શું બેંક હવે તમારી પ્રોપર્ટી પર કબજો કરીને તેને વેચી શકશે? RBIએ રિકવરી માટે તૈયાર કર્યો નવો અને કડક પ્લાન
જો તમે લોન લીધી છે અને હપ્તા ભરવામાં મુશ્કેલી પડી રહી છે, તો RBIનો આ નવો પ્રસ્તાવ તમારા માટે ખૂબ જ મહત્વનો છે. બેંકો અને NBFC હવે ડૂબેલા દેવાની વસૂલાત માટે ગિરવી રાખેલી મિલકતોનો કબજો લઈ શકશે, પરંતુ તેના માટે કેટલીક શરતો પણ રાખવામાં આવી છે. શું છે આ 7 વર્ષનો નિયમ અને કેવી રીતે થશે રિકવરી,

ભારતીય રિઝર્વ બેંક (RBI) એ બેંકો અને નોન-બેંકિંગ ફાઇનાન્શિયલ કંપનીઓ (NBFC) માટે દેવાની વસૂલાત સંબંધિત નિયમોનો એક નવો ડ્રાફ્ટ રજૂ કર્યો છે. આ પ્રસ્તાવ મુજબ, જો કોઈ લોન ધારક પૈસા પાછા આપવામાં નિષ્ફળ જાય અને તેની લોન NPA જાહેર થઈ જાય, તો બેંકો હવે સિક્યુરિટી તરીકે રાખેલી મિલકતને પોતાના કબજામાં લઈ શકશે.

7 વર્ષની સમયમર્યાદાનો નિયમ: નવા નિયમો મુજબ, બેંકો કે નાણાકીય સંસ્થાઓ જપ્ત કરેલી મિલકતને કાયમ માટે પોતાની પાસે રાખી શકશે નહીં. RBIએ સ્પષ્ટ કર્યું છે કે બેંકોએ આવી અચલ મિલકતોને મહત્તમ 7 વર્ષની અંદર વેચવી પડશે. કેન્દ્રીય બેંકનું માનવું છે કે મિલકતને સમયસર વેચવાથી બેંકો વધુમાં વધુ વસૂલાત કરી શકશે અને નાણાકીય વ્યવસ્થામાં પારદર્શિતા જળવાઈ રહેશે.

SNFA એટલે શું અને તેનો હેતુ?: RBI એ આ ડ્રાફ્ટમાં 'Specified Non-Financial Assets' (SNFA) નો ઉલ્લેખ કર્યો છે. આનો અર્થ એવી અચલ મિલકતો છે જે બેંક લોનની ભરપાઈ માટે પોતાના કબજામાં લે છે, જેમાં જમીન, મકાન અથવા અન્ય સંપત્તિનો સમાવેશ થાય છે. આનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રોપર્ટીનો વેપાર કરવાનો નથી, પરંતુ માત્ર અટકેલી લોનની વસૂલાત કરવાનો છે.

ગેરરીતિ રોકવા માટે કડક જોગવાઈ: પારદર્શિતા જાળવી રાખવા માટે RBIએ એક મહત્વની શરત પણ મૂકી છે. બેંક કે NBFC જે મિલકત જપ્ત કરે છે, તે જ મિલકત ફરીથી એ જ લોન ધારક અથવા તેની સાથે સંકળાયેલી કોઈ પણ વ્યક્તિને વેચી શકશે નહીં. આનાથી મિલકતની વેચાણ પ્રક્રિયામાં કોઈ પણ પ્રકારની મિલીભગત કે ગરબડ થવાની શક્યતા રહેશે નહીં.

સૂચનો માટે સમયમર્યાદા: આ માત્ર એક પ્રસ્તાવિત ડ્રાફ્ટ છે અને RBIએ તેના પર સામાન્ય જનતા તેમજ હિસ્સેદારો પાસેથી 26 મે સુધી સૂચનો માંગ્યા છે. આ સૂચનોની સમીક્ષા કર્યા બાદ જ અંતિમ નિયમો લાગુ કરવામાં આવશે. આ નવા ફેરફારથી બેંકોની લોન રિકવરી પ્રક્રિયા વધુ વ્યવસ્થિત અને પ્રભાવી બનશે તેવી આશા છે.
ચેરાપુંજી નહીં પણ ભારતનું આ ગામ છે ‘રેઈન કેપિટલ’, જ્યાં થાય છે સૌથી વધુ વરસાદ
