T20 WC Breaking : ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ફાઈનલમાં પહોંચવા જામશે જંગ, જાણો કેવો છે સેમિફાઇનલમાં બંને ટીમનો રેકોર્ડ
T20 વર્લ્ડ કપ 2026ના સેમિફાઇનલમાં ભારત અને ઇંગ્લેન્ડ ફરી એકવાર આમને-સામને આવી રહ્યા છે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં 5 માર્ચે રમાનારી આ હાઈવોલ્ટેજ મેચ પર વિશ્વભરના ક્રિકેટપ્રેમીઓની નજર છે. છેલ્લા બે વર્લ્ડ કપની જેમ આ વખતે પણ બંને ટીમ વચ્ચે મજેદાર મુકાબલો થવાની પૂરી શક્યતા છે.

T20 વર્લ્ડ કપ 2026 માં ટીમ ઈન્ડિયાએ શાનદાર પ્રદર્શન સાથે સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે. વેસ્ટ ઈન્ડિઝ સામેની ક્વાર્ટર ફાઇનલ જેવી મેચમાં ભારતે 5 વિકેટથી જીત મેળવી પોતાની દાવેદારી મજબૂત બનાવી છે. આ છઠ્ઠી વખત છે જ્યારે ભારતીય ટીમ T20 વર્લ્ડ કપના સેમિફાઇનલ સુધી પહોંચી છે અને સતત ત્રીજી વખત ટોપ-4 માં સ્થાન બનાવ્યું છે.

5 માર્ચે મુંબઈના ઐતિહાસિક વાનખેડે સ્ટેડિયમમાં ભારતનો સામનો ઇંગ્લેન્ડ સાથે થશે. બંને ટીમો વચ્ચે છેલ્લા બે T20 વર્લ્ડ કપમાં સેમિફાઇનલમાં ટક્કર થઈ ચૂકી છે. આ સતત ત્રીજી સેમિફાઇનલ છે જેમાં ભારત અને ઇંગ્લેન્ડ આમને-સામને છે, જે આ મુકાબલાને વધુ રોમાંચક બનાવે છે.

2022 ના T20 વર્લ્ડ કપમાં એડિલેડ ખાતે રમાયેલી સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડે ભારતને 10 વિકેટથી હરાવ્યું હતું. ભારતે પહેલા બેટિંગ કરતાં 168 રન બનાવ્યા હતા, અને ઇંગ્લેન્ડે એક પણ વિકેટ ગુમાવ્યા વિના લક્ષ્ય હાંસલ કર્યું હતું. ત્યારબાદ ઇંગ્લેન્ડે ફાઇનલમાં પાકિસ્તાનને હરાવી ખિતાબ જીત્યો હતો.

જ્યારે 2024 ના T20 વર્લ્ડ કપમાં ભારતે જ્યોર્જટાઉનમાં રમાયેલી સેમિફાઇનલમાં 171 રનનો સ્કોર ઉભો કર્યો અને ઇંગ્લેન્ડને માત્ર 103 રનમાં સમેટી દીધું. ઇંગ્લેન્ડ સામે 68 રનથી જીત મેળવી અને બાદમાં ફાઇનલમાં ભારતે દક્ષિણ આફ્રિકાને હરાવી ટ્રોફી પોતાના નામે કરી હતી.

હાલ બંને ટીમો બે-બે વખત T20 વર્લ્ડ કપ જીતી ચૂકી છે. ભારતે 2007 અને 2024 માં ખિતાબ જીત્યો છે, જ્યારે ઇંગ્લેન્ડે 2010 અને 2022માં ટ્રોફી ઉંચકી છે. છેલ્લા બે સેમિફાઇનલના પરિણામોને જોતા સ્પષ્ટ થાય છે કે આ મેચની વિજેતા ટીમ ચેમ્પિયન બને છે. હવે જોવાનું રહ્યું કે 2026 માં ઇતિહાસ કઈ ટીમ તરફ વળે છે અને વાનખેડેમાં કોણ જીતનો ઝંડો લહેરાવે છે. (PC:PTI/X)
Breaking News : RCB એ કરી મોટી જાહેરાત, IPL 2026 માં હોમગ્રાઉન્ડ એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમશે આટલી મેચ
