મચ્છરો પાસે છે એવો ‘સુપરપાવર’ કે ઘોર અંધારામાં પણ તમને શોધી લેશે, જાણો તેની પાછળનું ચોંકાવનારું વિજ્ઞાન
ઘોર અંધારામાં પણ મચ્છર સીધા તમારા પર જ કેમ ત્રાટકે છે? તેની પાછળ કોઈ જાદુ નથી પણ એક વિજ્ઞાન છે, જેમાં તમે પોતે જ તેમને રસ્તો બતાવો છો.

ઉનાળો હોય કે ચોમાસું, મચ્છરોનો ત્રાસ દરેકને પરેશાન કરે છે. ઘણીવાર આપણને પ્રશ્ન થાય છે કે લાઈટ બંધ હોય અને રૂમમાં ઘોર અંધારું હોય, તો પણ આ નાનકડું જીવડું સીધું આપણા કાન પાસે જ કેવી રીતે પહોંચી જાય છે? શું તેમની પાસે રાત્રે જોવાની કોઈ ખાસ શક્તિ છે? સત્ય એ છે કે મચ્છર તમને જોવા માટે આંખોનો નહીં, પણ તમારા શરીરના સંકેતોનો ઉપયોગ કરે છે.

તમારો શ્વાસ જ બને છે તેમનો રસ્તો: વિજ્ઞાન કહે છે કે મચ્છરોને આપણી પાસે ખેંચી લાવવાનું સૌથી મોટું કારણ આપણો શ્વાસ છે. જ્યારે આપણે શ્વાસ બહાર કાઢીએ છીએ, ત્યારે કાર્બન ડાયોક્સાઈડ (CO2) ગેસ નીકળે છે. મચ્છરોમાં એવા સેન્સર્સ હોય છે જે આશરે 30 થી 50 ફૂટ દૂરથી પણ CO2 ની હાજરીને ઓળખી લે છે. અંધારામાં તમારી શ્વાસની દિશા જ મચ્છરો માટે જીપીએસ (GPS) જેવું કામ કરે છે.

શરીરની ગરમી અને 'ઇન્ફ્રારેડ' વિઝન: માત્ર શ્વાસ જ નહીં, પણ તમારા શરીરની કુદરતી ગરમી પણ મચ્છરોને આકર્ષે છે. મચ્છરો પાસે ઇન્ફ્રારેડ સેન્સર્સ હોય છે, જે અંધારામાં પણ ગરમ શરીરને પારખી શકે છે. જ્યારે તમે ઊંઘતા હોવ છો, ત્યારે તમારા શરીરનું તાપમાન તેમને સંકેત આપે છે કે શિકાર ક્યાં છે. આ જ કારણ છે કે ઠંડી વસ્તુઓ કરતા ગરમ લોહી ધરાવતા મનુષ્યો પર મચ્છર વધુ ત્રાટકે છે.

પરસેવો અને ત્વચાની ખાસ સુગંધ: દરેક માણસના શરીરની સુગંધ અલગ હોય છે. આપણી ત્વચામાંથી નીકળતો પરસેવો, એમોનિયા અને લેક્ટિક એસિડ મચ્છરો માટે પરફ્યુમ જેવું કામ કરે છે. જે લોકોના શરીરમાંથી લેક્ટિક એસિડ વધુ નીકળતું હોય, તેમને મચ્છરો વધુ કરડે છે. આથી જ તમે જોયું હશે કે એક જ રૂમમાં સૂતેલા બે લોકોમાંથી એકને મચ્છર વધુ પરેશાન કરે છે અને બીજાને ઓછા.

બીમારીઓથી બચવા શું કરવું?: મચ્છર માત્ર ઊંઘ બગાડે છે એટલું જ નહીં, પણ મેલેરિયા અને ડેન્ગ્યુ જેવી જીવલેણ બીમારીઓ પણ ફેલાવે છે. તેનાથી બચવા માટે ઘરની આસપાસ પાણી જમા ન થવા દેવું અને રાત્રે મચ્છરદાની કે ઓલ-આઉટ જેવા સાધનોનો ઉપયોગ કરવો જરૂરી છે. યાદ રાખો, અંધારામાં તમે ભલે તેમને ન જોઈ શકો, પણ તેઓ તમને તમારી ગંધ અને શ્વાસથી શોધી જ લેશે.
ડિજિટલ દુનિયાનો ‘છુપો દુશ્મન’: ક્યાંક તમારું WiFi રાઉટર તો નથી કરી રહ્યું ને જાસૂસી?
