અમદાવાદમાં ફ્લાવર શૉની શરૂઆત, જાણો સમય અને ટિકિટની કિંમત, જુઓ Photos
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાબરમતી રિવરફ્રન્ટ પર 14મા ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2026નો શુભારંભ કર્યો. 'ભારત એક ગાથા' થીમ પર આયોજિત આ શોમાં સરદાર પટેલનું વિશ્વનું સૌથી મોટું ફૂલ ચિત્ર, સ્ત્રી સશક્તિકરણ અને દિવાળીની કૃતિઓ મુખ્ય આકર્ષણ છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ‘અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શૉ–2026’નો ભવ્ય શુભારંભ કર્યો. ‘ભારત એક ગાથા’ થીમ પર આયોજિત આ ફ્લાવર શૉની 14મી આવૃત્તિમાં ભારતની સમૃદ્ધ, વૈવિધ્યસભર અને ગૌરવસભર સંસ્કૃતિને ફૂલ, કળા અને કલ્પનાના સંગમ દ્વારા રજૂ કરવામાં આવી છે. આ ભવ્ય ઉત્સવનો આનંદ નાગરિકો આગામી તા. 22 જાન્યુઆરી 2026 સુધી લઈ શકશે.

આ અવસરે ઊર્જામંત્રી ઋષિકેશ પટેલ તેમજ શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલા પ્રોત્સાહક ઉપસ્થિતિ સાથે હાજર રહ્યા હતા. શુભારંભ બાદ મુખ્યમંત્રી સહિત તમામ મહેમાનોએ ફ્લાવર શૉના વિવિધ ઝોનની મુલાકાત લઈ અદ્ભુત ફૂલ સ્કલ્પચર અને કલાત્મક કૃતિઓ નિહાળી હતી.

ફ્લાવર શૉમાં લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના રાષ્ટ્રીય એકતા માટેના યોગદાનને સન્માન આપતું વિશ્વનું સૌથી મોટું ફૂલ ચિત્ર રજૂ કરવામાં આવ્યું છે, જે ગિનિસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ માટે તૈયાર કરાયું છે. આ ઉપરાંત, ‘સ્ત્રી સશક્તીકરણ’ થીમ પર તૈયાર કરાયેલ વિશિષ્ટ સ્કલ્પચરનું પણ અનાવરણ કરવામાં આવ્યું હતું. યુનેસ્કો દ્વારા વિશ્વની અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર તરીકે જાહેર કરાયેલી ‘દિવાળી’ પર આધારિત વિશેષ કૃતિ પણ આ પ્રદર્શનમાં મુખ્ય આકર્ષણ બની છે.

ફ્લાવર શૉના વિવિધ ઝોન ભારતના પ્રાચીન જ્ઞાન, ઉત્સવોની ઉલ્લાસભરી પરંપરા, કલાત્મક સમૃદ્ધિ અને આધુનિક વિકાસની ગાથાને ઉજાગર કરે છે. મુલાકાતીઓ એક ઝોનમાંથી બીજા ઝોનમાં આગળ વધતાં પ્રાચીન ભારતથી આધુનિક ભારત સુધીની સમગ્ર સમયયાત્રાનો અનુભવ કરી શકે છે. અહીં ‘વિવિધતામાં એકતા’ની ભાવનાને નજીકથી અનુભવી શકાય છે.મુલાકાતીઓની સુવિધા માટે ફ્લાવર શૉમાં ક્યૂઆર કોડ આધારિત ઑડિયો ગાઈડની વ્યવસ્થા કરવામાં આવી છે, જેના માધ્યમથી ફૂલ, સ્કલ્પચર અને ઝોન અંગે વિગતવાર માહિતી મેળવી શકાય છે. સાથે સાથે સોવેનિયર શોપ, નર્સરી, ચાઈલ્ડ કેર યુનિટ અને ફૂડ સ્ટોલ પણ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

