‘સરદાર પ્રેમી’એ સરદાર પટેલની 147મી જન્મ જયંતિ નિમિતે કર્યો અનોખો સંકલ્પ, 147 ગામોમાં મૂકશે પટેલની પ્રતિમા
Amreliના ઉદ્યોગપતિ ગોપાલ વસ્તરપરા એ સરદાર પટેલની જન્મ જંયતિ નિમિતે એક અનોખો સંકલ્પ કર્યો છે. ઉદ્યોગપતિના અનોખા સંકલ્પને કારણે એવી ઘટના બનવા જઈ રહી છે જે ગુજરાતના ઈતિહાસમાં પહેલા ક્યારેય ન બની હશે.

આ વર્ષે 31 ઓક્ટોબરના દિવસે લોખંડી પુરુષ સરદાર પટેલની 147મી જન્મ જંયતિ છે. તેમણે દેશ માટે આપેલા યોગદાન આજે પણ દેશની જનતા યાદ કરે છે. તેમના માનમાં દુનિયાનું સૌથી ઊંચુ સ્ટેચ્યુ પણ ગુજરાતમાં બનાવવામાં આવ્યુ છે. આવનારી પેઢી સરદાર પટેલના આપણા દેશ માટેના યોગદાનને ન ભૂલે તે હેતુથી અમરેલી જિલ્લાના ચમારડી ગામના ઉદ્યોગપતિ ગોપાલ વસ્તરપરા એ એક સંકલ્પ કર્યો છે.

આગામી 31મી ઓક્ટોબરે સરદાર પટેલની 147મી જન્મ જયંતી છે, ત્યારે ઉદ્યોગપતિ ગોપાલ વસ્તરપરાને 147 ગામોમાં સરદાર પટેલની પ્રતિમા મૂકવાનો અનોખો વિચાર આવ્યો.આ પ્રતિમાઓ બનાવવા રાજકોટમાં તેમણે તેમના મિત્રને વાત કરી અને તેમના મિત્રની રાજકોટની જ ફેકટરીમાં આ સ્ટેચ્યુસ બનાવવાનુ નક્કી કર્યું.આ સ્ટેચ્યુ બનાવવા માટે ખાસ પ્રકારની ડાય તૈયાર કરવામાં આવી છે અને ફાઇબર મટીરીયલમાંથી આ સ્ટેચ્યુ બનાવવામાં આવ્યા છે.

અત્યાર સુધીમાં ગુજરાતના 100થી વધુ ગામોમાં સ્ટેચ્યુ લાગી પણ ગયા છે અને આગામી 31મી ઓક્ટોબર સુધીમાં 147 ગામોમાં આ મૂર્તિઓ લગાવી દેવામાં આવશે.

Tv9 સાથેની વાતચીતમાં ગોપાલ વસ્તરપરા જણાવ્યું હતુ કે, સરદાર પટેલ અનેગાંધીજી એ આપણા દેશની આઝાદી અને અખંડ ભારતના સાચા શિલ્પી છે.સરદાર સાહેબની મહેનત વગર આપણા અખંડ ભારત દેશની કલ્પના પણ કરવી મુશ્કેલ છે.જેથી તેમના આ યોગદાનને આવનારી તમામ પેઢીઓ યાદ રાખે તે જરૂરી છે , જેથી તેઓમાં પણ દેશદાઝ અને દેશપ્રેમ ધબકતા રહે અને તેઓને પણ દેશ માટે કંઈક કરવાની પ્રેરણા મળે.

વધુમાં ગોપાલભાઈએ જણાવ્યું કે, ગામેગામથી લોકો ખૂબ જ ઉત્સાહપૂર્વક આ સ્ટેચ્યુ લેવા આવી રહ્યા છે અને તમામ સમાજના લોકો આ સંકલ્પને વધાવી રહ્યા છે. આ પ્રતિમાઓની ડિઝાઇન નર્મદા ડેમ ખાતે આવેલી વિશ્વની સૌથી સરદાર સાહેબની પ્રતિમાની પ્રતિકૃતિ સમાન રાખવામાં આવી છે.આ 147 ગામોમાં અમરેલી,જૂનાગઢ,ગીરસોમનાથ,રાજકોટ અને ભાવનગર જિલ્લાના પણ કેટલાક ગામોનો સમાવેશ થાય છે.સૌથી વધુ અમરેલી જિલ્લાના ગામોમાં આ પ્રતિમાઓ લાગશે અને આ રીતે ઉદ્યોગપતિ ગોપાલ વસ્તરપરા દ્વારા સરદાર સાહેબને અનોખી શ્રધ્ધાંજલિ આપવામાં આવશે.