Rajkot: રાજકોટની 100 વર્ષથી પણ જૂની મરચા પીઠ વિશે ખબર છે ? કઈ રીતે તૈયાર થાય છે મરચાં અને મસાલાં, જુઓ Photos
ઘણી ગૃહિણીઓ પોતાની નજર સામે લાલ મરચા ખરીદે છે, તેના ડીંટીયા તોડાવી જાતે જ લાલ મરચું દળાવે છે. અને દળાયેલા મરચાને તેલ દઇને આખા વર્ષ માટેનું લાલ મરચાનો સંગ્રહ કરે છે. મસાલાની આ સીઝનમાં રાજકોટની મરચા પીઠો લાલ મરચાથી ઉભરાઇ ગઇ છે. આજી નદીના આવેલ દરબારગઢની પાછળની બાજુ નદી કિનારે આવેલ કાળમીંઢ પત્થર- બેલાની દીવાલ પાસે રાજકોટની સો વર્ષથી પણ જૂની મરચાપીઠ આજે પણ કાર્યરત છે.


રાજકોટની સૌથી જૂની મરચાપીઠની. જે "જૂની મરચાપીઠ" તરીકે જ ઓળખાય છે. આજી નદીના આવેલ દરબારગઢની પાછળની બાજુ નદી કિનારે આવેલ કાળમીંઢ પત્થર- બેલાની દીવાલ પાસે રાજકોટની સો વર્ષથી પણ "જૂની મરચાપીઠ" આજે પણ કાર્યરત છે.

પંદર જેટલા વેપારીઓ બે થી ત્રણ મહિના માટે મરચાનો કારોબાર ચલાવે છે. મહત્વની વાત એ છે કે આ તમામ વેપારીઓ પાંચ-પાંચ પેઢીઓથી આ વ્યવસાય કરી રહ્યા છે. સરકારી જગ્યા ઉપર મંડપ બાંધી કાયદેસર રીતે મહાનગર પાલિકાને આ જગ્યાનું ભાડુ ચૂકવી તેઓ આ વ્યવસાય કરે છે.

વેપારી વિક્રમભાઇ સોલંકીએ જણાવ્યું હતું કે ડબલ અને સીંગલ રેશમપટ્ટો, તેજા મરચી, ઘોલર વગેરે પ્રકારના મરચા પૈકી સૌથી વધુ ઉપાડ ડબલ રેશમપટ્ટોનો થાય છે. કલર માટે રેશમપટ્ટો અને કાશ્મીરી તથા તીખાશ માટે તેજા મરચી લોકો વધુ પસંદ કરે છે.

આ મરચા પીઠમાં ચાર - ચાર પેઢીથી મરચાના ડીંટીયા તોડીને છુટક રોજગારી મેળવનારા લોકો અને તેમના પરિવારના લોકો દર વર્ષે આ કામ માટે આવે છે.

નદીના નીચાણવાળા વિસ્તારમાં મરચા દળવાનું કામ થાય છે. મરચાની ઘંટી ધરાવનાર મનોજભાઇ સોલંકી કહે છે કે અમે 1989 થી અહી દર વર્ષે બે થી ત્રણ માસ મરંચુ દળવાનું કામ કરીએ છીએ.

મરચાની આવક વિશે રાજકોટ માર્કેટીંગ યાર્ડના પ્રમુખ જયેશભાઇ બોઘરા કહે છે કે, માર્કેટીંગ યાર્ડમાં દરરોજ 1800 કિલો જેટલા લાલ સુકા મરચા ખેડૂતો દ્વારા વેચાણ માટે લાવવામાં આવે છે.

યાર્ડમાં સરેરાશ 300 ભારી આવે છે. આ તમામ મરચાઓની ખરીદી ખેડૂતો પાસેથી વેપરીઓ સીધી જ કરે છે. યાર્ડમાં માત્ર રાજકોટ જિલ્લાના કે ગોંડલ તાલુકાના જ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રના મરચાનો પાક લેતા ખેડૂતો મરચા વેચવા આવે છે.

































































