સુરતમાં કારીગરોની હડતાળ દરમિયાન પોલીસ પર પથ્થરમારો, 500થી વધુ લોકોના ટોળા સામે નોંધાયો ગુનો- Video
સુરતના કારીગરો પગાર કપાત નહીં, ફરજિયાત રજા અને બોનસ સહિતની માગણીઓ સાથે હડતાળ પર ઉતર્યા છે. દેખાવો દરમિયાન પોલીસ પર હુમલાના આરોપસર 500 થી વધુ કારીગરોના ટોળા સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે CCTV ફૂટેજ આધારે પથ્થરમારો કરનારાઓની ઓળખ કરવા કવાયત હાથ ધરી છે.
ટેક્સ્ટાઈલ હબ ગણાતા સુરતમાં ગઈકાલે રવિવારે પણ એમ્બ્રોઈડરીના કારીગરો હડતાળ પર ઉતર્યા હતા. જે બાદ આજે શહેરના અમરોલીમાં વિસ્તારમાં પણ કામદારો હડતાળ પર ઉતર્યા છે. કારીગરો છેલ્લા બે દિવસથી પગાર કપાત નહીં, રજા અને બોનસ સહિતની માગ સાથે દેખાવ કરી રહ્યા છે. આ દેખાવો દરમિયાન કેટલાક કારીગરો દ્વારા પોલીસ પર હુમલો કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જે બાદ પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. પોલીસ પર હુમલો કરવાના આરોપસર કૂલ 500 લોકોના ટોળા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરાઈ છે. પોલીસે પથ્થરમારો કરનારા લોકોની ઓળખ કરવા માટેની કવાયત હાથ ધરી છે. CCTV ફુટેજ તેમજ અન્ય પુરાવા આધારે લોકોની ઓળખ પરેડ કરવાની કવાયત શરૂ કરાઈ છે.
ઉલ્લેખનિય છે કે રવિવારે પણ સુરતના અંજની ઈન્ડસ્ટ્રી, અમરોલી અને કતારગામના એમ્બ્રોઈડરી ઉદ્યોગમાં કારીગરો હડતાળ પર ઉતર્યા હતા. મોટી સંખ્યામાં કારીગરો હડતાળ પર ઉતરતા પોલીસ કમિશનરે વેદાંત ઈન્ડસ્ટ્રી ખાતે પહોંચી સ્થિતિનો તાગ મેળવ્યો હતો. ક્રાઈમ બ્રાંચ, SOG, PCB ની ટીમોએ પણ કારીગરોને સમજાવવા પ્રયાસ હાથ ધર્યા હતા. દર રવિવારે ફરજિયાત રજા આપવાની માગ સાથે કારીગરો હડતાળ પર ઉતરી ગયા છે. આખા મહિના દરમિયાન નિયમિત રજા ન મળતા કામદારોમાં ભારે રોષ ફેલાયો છે. શ્રમિકોએ કામકાજથી અળગા રહીને સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. કારીગરોએ ચીમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી તેમની માગ નહીં સંતોષવામાં આવે ત્યાં સુધી તેઓ હડતાળ જારી રાખશે. જે બાદ આજે અમરોલી વિસ્તારમાં પણ કારીગરોએ હડતાળ કરી તેમની માગો મનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
Input Credit- Baldev Suthar- Surat