યુદ્ધના મેદાનમાં સોનું બન્યું ‘સિકંદર’ ! આ ગોલ્ડ ફંડ્સે રોકાણકારોના નસીબ ચમકાવ્યા, શેરબજારના કડાકાને પણ માત આપી
યુદ્ધના ભય અને દુનિયાભરમાં વધતા તણાવ વચ્ચે સોનાની ચમક સતત વધી રહી છે. શેરબજારમાં મોટો કડાકો બોલાયો છે પણ સોનું રોકાણકારો માટે 'સિકંદર' સાબિત થયું છે. આ 5 ખાસ ગોલ્ડ ફંડ્સે માર્કેટના ઘટાડામાં પણ રોકાણકારોના નસીબ ચમકાવ્યા છે.

મિડલ ઈસ્ટમાં અમેરિકા-ઈરાન યુદ્ધે ગ્લોબલ માર્કેટને હચમચાવી દીધું છે. અમેરિકા અને ઈઝરાયેલના હુમલામાં ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનેઈના મોત બાદ સ્થિતિ વધુ ગંભીર બની છે. આ તણાવની અસર સોમવારે ભારતીય શેરબજાર પર પણ સ્પષ્ટ જોવા મળી હતી.

સેન્સેક્સ 1,048 પોઈન્ટથી વધુ તૂટીને 80,238 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 312 પોઈન્ટ ઘટીને 24,865 ના સ્તરે આવી ગઈ હતી. જો કે, આ દરમિયાન ગોલ્ડ અને સિલ્વર ETFમાં સારી તેજી જોવા મળી હતી.

ખાસ વાત એ છે કે, જ્યારે પણ વૈશ્વિક અનિશ્ચિતતા વધે છે, ત્યારે સોનાને સુરક્ષિત આશ્રયસ્થાન (Safe Haven) માનવામાં આવે છે. આ વખતે પણ એ જ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. યુદ્ધની આશંકા, તેલના ભાવમાં ઉછાળો અને વૈશ્વિક અસ્થિરતા વચ્ચે ગોલ્ડ ETFમાં રોકાણ વધ્યું છે. છેલ્લા એક વર્ષમાં કેટલાક ગોલ્ડ-સિલ્વર ફંડ્સે જબરદસ્ત રિટર્ન આપ્યું છે.

છેલ્લા એક વર્ષના આંકડાઓ પર નજર કરીએ તો, Edelweiss Gold and Silver ETF FoF Dir એ સૌથી વધુ 128.39% નું દમદાર રિટર્ન આપ્યું છે, જ્યારે Motilal Oswal Gold and Silver Passive FoF Dir પણ 106.86% ના વળતર સાથે બીજા ક્રમે છે. આ ઉપરાંત, ગોલ્ડ ETF ક્ષેત્રે LIC MF Gold ETF એ 85.49%, Axis Gold Dir એ 84.98% અને SBI Gold Dir એ 84.92% જેટલું શાનદાર રિટર્ન આપીને રોકાણકારોને શેરબજારના જોખમ સામે મજબૂત સુરક્ષા પૂરી પાડી છે.

ગોલ્ડ ETFમાં રોકાણનો ફાયદો એ છે કે, તેમાં ફિઝિકલ ગોલ્ડ (ભૌતિક સોનું) રાખવાની જરૂર નથી હોતી પરંતુ કિંમતનો પૂરો ફાયદો મળે છે. બીજું કે, જ્યારે શેરબજારમાં ઘટાડો આવે છે અને જોખમ વધે છે, ત્યારે રોકાણકારો પોતાના પોર્ટફોલિયોને સંતુલિત કરવા માટે સોનામાં ઇન્વેસ્ટ કરે છે. એવામાં હાલની પરિસ્થિતિમાં પણ આ જ જોવા મળી રહ્યું છે.

રોકાણકારો ગોલ્ડ ETF માં રોકાણ કરીને શાનદાર રિટર્ન મેળવી રહ્યા છે પરંતુ રોકાણકારોએ સમજવું જોઈએ કે, દરેક એસેટ ક્લાસમાં ઉતાર-ચઢાવ હોય છે. જો સ્થિતિ સામાન્ય થાય અને બજાર સ્થિર થાય, તો ઇક્વિટી ફરીથી રિકવર થઈ શકે છે.

આથી માત્ર એક જ વિકલ્પ પર દાવ લગાવવાને બદલે સંતુલિત પોર્ટફોલિયો રાખવો એ શ્રેષ્ઠ વ્યૂહરચના છે. હાલમાં બજારની નજર ત્રણ બાબતો (તેલના ભાવ, ઈરાનમાં નવા નેતૃત્વની પસંદગી અને અમેરિકાની આગળની રણનીતિ) પર છે. એવામાં આ ઘટનાની સીધી અસર સોના અને શેરબજાર બંને પર પડશે.
આ પણ વાંચો: જોત જોતામાં જ ભાવ ધડામ ! ચાંદીની ચમક મિનિટોમાં ગાયબ, રોકાણકારોના અબજો રૂપિયા મિનિટોમાં સ્વાહા
