Breaking News: KKR માટે હર્ષિત રાણાનો વિકલ્પ બની શકે આ ખેલાડી, માત્ર 30 લાખમાં થઈ શકે છે સોદો
IPL 2026 પહેલા કોલકાતા નાઈટ રાઈડર્સને મોટો ઝટકો લાગ્યો છે. ટીમનો ફાસ્ટ બોલર રાણા ઈજાના કારણે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. હવે તેની જગ્યાએ નવા બોલરને ટીમમાં સામેલ કરવાની ચર્ચા ચાલી રહી છે. જોકે આ બોલરને હર્ષિત કરતા 3.70 કરોડ રૂપિયા ઓછો પગાર મળશે.

કોલકાતા નાઈટ રાઈડર્સ માટે IPL 2026 પહેલા એક મહત્વપૂર્ણ બદલાવ થઈ શકે છે. ટીમનો ઝડપી બોલર હર્ષિત રાણા ઈજાના કારણે આ સિઝનમાંથી બહાર થયા બાદ મેનેજમેન્ટ હવે તેના વિકલ્પ તરીકે નવા ખેલાડીની શોધમાં છે. અહેવાલો મુજબ સિમરજીત સિંહ આ જગ્યા માટે મજબૂત દાવેદાર માનવામાં આવે છે.

સિમરજીત સિંહને IPLમાં રમવાનો અનુભવ છે અને તે અગાઉ બે અલગ ટીમો માટે રમી ચૂક્યો છે. તે પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સ અને ત્યારબાદ સનરાઈઝર્સ હૈદરાબાદ માટે રમ્યો હતો. જો તેને તક મળે તો કોલકાતા નાઈટ રાઈડર્સ તેની ત્રીજી IPL ટીમ બની શકે છે.

આ સંભવિત ડીલમાં સૌથી રસપ્રદ બાબત તેની સેલેરી છે. હર્ષિત રાણાનો IPL કરાર લગભગ ચાર કરોડ રૂપિયા હતો. જ્યારે અહેવાલો મુજબ સિમરજીત સિંહને ફક્ત લગભગ 30 લાખ રૂપિયામાં ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે. એટલે કે રાણા કરતા તેને 3.70 કરોડ રૂપિયા ઓછો પગાર મળશે.

સિમરજીત સિંહની IPL કારકિર્દી વિશે વાત કરીએ તો તેણે અત્યાર સુધી કુલ 14 મેચ રમી છે. તેમાં તેણે 11 વિકેટ લીધી છે. ચેન્નાઈ સુપર કિંગ્સ માટે રમેલી બે સિઝનમાં તેણે 10 મેચમાં નવ વિકેટ લીધી હતી.

આ પછી IPL 2025માં તે સનરાઈઝર્સ હૈદરાબાદનો ભાગ હતો. IPL 2025માં તેણે ચાર મેચ રમી અને બે વિકેટ લીધી હતી. જો કે તેને સતત તક મળી નહોતી. હવે જો સિમરજીત સિંહને તક મળે તો તે આ સિઝનમાં પોતાની પ્રતિભા સાબિત કરવાનો મોકો મળી શકે છે.

બીજી તરફ હર્ષિત રાણા T20 વર્લ્ડ કપ 2026 પહેલા વોર્મ-અપ મેચ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી મેચમાં તેના ઘૂંટણમાં ઈજા થઈ હતી અને ત્યારબાદ સર્જરી પણ કરવી પડી હતી. હાલમાં તે સંપૂર્ણ રીતે ફિટ ન હોવાથી IPL 2026માંથી બહાર થઈ ગયો છે. (PC:PTI/X)
Breaking News: વિરાટ અને રોહિત સાથેના સંબંધો પર ગૌતમ ગંભીરે તોડ્યું મૌન, ડ્રેસિંગ રૂમ વિશે કહી મહત્વની વાત
