દિવાળી સુધીમાં સોનાનો ભાવ કેટલો હશે ? ખરીદતા પહેલા એક્સપર્ટ્સનું આ ગણિત સમજી લો
અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવની સીધી અસર હવે સોના-ચાંદીના ભાવ પર પડી રહી છે. આ તણાવના લીધે હાલમાં બંને કિંમતી ધાતુઓની કિંમતો થોડી ઘટી છે. એવામાં લોકો મૂંઝવણમાં છે કે, સોનામાં હાલ ખરીદી કરવી કે થોડી રાહ જોવી? ત્યારબાદ બીજો એક સવાલ એ છે કે, દિવાળી સુધીમાં સોનાનો ભાવ કેટલો હશે?

અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવે ફરી એકવાર ગ્લોબલ માર્કેટની દિશા બદલી નાખી છે. પશ્ચિમ એશિયામાં વધતી ચિંતાને કારણે મોંઘવારી એટલે કે ઇન્ફ્લેશન (Inflation) અંગેનો ડર વધ્યો છે, જેની અસર સોનાના ભાવ પર જોવા મળી છે. ઇન્ટરનેશનલ માર્કેટમાં સોનું ફરીથી 4,000 ડોલર પ્રતિ ઔંસની આસપાસ આવી ગયું છે. બીજી તરફ,ઘરેલું બજારમાં સોનાનો ભાવ આશરે 1.40 લાખથી 1.42 લાખ રૂપિયાની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે.

બજારના નિષ્ણાતોનું માનવું છે કે, સોનામાં હવે બહુ મોટા ઘટાડાની શક્યતા ઓછી છે. એક્સપર્ટના મતે વર્તમાન સ્તરે સોનું મોટાભાગે પોતાનું બોટમ (Bottom) બનાવી ચૂક્યું છે અને વધુમાં વધુ 5 ટકા સુધીનો ઘટાડો જ જોવા મળી શકે છે. સોનાના ભાવમાં આવેલી નરમાઈ પાછળનું સૌથી મોટું કારણ અમેરિકા અને ઈરાન વચ્ચે વધતો તણાવ માનવામાં આવી રહ્યું છે. પશ્ચિમ એશિયામાં તણાવ વધવાને કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં તેજી આવી છે. આનાથી બજારમાં મોંઘવારી વધવાની ચિંતા ફરી વધી ગઈ છે.

આ સિવાય અમેરિકી ફેડરલ રિઝર્વ (Federal Reserve) દ્વારા વ્યાજદરો અંગે લેવાનારા નિર્ણયોને લઈને પણ રોકાણકારો સતર્ક છે. જો વ્યાજદરો લાંબા સમય સુધી ઊંચા રહેશે, તો સોના પર દબાણ આવી શકે છે કારણ કે સોના પર કોઈ વ્યાજ મળતું નથી. એક્સપર્ટનું કહેવું છે કે, વર્તમાન ઘટાડાને લઈને બહુ ગભરાવાની જરૂર નથી. બજારમાં હવે ધીમે-ધીમે ડર ઓછો થઈ રહ્યો છે અને 'સોનું' કન્સોલિડેશન ફેઝ (Consolidation Phase) માં જોવા મળી રહ્યું છે.

જ્વેલરી ખરીદનારા ગ્રાહકો માટે એક્સપર્ટે જણાવ્યું કે, વર્તમાન સમય ખરીદીના દ્રષ્ટિકોણથી સારો હોઈ શકે છે. તેમનું માનવું છે કે, ઘરેલું બજારમાં સોનાનો મજબૂત આધાર આશરે 1.35 લાખ રૂપિયાની આસપાસ બની શકે છે. એક્સપર્ટના મતે, જે ગ્રાહકો માત્ર એવી આશામાં ખરીદી ટાળી રહ્યા છે કે સોનું હજુ સસ્તું થશે, તેમણે વધુ રાહ જોવાની જરૂર નથી. આવું એટલા માટે કારણ કે, વર્તમાન સ્તરોથી બહુ મોટા ઘટાડાની શક્યતા ઓછી દેખાઈ રહી છે. સોનાના ભાવમાં ઘટાડા બાદ જ્વેલરી માર્કેટમાં માંગમાં સુધારો જોવા મળ્યો છે. થોડા સમય પહેલા મોંઘા ભાવ અને બજારની અનિશ્ચિતતાને કારણે જ્વેલર્સનું વેચાણ ખૂબ પ્રભાવિત થયું હતું.

એક્સપર્ટના જણાવ્યા અનુસાર, પહેલા જ્યાં જ્વેલરી ડિમાન્ડમાં આશરે 75 થી 80 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો. હવે આ ઘટાડો ઘટીને આશરે 40 થી 45 ટકા રહી ગયો છે. આનો અર્થ એ છે કે, બજાર ધીમે-ધીમે પાછું પાટા પર આવી રહ્યું છે. ઓગસ્ટ અને સપ્ટેમ્બરથી ફેસ્ટિવ સીઝનની ખરીદી શરૂ થવાની આશા છે. તેવામાં દિવાળી દરમિયાન માંગ ગયા વર્ષ જેટલી જ અથવા તેનાથી વધુ સારી રહી શકે છે.

હવે સૌથી મોટો સવાલ એ છે કે, દિવાળી સુધીમાં સોનાનો ભાવ ક્યાં પહોંચી શકે છે? એક્સપર્ટના મતે જો અમેરિકા-ઈરાન તણાવ ઓછો થાય અને સ્થિતિ સામાન્ય બને તો દિવાળી સુધીમાં ઘરેલું બજારમાં સોનું આશરે 1.60 લાખ રૂપિયા સુધી પહોંચી શકે છે. બીજી તરફ, જો તણાવ યથાવત રહેશે તો ભાવ 1.35 લાખથી 1.45 લાખ રૂપિયાની વચ્ચે રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

ઇન્ટરનેશનલ માર્કેટમાં એક્સપર્ટનું કહેવું છે કે, સોનાનો મજબૂત સપોર્ટ આશરે 3,800 ડોલરની આસપાસ બની શકે છે. આગળ જતાં 5,100 ડોલરનું સ્તર મહત્વપૂર્ણ રહેશે. સોનાની સાથે 'ચાંદી' પર પણ બજારની નજર ટકેલી છે. એક્સપર્ટના મતે, ચાંદીમાં 60 ડોલરની આસપાસ મજબૂત કારોબાર જોવા મળી શકે છે. ઘરેલું બજારમાં ચાંદી માટે 2.20 લાખ રૂપિયાની આસપાસ સપોર્ટ હોવાનું કહેવાયું છે, જ્યારે 2.28 લાખ રૂપિયા સુધીના ટાર્ગેટ જોવા મળી શકે છે.

એક્સપર્ટની સલાહ છે કે, સોનામાં લાંબાગાળાના દ્રષ્ટિકોણથી ખરીદી કરી શકાય છે. વર્તમાન સ્તરો પર ધીમે-ધીમે રોકાણ કરવું એ વધુ સારી રણનીતિ હોઈ શકે છે. જો કે, બજારમાં અમેરિકા-ઈરાન તણાવ, મોંઘવારી અને અમેરિકી વ્યાજદરોના નિર્ણયો પર નજર રાખવી જરૂરી રહેશે. આવનારા મહિનાઓમાં આ જ ફેક્ટર્સ સોનાની દિશા નક્કી કરશે.
Breaking News : HFCL કંપનીને મળ્યો મેગા એક્સપોર્ટ ઓર્ડર, શેરમાં આવી શકે નવી તેજી?
