ગંભીરા બાદ ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી, પુલ સલામતી પર ગંભીર સવાલ, જુઓ Video
ગંભીરા બ્રિજ બાદ ખેડાના ઠાસરામાં વધુ એક 70 વર્ષ જૂનો બ્રિજ ધરાશાયી થયો છે. ચિતલાવથી સરદારપુરાને જોડતા આ બ્રિજના પિલ્લર પાસે માટી ધોવાણને કારણે સ્ટ્રક્ચર નબળું પડ્યું હતું.
ગંભીરા બ્રિજ બાદ ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી થયો છે, જેના કારણે રાજ્યમાં બ્રિજ સલામતી અને માળખાગત સુવિધાઓની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે. ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં ચિતલાવથી સરદારપુરાને જોડતો લગભગ 70 વર્ષ જૂનો માઇનોર બ્રિજ ધડાકાભેર તૂટી પડ્યો હતો.
પ્રાથમિક માહિતી મુજબ, બ્રિજના પિલ્લર પાસે થયેલા માટી ધોવાણને કારણે સ્ટ્રક્ચર નબળું પડ્યું અને તે ધરાશાયી થયું હોવાની આશંકા છે. સદનસીબે, ઘટના સમયે બ્રિજ પર કોઈ વાહન કે રાહદારી ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. જોકે, આ ઘટના બાદ જાન્યુઆરીમાં આ બ્રિજ માટે નવા બ્રિજ બનાવવાની દરખાસ્ત કરવામાં આવી હોવા છતાં કોઈ કાર્યવાહી ન થઈ હોવાનું સામે આવ્યું છે.
આરએનબી અને સિંચાઈ વિભાગ વચ્ચે સંકલનનો અભાવ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે, જ્યાં અધિકારીઓ જવાબદારી એકબીજા પર ઢોળી રહ્યા છે. વારંવાર બ્રિજ તૂટવાની ઘટનાઓ, જૂના બ્રિજની સલામતી નિરીક્ષણ અને જાળવણીની અસરકારકતા પર પ્રશ્નાર્થ ઊભા કરે છે.
ઠાસરા બ્રિજ તૂટ્યા બાદ હવે રાજ્યના અન્ય જૂના બ્રિજની સુરક્ષા અંગે પણ ચિંતા વધી છે. તંત્ર દ્વારા વૈકલ્પિક રૂટની વ્યવસ્થા કરવામાં આવી છે અને સ્થાનિકો નવા બ્રિજની માંગ કરી રહ્યા છે. રાજ્યના પુલોની સુરક્ષા માટે હવે તાત્કાલિક મોટા પગલાં લેવાની જરૂરિયાત છે.
બચત ખાતામાં એક વર્ષમાં કેટલી રોકડ જમા કરી શકાય? જાણો બેંકના નિયમો અને તેની અસર

