ધોરાજીના ખેડૂતોએ ધિરાણ લઈને પાકનું વાવેતર કર્યુ અને હવે વરસાદ ખેંચાતા પાક બળી જવાની સતાવી રહી છે ભીતિ- Video
ધોરાજીના ખેડૂતોએ ધિરાણ લઈને પાકનુ વાવેતક કર્યુ છે પરંતુ વરસાદ ખેંચાતા પાક બળી જવાની ભીતિ સતાવી રહી છે. કૂવા અને ચેકડેમ ખાલી હોવાથી પિયત નથી મળી રહ્યું. મોંઘા બિયારણ-ખાતરનો ખર્ચ માથે પડતા ખેડૂતોને આર્થિક નુકસાનનો ડર સતાવી રહ્યો છે
ગુજરાતમાં આ વર્ષે ચોમાસુ ખેંચાતા ખેડૂતોની હાલત કફોડી બની છે. રાજકોટના ધોરાજી પંથકના ખેડૂતોએ વરસાદ આવશે તેવી આશાએ પાકનું વાવેતર તો કરી દીધુ પરંતુ હવે વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા વધી છે. વરસાદ ન આવતા પાકને પિયત નથી મળી રહ્યુ. વરસાદ ન થતા કૂવા, ચેકડેમ અને બોરવેલમાં પણ પાણી નથી, જેના કારણે ખેડૂતો પિયત આપી શક્તા નથી. એકતરફ ખેડૂતોએ મોંઘા બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓ સાથે વાવેતર કર્યુ અને હવે વરસાદ ન થતા ખેડૂતોને ખેડ ખર્ચ પણ માથે પડશે તેની ભીતિ સતાવી રહી છે. ખેતી પાછળ હજારો રૂપિયાનું રોકાણ કરનારા ધરતીપુત્રો ચિંતાગ્રસ્ત બન્યા છે.
ખેડૂતોએ વરસાદ આવવાની આશાએ મગફળી, કપાસ સહિતના ચોમાસુ પાકનું વાવેતર કર્યુ છે, કેટલાક ખેડૂતોએ ધિરાણ લઈને ખેતીમાં રોકાણ કર્યુ હતુ. પરંતુ વરસાદ ન થતા તેમનો પાક બચશે કે બળી જશે તેની ચિંતા તેમને દિવસ રાત કોરી ખાઈ રહી છે. આ વર્ષે વરસાદે જાણે મોં ફેરવી લીધુ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ખેડૂતોએ વાવેતર કર્યાને એક મહિના જેટલો સમય વીતી ગયો છે અને હજુ વરસાદ ન થતા ખેડૂતો ની હાલત કફોડી બની છે.
ખેડૂતોનું કહેવુ છે કે જો એક સપ્તાહમાં વરસાદ નહીં વરસે તો તેમનો પાક બળી જશે અને તેમને મોટુ નુકસાન વેઠવુ પડશે. ખેડૂતોને લાખો રૂપિયાનો ખર્ચ માથે પડશે. ત્યારે ખેડૂતોમાં ચિંતાના વાદળો ઘેરાયા છે.
હાલ તો ખેડૂતો આકાશ તરફ મીટ માંડીને મેઘરાજા મહેરબાન થાય તેની રાહ જોઈ રહ્યા છે. ત્યારે આગામી દિવસોમાં વરસાદ પડે તો ખેડૂતોને સારો વરસાદ વરસે અને ખેડૂતોનો પાક બચી જાય તેવી પ્રાર્થના સહુ કોઈ રહ્યા છે.
