નંદ ઘેર આનંદ ભયો! ભગવાન કૃષ્ણના રંગમાં ભક્તો રંગાયા, મહાનુભાવો તલ્લીન થયા – જુઓ Photos
હરે કૃષ્ણ મંદિર, ભાડજ, અમદાવાદ દ્વારા કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવ 2025નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. 'હરે કૃષ્ણ મંદિર' ભાડજમાં ભગવાન કૃષ્ણની જન્માષ્ટમીની ઉજવણી ખુબ જ આનંદ અને ભક્તિભાવે કરવામાં આવી હતી, જેમાં ભક્તો અને સ્થાનિક લોકોએ ઉત્સાહથી ભાગ લીધો હતો.

હરે કૃષ્ણ મંદિર, ભાડજમાં શનિવારના રોજ એટલે કે 16 ઓગસ્ટ, 2025 ના રોજ 'કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવ'ની ભવ્ય રીતે ઉજવણી થઇ હતી. મંદિર ખાતે ઉજવાતો કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવ ખૂબ જ આગવો અને બધા ભકતોને એક અલૌકિક અનુભવ કરાવનારો હોય છે. ઉત્સવ દરમિયાન મહાભિષેક, હિંડોળા (ઝૂલન) ઉત્સવ, સાંસ્કૃતિક કાર્યક્રમો, સુવર્ણ રથ ઉત્સવે આ આયોજનને વધુ દર્શનીય બનાવ્યું હતું.

જન્માષ્ટમી દરમિયાન હરે કૃષ્ણ મંદિર ખાતે રાધામાધવને સુંગધીદાર અને આનંદદાયક વસ્ત્રો પહેરાવ્યા. ભગવાનને સુંદર રેશ્મી વસ્ત્રોમાંથી બનાવેલ ભવ્ય પોશાક અને ઉત્સવ માટે ખાસ વૃંદાવનથી તૈયાર કરેલ વિવિધ કિંમતી અલંકારો પહેરાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત મંદિરને ભારતના જુદા જુદા સ્થળોએથી લાવેલ સુંગધીદાર અને રંગબેરંગી ફૂલોથી સજાવવામાં આવ્યું હતું. આ માટેની તૈયારી સતત 2 મહિના પહેલાથી કરવામાં આવી હતી.

જણાવી દઈએ કે, ભગવાન કૃષ્ણ માટે હિંડોળા (ઝૂલન) સેવાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સુવર્ણ રથ જન્માષ્ટમી ઉત્સવ દરમિયાન ભગવાન રાધા-માધવને વિશિષ્ટ રીતે બનાવટ કરેલ સુવર્ણ રથમાં સાંજે 7.30 વાગે સવારી કરાવવામાં આવી હતી.

કાર્યક્રમની શરૂઆતમાં રથની પૂજા કરવામાં આવી અને વૈદિકગ્રંથોના વૈદિક મંત્રોનું ગાન તેમજ ભગવાનની મહાઆરતી કરવામાં આવી હતી. ત્યારબાદ ભક્તો દ્રારા રથના દોરડા ખેંચીને ભગવાન રાધા-માધવને મંદિર પરિસરની ફરતે સવારી કરાવવામાં આવી હતી. રથના સંપૂર્ણ રૂટ દરમિયાન ભક્તો દ્વારા હરિનામ સંકિર્તન કરવામાં આવ્યું હતું.

આશરે પાંચ હજાર વર્ષ પહેલા ભગવાન કૃષ્ણના અવતરણ સમયે મહારાજા નંદ અને માતા યશોદાએ બાલકૃષ્ણને દૂધ, ઘી, મધ, ફળોના રસ, પંચગવ્ય, ઔષધિઓ અને પુષ્પોથી ભક્તિપૂર્વક અભિષેક કર્યો હતો. આ સિવાય સાત પવિત્ર નદીઓના જળવાળા 108 કળશથી પણ ભગવાનનો અભિષેક કરવામાં આવ્યો હતો.

જન્માષ્ટમી મહોત્સવમાં મધ્યરાત્રિના 12 વાગ્યે સંકિર્તન સાથે ભગવાનની ભવ્ય મહાઆરતી કરવામાં આવી હતી. 17 ઓગસ્ટ, 2025 ના રોજ નંદોત્સવ અને વ્યાસપૂજાની ઉજવણી કરવામાં આવી હતી. વૈષ્ણવ ગુરૂના જન્મને વ્યાસપૂજા તરીકે ઓળખવામાં આવે છે. આચાર્ય શ્રીલ પ્રભુપાદનો જન્મ નંદોત્સવના દિવસે થયો હોવાથી આ ઉત્સવને વ્યાસપૂજા મહોત્સવ તરીકે પણ ઉજવવામાં આવે છે.

જન્માષ્ટમીના દિવસે હરિનામ જપયજ્ઞમાં ભગવાન કૃષ્ણના દિવ્યનામનું 21 લાખ વખત રટણ કરવામાં આવ્યું અને મુલાકાતીઓને તેમાં ભાગ લેવા તક આપવામાં આવી, જે લોકોની શાંતિ તેમજ સુખાકારીમાં વૃદ્ધિ કરવામાં આશિષમય બની રહેશે. આ પ્રસંગે ઘણા બધા મહાનુભાવોએ હાજરી આપી અને જન્માષ્ટમી ઉત્સવનો લાભ લીધો હતો. આ પ્રસંગમાં હાજર રહીને ભક્તો તેમજ મહાનુભાવોએ ભગવાન કૃષ્ણની કૃપા મેળવી હતી.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો