી શકે છે.

જો તમે અવારનવાર ટ્રેન દ્વારા મુસાફરી કરો છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. રેલવેના જણાવ્યા અનુસાર, મુસાફરો હવે રેલવન એપની મદદથી પ્લેટફોર્મ કે જનરલ ટિકિટ ઓનલાઇન બુક કરાવી શકે છે અને ભાડામાં 3 ટકા સુધીની બચત મેળવી શકે છે.

સ્ટેશનની લાંબી લાઇનોમાંથી મળશે કાયમી મુક્તિ: રેલવેનું કહેવું છે કે રેલવન એપને મુસાફરોની યાત્રા વધુ સરળ, ઝડપી અને સુવિધાજનક બનાવવા માટે તૈયાર કરવામાં આવી છે. આ એપની મદદથી મુસાફરોએ ટિકિટ લેવા માટે સ્ટેશન પર જઈને કલાકો સુધી લાંબી લાઈનોમાં ઉભા રહેવાની જરૂર નહીં પડે. તમારા મોબાઈલ ફોનથી જ ગણતરીની મિનિટોમાં જનરલ ટિકિટ બુક કરી શકાશે.

રેલવન (RailOne) એપમાં મળશે આ અન્ય સુવિધાઓ: ટિકિટ બુકિંગ સિવાય આ એપમાં મુસાફરો માટે ઘણી અન્ય ઉપયોગી સેવાઓ પણ એક જ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કરાવવામાં આવી છે: લાઈવ ટ્રેન સ્ટેટસ (ટ્રેન ક્યાં પહોંચી તેની માહિતી) જાણી શકાશે. પીએનઆર (PNR) સ્ટેટસ સરળતાથી ચેક કરી શકાશે. ટ્રેનમાં તમારા કોચની સ્થિતિ જાણી શકાશે.

ડિજિટલ પેમેન્ટ પર જ મળશે આ ડિસ્કાઉન્ટ: રેલવેએ સ્પષ્ટ કર્યું છે કે જે મુસાફરો રેલવન એપ દ્વારા ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ કરીને જનરલ ટિકિટ બુક કરશે, તેમને જ ભાડા પર 3 ટકા સુધીની છૂટ આપવામાં આવશે. આનાથી મુસાફરોના પૈસા પણ બચશે અને ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન પણ મળશે.

ઓફર માત્ર મર્યાદિત સમય માટે: જો કે, રેલવેએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે આ વિશેષ ડિસ્કાઉન્ટ હંમેશા માટે ઉપલબ્ધ નથી. આ ઓફર માત્ર 14 જુલાઈ 2026 સુધી જ માન્ય રહેશે. તેથી જે મુસાફરો આ સસ્તી ટિકિટનો લાભ લેવા માંગતા હોય, તેમણે નિર્ધારિત સમય મર્યાદામાં આ એપનો ઉપયોગ કરવો પડશે.

એપ ક્યાંથી ડાઉનલોડ કરવી? રેલવે દ્વારા બહાર પાડવામાં આવેલી માહિતીમાં મુસાફરોને આ સુવિધાનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે. આ એપ ગૂગલ પ્લે સ્ટોર (Google Play Store) અને એપલ એપ સ્ટોર (Apple App Store) બંને પર મફતમાં ઉપલબ્ધ છે. રેલવેનું માનવું છે કે આ ડિજિટલ સેવાના કારણે સ્ટેશનો પર ભીડ ઓછી થશે અને લોકોનો કિંમતી સમય બચશે. રેલવેએ આ એપને "સ્માર્ટ મુસાફરની સ્માર્ટ પસંદ" ગણાવી છે.
જો વેકેશનમાં તાજમહેલ, મથુરા કે વૃંદાવન જવું હોય તો અમદાવાદથી જવા માટે મળશે સીધી ટ્રેન, જાણો ટ્રેનનું આખું ટાઇમટેબલ અને રૂટની વિગતો