ફ્લાવર શૉ–2026 અંતર્ગત ‘શાશ્વત ભારત’ ઝોનમાં સમુદ્ર મંથન, ગીતા સાર, ગોવર્ધન લીલા, ગંગા અવતરણ અને રામસેતુ જેવા પૌરાણિક પ્રસંગોને ફૂલોના શિલ્પો દ્વારા જીવંત બનાવવામાં આવ્યા છે. ભારતીય શાસ્ત્રીય અને લોકનૃત્યોને સમર્પિત ઝોનમાં કુચિપુડી, ભાંગડા, ગરબા અને કથકલી જેવી નૃત્ય પરંપરાઓ રજૂ કરવામાં આવી છે, જેમાં કેન્દ્રસ્થાને ભગવાન નટરાજની પ્રતિમા સ્થાપિત છે.

આધુનિક ભારતની પ્રગતિ દર્શાવતા ‘ભારતની સિદ્ધિઓ’ ઝોનમાં હાઈ-સ્પીડ રેલ, નવીનીકરણીય ઊર્જા, અંતરિક્ષ ટેકનોલોજી, રમતગમત અને શિક્ષણ ક્ષેત્રની સિદ્ધિઓને ફૂલોના માધ્યમથી રજૂ કરવામાં આવી છે. આ ઝોન ભારતના વારસા અને ભવિષ્યમુખી વિકાસની શક્તિશાળી ગાથા રજૂ કરે છે.

પર્યાવરણ સંરક્ષણ અને સસ્ટેનેબિલિટી પ્રત્યે પ્રતિબદ્ધ આ ફ્લાવર શૉમાં સાબરમતી રિવરફ્રન્ટ પર 10,524 ચોરસ મીટર વિસ્તારમાં સ્પ્રિન્કલિંગ ઈરિગેશન નેટવર્ક સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે, જેથી પાણીનો સંયમિત ઉપયોગ સુનિશ્ચિત થાય.

ફ્લાવર શૉમાં પ્રવેશ માટે ચાર વિશેષ ગેટની વ્યવસ્થા કરવામાં આવી છે. ગેટ નંબર 1 – ફ્લાવર પાર્ક, એલિસબ્રિજ પાસે, રિવરફ્રન્ટ વેસ્ટ; મલ્ટિલેવલ કાર પાર્કિંગ ફૂટ ઓવર બ્રિજ ઉપરથી; ગેટ નંબર 4 – ઇવેન્ટ સેન્ટર, રિવરફ્રન્ટ વેસ્ટ; તેમજ અટલ બ્રિજનો પૂર્વ છેડો, રિવરફ્રન્ટ પૂર્વ.

મુલાકાતીઓ માટે સોમવારથી શુક્રવાર પ્રવેશ દર રૂ. 80 અને શનિવાર, રવિવાર તથા જાહેર રજાના દિવસે રૂ. 100 નક્કી કરવામાં આવ્યો છે. તમામ પ્રકારના દિવ્યાંગો, સૈનિકો, 12 વર્ષ કે તેનાથી ઓછી ઉંમરના બાળકો તથા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાના વિદ્યાર્થીઓ માટે તમામ દિવસોએ નિઃશુલ્ક પ્રવેશ રહેશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સિવાયની શાળાના બાળકો માટે સોમવારથી શુક્રવાર સવારે 9:00 થી 1:00 સુધી પ્રવેશ દર રૂ. 10 રહેશે. ઉપરાંત, સવારે 8:00 થી 9:00 તથા રાત્રે 10:00 થી 11:00 દરમિયાન પ્રાઈમ ટાઈમ સ્લોટ માટે રૂ. 500 પ્રવેશ દર રહેશે.
અમદાવાદમાં થર્ટી ફર્સ્ટના દિવસે મુંબઈનો ડ્રગ્સ પેડલર ઝડપાયો, 77 હજારના MDMA ડ્રગ્સ જપ્ત
