અમીરો સામે ચૂપ રહેતું ‘તંત્ર’ ગરીબ ખેડૂતોને જ ‘હેરાન’ કરશે? કંપનીના ફાયદા માટે અન્નદાતાઓ પર અત્યાચાર ક્યાં સુધી?
ભરૂચના હાંસોટમાંથી પસાર થતી પાવરગ્રીડ હાઈટેન્શન લાઈનની કામગીરી સામે સ્થાનિક ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે, પાવરગ્રીડ કંપની અને તંત્ર દ્વારા તેમની જમીનમાં ગેરકાયદેસર રીતે રસ્તો બનાવીને કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
ભરૂચના હાંસોટ ગામમાં પાવરગ્રીડ હાઈટેન્શન લાઈનના કામનો ખેડૂતોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે, તેમની મંજૂરી લીધા વિના જ કંપનીએ ખેતરોમાં ગેરકાયદેસર રસ્તો બનાવીને ટાવર માટેનું ખોદકામ શરૂ કરી દીધું છે, જેના કારણે કંપનીના ભારે વાહનો પસાર થતા તેમની જમીનને વ્યાપક નુકસાન થઈ રહ્યું છે. આ જ મુદ્દે હાલ ખેડૂતો આકરાપાણીએ છે.
બીજી તરફ, પોષણક્ષમ ભાવ, જમીનનું યોગ્ય વળતર અને દેવા માફી સહિતની પાંચ મુખ્ય માંગણીઓ સાથે 15 જૂનના રોજ યોજાનારી રેલીમાં ભાગ લેવા માટે અંકલેશ્વર અને હાંસોટ પંથકમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો રવાના થયા હતા.
આ રેલી જ્યારે અંકલેશ્વરની કડકડીયા કોલેજ નજીક પહોંચી, ત્યારે પોલીસ દ્વારા તેમને અટકાવવામાં આવ્યા હતા, જેના કારણે ત્યાં ભારે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. લાંબી રકઝક અને વિવાદ બાદ પોલીસે ખેડૂતોને આગળ વધવા તો દીધા પરંતુ થોડી જ વારમાં આ રેલીને ફરીથી અટકાવી દેવામાં આવી હતી. પોલીસની આ કડક કાર્યવાહી બાદ આક્રોશિત ખેડૂતોમાં ભારે રોષનો માહોલ જોવા મળી રહ્યો છે.

