Breaking News: વિરાટ અને રોહિત સાથેના સંબંધો પર ગૌતમ ગંભીરે તોડ્યું મૌન, ડ્રેસિંગ રૂમ વિશે કહી મહત્વની વાત
ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરે પહેલીવાર રોહિત શર્મા અને વિરાટ કોહલી સાથેના સંબંધોને લઈને ચાલી રહેલી ચર્ચાઓ પર ખુલ્લેઆમ વાત કરી છે. એક ઈન્ટરવ્યુ દરમિયાન તેણે સ્વીકાર્યું કે છેલ્લા કેટલાક સમયમાં તેનાથી કેટલીક ભૂલો થઈ હશે, પરંતુ તેના દરેક નિર્ણય પાછળ ટીમના હિતનો જ ઈરાદો રહ્યો છે.

ભારતીય ક્રિકેટમાં છેલ્લા કેટલાક સમયથી ગૌતમ ગંભીર અને સિનિયર ખેલાડીઓ વચ્ચેના સંબંધોને લઈને ઘણી ચર્ચાઓ થઈ રહી હતી. ખાસ કરીને રોહિત શર્મા અને વિરાટ કોહલી સાથેના તેના સંબંધો વિશે વિવિધ અટકળો સામે આવી રહી હતી. હવે પહેલીવાર વખત ગંભીરે આ મુદ્દે ખુલ્લેઆમ પોતાની વાત રજૂ કરી છે.

એક ઈન્ટરવ્યુ દરમિયાન ગંભીરને પૂછવામાં આવ્યું કે મીડિયામાં ચાલી રહેલી આ ચર્ચાઓને તે કેવી રીતે જોઈ રહ્યો છે. તેના જવાબમાં ગંભીરે શાંત રીતે જણાવ્યું કે તે કોઈ વ્યક્તિને નિશાન બનાવવામાં માનતો નથી અને ટીમના હિતને જ સૌથી મહત્વનું માને છે.

ગંભીરે સ્વીકાર્યું કે છેલ્લા દોઢ વર્ષમાં તેનાથી પણ કેટલીક ભૂલો થઈ હશે. તેણે કહ્યું કે માણસ તરીકે ભૂલો થવી સ્વાભાવિક છે. તેમ છતાં, કોઈ નિર્ણય લેતા સમયે ઈરાદો સારો હોવો સૌથી મહત્વપૂર્ણ છે. જો સારા ઈરાદા સાથે ખોટો નિર્ણય લેવાય તો તે સ્વીકાર્ય છે, પરંતુ ખોટા ઈરાદા સાથે લેવાયેલો નિર્ણય ક્યારેય યોગ્ય નથી.

ક્રિકેટ જગતમાં ચર્ચા ત્યારે વધુ તેજ થઈ ગઈ હતી જ્યારે રોહિત શર્મા અને વિરાટ કોહલીએ 2025ના ઈંગ્લેન્ડ પ્રવાસ પહેલા ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. કેટલાક ટીકાકારોએ આ નિર્ણયોને સીધા ગૌતમ ગંભીર સાથે જોડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ગંભીર આ અંગે કોઈ વિવાદાસ્પદ ટિપ્પણી કર્યા વગર શાંત રહ્યો.

ગંભીરે ડ્રેસિંગ રૂમના વાતાવરણ વિશે પણ મહત્વની વાત કરી. તેના મુજબ કોચ માટે ખેલાડીઓ સાથે પ્રામાણિક રહેવું ખૂબ જરૂરી છે. જો કોચ ખેલાડીઓ સાથે ખુલ્લેઆમ અને સાચી રીતે વાત કરે, તો ખેલાડીઓ પણ તેની સાથે નિર્ભય રીતે પોતાના વિચારો શેર કરી શકે છે.

ગંભીરે અંતમાં કહ્યું કે તેને વિશ્વાસ છે કે તે ટીમ ઈન્ડિયાના હેડ કોચ તરીકે સારું કામ કરી રહ્યો છે. તેના અનુસાર ટીમની અંદર લેવામાં આવતા દરેક નિર્ણયનો હેતુ ટીમને વધુ મજબૂત બનાવવાનો હોય છે. તેણે ઉમેર્યું કે ડ્રેસિંગ રૂમમાં શું ચાલે છે તેની સાચી માહિતી ફક્ત ટીમના લોકો જ જાણે છે. (PC:PTI/X)
Breaking News : T20 વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને ફેમસ બોલીવૂડ સિંગર શ્રેયા ઘોષાલ વચ્ચે છે ખાસ કનેક્શન, જાણો કેવી રીતે
