જીવનસાથીના અવસાન બાદ ITR કોણ ભરશે? જાણો નોમિની અને કાનૂની વારસદારના અધિકારો
જો પતિ અથવા પત્નીનું વસીયત વગર અવસાન થાય તો તેમનું ITR કોણ ફાઇલ કરશે? નોમિની અને કાનૂની વારસદાર વચ્ચે શું ફરક છે? આવકવેરાના નિયમો મુજબ જાણો સંપૂર્ણ માહિતી.

પતિ અથવા પત્નીનું અવસાન થયા બાદ પરિવાર સામે અનેક કાનૂની અને નાણાકીય પ્રશ્નો ઉભા થાય છે. તેમાં સૌથી મહત્વનો પ્રશ્ન એ હોય છે કે મૃતકનું ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) કોણ ભરશે અને બેંક અથવા ડીમેટ ખાતામાં નોંધાયેલા નોમિનીનો અધિકાર કેટલો હોય છે.

ટેક્સ નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, જો મૃતકે કોઈ વસીયત બનાવી ન હોય તો નોમિની સંપત્તિનો માલિક બનતો નથી, પરંતુ તે માત્ર કાનૂની વારસદારો વતી ટ્રસ્ટી તરીકે કામ કરે છે.

આવકવેરાના નિયમો મુજબ જો મૃતકની આવક મૂળ કરમુક્ત મર્યાદાથી વધુ હોય અથવા ITR ભરવાની અન્ય શરતો લાગુ પડતી હોય, તો કાનૂની વારસદારે મૃતકના નામે ITR ફાઇલ કરવું ફરજિયાત બને છે. નવા ટેક્સ રજીમમાં મૂળ કરમુક્ત મર્યાદા 4 લાખ રૂપિયા છે, જ્યારે જૂના ટેક્સ રજીમમાં ઉંમર મુજબ આ મર્યાદા અલગ હોય છે.

જો વસીયત ન હોય તો મૃત્યુની તારીખ સુધીની આવક માટે એક જ ITR ભરવાનું રહે છે. ત્યારબાદ સંપત્તિમાંથી થતી આવક સંબંધિત કાનૂની વારસદારોના નામે કરપાત્ર ગણાય છે.

નિષ્ણાતોનું કહેવું છે કે સમયસર ITR ન ભરાય તો ટેક્સ નોટિસ, રિફંડમાં વિલંબ અથવા અન્ય કાનૂની મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. તેથી કાનૂની વારસદારે સમયસર ઇન્કમ ટેક્સ પોર્ટલ પર પોતાને કાનૂની પ્રતિનિધિ તરીકે નોંધણી કરાવી જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરવી જોઈએ.
Form 16 વગર પણ સરળતાથી ભરી શકશો ITR! જાણો કયા દસ્તાવેજોથી થશે ટેક્સ રિટર્ન ફાઇલ
