‘વિઘ્નહર્તા’ કઈ દિશામાં બિરાજમાન થશે તો ઘરમાં આવશે ‘સુખ-શાંતિ’ ? ભૂલથી પણ આ જગ્યાએ ન રાખતા ગણેશજીનો ફોટો
ઘરમાં સુખ-સમૃદ્ધિ લાવવા અને વિઘ્નોને દૂર કરવા માટે ભગવાન ગણેશની પૂજા અચૂક કરવામાં આવે છે પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર જો ગણેશજીની મૂર્તિ કે ફોટો સાચી દિશામાં ન રાખવામાં આવે, તો તેનાથી ઘરમાં નકારાત્મકતા આવી શકે છે.

ભગવાન ગણેશને વિઘ્નહર્તા અને શુભતાનું પ્રતીક માનવામાં આવે છે. આ જ કારણ છે કે, નવા ઘરમાં પ્રવેશ હોય, ઓફિસની શરૂઆત હોય કે કોઈ શુભ કાર્યની શરૂઆત, સૌથી પહેલા ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. જો કે, ઘણા લોકો ઘરમાં ગણેશજીનો ફોટો કે મૂર્તિ તો લગાવી લે છે પણ એ નથી જાણતા કે, તેને કઈ દિશામાં રાખવી સૌથી શુભ માનવામાં આવે છે.

વાસ્તુશાસ્ત્ર અનુસાર, સાચી દિશામાં રાખવામાં આવેલી ભગવાન ગણેશની તસવીર ઘરમાં સકારાત્મક ઊર્જા જાળવી રાખવામાં મદદ કરે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર, ભગવાન ગણેશનો ફોટો કે મૂર્તિ ઉત્તર, પૂર્વ કે ઉત્તર-પૂર્વ (ઈશાન ખૂણો) દિશામાં લગાવવી શુભ માનવામાં આવે છે. આ દિશાઓને સકારાત્મક ઊર્જાનો સ્ત્રોત માનવામાં આવે છે. એવું કહેવાય છે કે, અહીં ગણેશજીની તસવીર લગાવવાથી ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિનો માહોલ જળવાઈ રહે છે. જો ઘરમાં પૂજા રૂમ હોય, તો ત્યાં જ ગણેશજીની તસવીર રાખવી સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે.

ઘણા લોકો ઘરના મુખ્ય દરવાજા પર ગણેશજીની તસવીર લગાવે છે. વાસ્તુ અનુસાર, જો તમે મુખ્ય દ્વાર પર ગણેશજીનો ફોટો લગાવી રહ્યા છો, તો દરવાજાની અંદરની તરફ તસવીર લગાવવી વધુ સારી માનવામાં આવે છે. કેટલીક માન્યતાઓ અનુસાર, જો દરવાજાની એક તરફ ગણેશજીની તસવીર લગાવવામાં આવે, તો બીજી તરફ પણ તે જ જગ્યાએ બીજી એક તસવીર લગાવવામાં આવે છે. એવું એટલા માટે માનવામાં આવે છે, જેથી સકારાત્મક ઊર્જાનું સંતુલન જળવાઈ રહે.

વાસ્તુ માન્યતાઓ અનુસાર, ભગવાન ગણેશની તસવીરને દક્ષિણ દિશામાં લગાવવાથી બચવું જોઈએ. આ સિવાય, સીડીઓની નીચે, બાથરૂમની નજીક કે એવી જગ્યા જ્યાં સાફ-સફાઈ ન રહેતી હોય, ત્યાં પણ ગણેશજીનો ફોટો કે મૂર્તિ ન રાખવી જોઈએ. આ જગ્યાઓ પર ભગવાનની તસવીર રાખવી શુભ માનવામાં આવતી નથી.

જો તમે ઘર માટે ગણેશજીનો ફોટો પસંદ કરી રહ્યા છો, તો બેઠેલી મુદ્રાવાળી તસવીર શુભ માનવામાં આવે છે. ઓફિસ માટે ઊભેલા ગણેશજીની તસવીર પણ સારી માનવામાં આવે છે, કારણ કે તે સક્રિયતા અને પ્રગતિનું પ્રતીક ગણાય છે. આ સિવાય એવી તસવીર પસંદ કરો કે, જેમાં ભગવાન ગણેશનો ચહેરો શાંત અને પ્રસન્ન દેખાતો હોય. તૂટેલી, ફાટેલી કે ઝાંખી તસવીરનો ઉપયોગ કરવાનું ટાળો.

વાસ્તુ માન્યતાઓ અનુસાર, એક જ જગ્યાએ બહુ બધી ગણેશજીની મૂર્તિઓ કે તસવીરો રાખવાથી બચવું જોઈએ. સારું રહેશે કે, એક કે બે તસવીરો જ રાખો અને તેની નિયમિત રીતે સાફ-સફાઈ અને પૂજા કરો.
વાસ્તુશાસ્ત્ર એ પ્રકૃતિ અને ઉર્જાના નિયમો પર આધારિત ભારતીય સંસ્કૃતિનું એક પ્રાચીન વિજ્ઞાન છે, જેને મોટાભાગના હિંદુ ધર્મોમાં લોકો ઘર બનાવતી વખતે અથવા ઘરમાં વસ્તુઓ ગોઠવતી વખતે ધ્યાનમાં રાખવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રની વધુ સ્ટોરી વાંચવા આ ટોપિકને ફોલો કરતા રહો.
