નર્મદા નિગમના આળસુ અધિકારીઓના પાપે ખેડૂતોએ જાતે સાફ કરવી પડી કેનાલ, ફોન ઉપાડવાની પણ તસ્દી ન લીધી – જુઓ Video
ગાંધીનગરના ગમીજ, કનીપુર અને બૈયલના ખેડૂતો નર્મદા નિગમની બેદરકારીથી પરેશાન છે. માઇનોર કેનાલની સફાઈ ન થતાં પાણીની અછત સર્જાઈ છે. અનેક રજૂઆતો છતાં કાર્યવાહી ન થતાં ખેડૂતો જીવના જોખમે જાતે જ કેનાલ સાફ કરવા મજબૂર બન્યા છે. પાણીની વહેલી સુલભતા માટે સંપૂર્ણ સફાઈની માંગ કરાઈ છે.
ગાંધીનગર જિલ્લાના ગમીજ, કનીપુર અને બૈયલ ગામોના ખેડૂતો માઇનોર કેનાલની સફાઈ ન થતાં ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. કેનાલોમાં પાણી ન આવતા અને દસ દિવસથી ઘાસ તેમજ કચરો જમા થવાથી ખેડૂતોને પાણીની ગંભીર સમસ્યા નડી રહી છે. ખેડૂતોનો આક્ષેપ છે કે, નર્મદા નિગમના અધિકારીઓની બેદરકારીને કારણે આ સ્થિતિ સર્જાઈ છે.
વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી. ફોન કરવા છતાં અધિકારીઓ પ્રતિસાદ આપતા નથી, જેના કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પાણીની અછતથી ખેતીના કામ પર અસર થવાની ચિંતા વચ્ચે ગમીજ, કનીપુર અને બૈયલના આશરે 25 થી 30 ખેડૂતો ભેગા થઈને જાતે જ કેનાલની સફાઈ કરવા નીકળ્યા છે.
ખેડૂતોએ સરિસૃપ પ્રાણીઓના ભય વચ્ચે પણ જીવના જોખમે કેનાલ સાફ-સફાઈ હાથ ધરી છે. કેનાલમાં ક્યાંક ગાબડાં તો ક્યાંક સફાઈના અભાવથી પાણી વહેતું અટકી ગયું છે. ખેડૂતોની સ્પષ્ટ માંગ છે કે, વહેલી તકે નર્મદા નિગમ દ્વારા કેનાલની સંપૂર્ણ સફાઈ કરવામાં આવે અને પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે. યોગ્ય જાળવણીથી જ પાણીની સમસ્યા હળવી થઈ શકે છે તેવું ખેડૂતોનું માનવું છે.

