જૂના જમાનામાં ઘરની વચ્ચે આંગણું કેમ રાખવામાં આવતું હતું ? કારણ જાણીને તમે પણ કહેશો- ‘વાહ, શું સાયન્સ હતું!’
શું તમને યાદ છે તમારા ગામડાના ઘરનું એ આંગણું? જ્યાં વહેલી સવારે સૂરજ ઉગતો અને રાત્રે તારાઓ દેખાતા. આજના મોર્ડન ફ્લેટ્સના જમાનામાં જે 'આંગણું' ગાયબ થઈ ગયું છે, તેની પાછળ માત્ર પરંપરા નહીં પણ જોરદાર સાયન્સ છુપાયેલું હતું!

જૂના જમાનામાં આજની જેમ 24 કલાક વીજળી કે મોંઘા એસી નહોતા. ઘરની બરોબર વચ્ચે આવેલું ખુલ્લું આંગણું કુદરતી વેન્ટિલેશનનું કામ કરતું હતું. તેનાથી આખા ઘરમાં સૂર્યપ્રકાશ અને તાજી હવા સરળતાથી મળી રહેતી, જેના કારણે લાઈટ વગર પણ ઘર આખો દિવસ અજવાળાથી અને ઠંડકથી ભરેલું રહેતું.

એ જમાનામાં સ્ત્રીઓ મોટેભાગે ઘરકામમાં વ્યસ્ત રહેતી અને બહાર ઓછું નીકળતી. આવામાં ઘરનું આંગણું તેમના માટે એક સુરક્ષિત અને અંગત સ્પેસ (Private Space) બનતું. અહીં તેઓ અનાજ સાફ કરવાથી માંડીને પાપડ સુકવવા જેવા કામો હવામાં હસતા-રમતા કરી શકતી.

આંગણું એ માત્ર જગ્યા નહોતી, પણ આખા પરિવારને એક તાંતણે બાંધતું કેન્દ્ર હતું. સવારે સૂર્ય નારાયણને જળ ચડાવવાથી શરૂ કરીને, સાંજે વડીલોની ચાની ચૂસકીઓ અને રાત્રે દાદા-દાદીની વાર્તાઓ... આ બધું જ આંગણામાં જ સમેટાયેલું હતું. તે પરિવારને જોડી રાખવાનું કામ કરતું.

લગ્નપ્રસંગ હોય, સીમંત હોય કે પછી દિવાળી-હોળી જેવા તહેવારો, ઘરનું આંગણું દરેક ખુશીઓનું સાક્ષી બનતું. મંડપ બાંધવો હોય કે ગરબા રમવા હોય, ગામડાના ઘરોમાં આંગણું જ સૌથી મોટું અને વહાલું 'બેન્ક્વેટ હોલ' બની જતું હતું.

આંગણામાં રહીને માણસ ઘરની અંદર હોવા છતાં કુદરતની નજીક રહેતો. તુલસીનો ક્યારો, આંગણામાં ચણતા પક્ષીઓ, ચોમાસામાં વરસાદની પહેલી બુંદો ઝીલવી અને ઉનાળાની રાત્રે ખુલ્લા આકાશ નીચે તારા ગણતા ગણતા સૂઈ જવું—આ અદભુત લહાવો આંગણાને લીધે જ મળતો હતો.

વાસ્તુશાસ્ત્ર અને વિજ્ઞાન બંને માને છે કે ઘરની વચ્ચે ખુલ્લી જગ્યા હોવાથી નકારાત્મક ઉર્જા બહાર નીકળી જાય છે. સૂર્યના કિરણો સીધા ઘરમાં આવતા હોવાથી કીટાણુઓનો નાશ થતો અને ઘરના સભ્યોને પૂરતું વિટામિન-ડી (Vitamin D) મળી રહેતું, જે સ્વાસ્થ્ય માટે વરદાન સમાન હતું.

આજે મહાનગરોમાં ઊંચી ઈમારતો અને ફ્લેટ સંસ્કૃતિ આવી ગઈ છે. 4 દીવાલોની વચ્ચે બંધ થઈ ગયેલા આજના માણસ પાસે બધું જ છે, બસ એ ખુલ્લું આકાશ અને બાળપણનું આંગણું ખોવાઈ ગયું છે.
ટ્રમ્પની ચિંતા વધી! દુનિયાની સેન્ટ્રલ બેંકોએ અમેરિકાને આપ્યો મોટો ઝટકો, ડૉલર છોડી સોના તરફ કેમ વળ્યા લોકો?, વાંચવા માટે અહીં ક્લિક કરો
