ધૂળ ખાતી સુપરસ્પેશ્યિલિટી: 200 કરોડના ખર્ચે ગરીબ દર્દીઓ માટે અદ્યતન 7 વિભાગો તૈયાર કરાયા, ડૉક્ટરના અભાવે બન્યા શોભાના ગાંઠિયા- જુઓ Video
ભાવનગરની સર ટી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ 200 કરોડના ખર્ચે બની, પરંતુ 7માંથી માત્ર 1 જ વિભાગ કાર્યરત છે. ડૉક્ટરોની અછતને કારણે આધુનિક ઉપકરણો અને બાકીના 6 વિભાગો ધૂળ ખાઈ રહ્યા છે. ગરીબ દર્દીઓ માટે બનાવવામાં આવેલી સુપર સ્પેશ્યિલિટી હોસ્પિટલ હાલ શોભાના ગાંઠિયા સમાન ભાસી રહી છે અને ડૉક્ટર્સના અભાવે ધૂળ ખાઈ રહી છે. જ્યારે ગરીબ દર્દીઓ મોંઘી સારવાર રાહત દરે મેળવવાથી વંચિત છે.

ભાવનગર શહેરની પ્રસિદ્ધ સર. ટી. હોસ્પિટલમાં ન માત્ર ભાવનગરમાંથી પરંતુ, આસપાસના અમરેલી, બોટાદ અને ઉનામાંથી પણ દર્દીઓ સારવાર માટે આવે છે. કાયમ દર્દીઓથી ઊભરાતી આ હોસ્પિટલને સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલની જરૂર હતી.
જરૂરિયાતને ધ્યાને લઈ પૂરા 200 કરોડના ખર્ચે ભાવનગરમાં સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ તૈયાર કરાઈ. આ હોસ્પિટલમાં 7 વિભાગો તૈયાર કરાયા છે. જેમાં જરૂરિયાત મુજબ કરોડાના ખર્ચે આધુનિક મશીનો પણ મુકાઈ ચુક્યા છે. પરંતુ, ખાટલે મોટી ખોટ એ છે કે સાડા ચાર વર્ષથી બનેલી આ હોસ્પિટલમાં હજુ સુધી માત્ર એક ન્યુરો સર્જરી વિભાગ જ શરૂ થયો છે. હોસ્પિટલના અન્ય વિભાગો અને સાધનો ધૂળ ખાઈ રહ્યા છે કારણ કે હોસ્પિટલ માટે જરૂરી તબીબો જ ઉપલબ્ધ નથી. એક તરફ ગરીબ દર્દીઓના સગાની માગ છે કે ઝડપથી અન્ય વિભાગો શરૂ થવા જોઈએ તો બીજી તરફ કોંગ્રેસે સમગ્ર મામલે શાસક પક્ષને ઘેરવાનો પ્રયાસ કર્યો.
વર્ષ 2017માં રાજ્ય સરકારે સર ટી. હોસ્પિટલમાં જ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ માટે મંજૂરી આપી હતી. વર્ષ 2018માં તેના માટે કામ શરૂ થયું. આધુનિક તપાસ કે મોંઘા લેબોરેટરી રિપોર્ટ ન કરાવી શકતા દર્દીઓ… આ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ પર આશા રાખીને બેઠા હતા. જો કે તમામ વોર્ડ, AC, ઓક્સિજન પ્લાન્ટ, વેઈટિંગ રૂમ, ડૉક્ટરોની ચેમ્બર, ઑપરેશન થિયેટર બધું જ સજ્જ થઈ જવા છતાં હોસ્પિટલ શરૂ ન થઈ. ત્યારે દોઢ વર્ષ પહેલાં… ભાવનગરના સાંસદ નિમુ બાંભણિયાના પ્રયાસોથી માત્ર એક ન્યૂરો સર્જરી વિભાગ શરૂ થયો. હવે સવાલ એ ઊઠી રહ્યા છે કે સરકારી હોસ્પિટલમાં સ્પેશ્યિલ વિભાગો શરૂ ન કરીને ક્યાંક ખાનગી હોસ્પિટલોને કમાવવા માટેનો કારસો તો નથી રચાઈ રહ્યો ને ? જો કે હોસ્પિટલ સુપરિન્ટેન્ડેન્ટ અને શાસક પક્ષનો દાવો છે કે હોસ્પિટલના તમામ વિભાગ શરૂ થાય તે માટે પૂરા પ્રયાસ થઈ રહ્યા છે.
અન્ય વિભાગો માટે ભાવનગર મેડિકલ કોલેજ દ્વારા સ્ટાફ અને ડૉક્ટરોની માંગણી સરકારમાં કરવામાં આવી છે. પરંતુ, આ માંગણી સરકાર ક્યારે પૂરી કરશે… તે મોટો સવાલ છે.
Input Credit- Ajit Gadhvi- Bhavngar
ભારતમાં ક્યાં આવેલુ છે ‘તાળાવાળા મહાદેવ’ નું મંદિર? શ્રાવણમાં દર્શન માટે ઉમટે ભક્તોની ભીડ