ઘડપણની ચિંતા ખતમ ! આ સરકારી સ્કીમમાં દર મહિને મળશે ₹3,000 નું ‘ફિક્સ પેન્શન’, જાણો કેન્દ્ર સરકારની આ ખાસ યોજના વિશે
આપણા દેશના શ્રમિકો અને નાના વ્યવસાય કરતા ભાઈ-બહેનો માટે કેન્દ્ર સરકાર એક સરસ યોજના ચલાવી રહી છે. આ યોજના અંતર્ગત, 60 વર્ષની ઉંમર પછી દર મહિને ₹3,000 નું ફિક્સ પેન્શન આપવામાં આવે છે.

દેશમાં મોટી સંખ્યામાં એવા લોકો છે કે, જેઓ ફેક્ટરી, કંપની કે સરકારી નોકરીમાં કરતાં નથી. કોઈ લારી ચલાવે છે, કોઈ રિક્ષા ચલાવે છે, કોઈ મજૂરી કરે છે તો કોઈ નાનો-મોટો વ્યવસાય કરે છે. આવા લોકોની સૌથી મોટી ચિંતા એ હોય છે કે, જ્યારે ઉંમર વધી જશે અને કામ કરવાની તાકાત ઓછી થઈ જશે, ત્યારે ઘરનો ખર્ચ કેવી રીતે ચાલશે?

કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન (PM-SYM) યોજના આ જ પરેશાનીને દૂર કરે છે. આ હેઠળ અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોને 60 વર્ષની ઉંમર પછી દર મહિને 3,000 રૂપિયા પેન્શન આપવાની જોગવાઈ છે. પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજનાની શરૂઆત વર્ષ 2019માં કરવામાં આવી હતી. આ અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકો માટેની એક પેન્શન યોજના છે. આ યોજનામાં જોડાયા પછી લાભાર્થીએ પોતાની ઉંમરના હિસાબે દર મહિને થોડી રકમ જમા કરાવવાની હોય છે. ટૂંકમાં, જેટલા પૈસા તે જમા કરે છે, એટલા જ પૈસા કેન્દ્ર સરકાર પણ તેની તરફથી જમા કરાવે છે. 60 વર્ષની ઉંમર પૂરી થયા પછી લાભાર્થીને દર મહિને 3,000 રૂપિયાનું લઘુત્તમ પેન્શન મળે છે. આ યોજના ખાસ કરીને એવા લોકો માટે બનાવવામાં આવી છે કે, જેઓ અસંગઠિત ક્ષેત્રમાં કામ કરે છે અને જેમની આવક વધારે નથી. આમાં ફેરીવાળા, રિક્ષા ચાલક, ઈ-રિક્ષા ચાલક, ઘરકામ કરતા મજૂરો, બાંધકામ મજૂરો, ખેતમજૂરો, ચામડા ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો, નાના દુકાનદારો અને સ્વરોજગાર કરતા લોકોનો સમાવેશ થાય છે.

જો કે, યોજનાનો લાભ લેવા માટે કેટલીક જરૂરી શરતો પૂરી કરવી પડે છે. અરજદારની ઉંમર 18 થી 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ. તેની માસિક આવક 15,000 રૂપિયા કે તેથી ઓછી હોવી જોઈએ. તે અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતો હોવો જોઈએ અને આવકવેરો ભરતો (ટેક્સપેયર) ન હોવો જોઈએ. આ ઉપરાંત તે EPFO, ESIC કે નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) જેવી અન્ય કોઈ સરકારી સામાજિક સુરક્ષા યોજનાનો સભ્ય પણ ન હોવો જોઈએ. યોજનામાં જમા થનારી રકમ તમારી ઉંમર પર આધાર રાખે છે. જો કોઈ વ્યક્તિ 18 વર્ષની ઉંમરે યોજના સાથે જોડાય છે, તો તેણે દર મહિને માત્ર 55 રૂપિયા જમા કરાવવા પડશે, જ્યારે 40 વર્ષની ઉંમરે જોડાનાર વ્યક્તિએ દર મહિને 200 રૂપિયા જમા કરાવવા પડશે.

સૌથી ખાસ વાત એ છે કે, જેટલા પૈસા લાભાર્થી જમા કરાવશે, એટલા જ પૈસા સરકાર પણ તેના ખાતામાં નાખશે. માની લો કે, તમે દર મહિને 100 રૂપિયા જમા કરો છો, તો સરકાર પણ પોતાની તરફથી 100 રૂપિયા ઉમેરશે. આ યોજનામાં જોડાવું ખૂબ જ સરળ છે. આ માટે તમારા નજીકના કોમન સર્વિસ સેન્ટર (CSC) પર જવાનું રહેશે. ત્યાં આધાર કાર્ડ અને બેંક ખાતાની વિગતો આપીને રજીસ્ટ્રેશન કરાવી શકાય છે. રજીસ્ટ્રેશન સમયે બેંક ખાતા સાથે ઓટો-ડેબિટની સુવિધા જોડી દેવામાં આવે છે. આનાથી દર મહિને નક્કી કરેલી રકમ પોતાના આપ ખાતામાંથી કપાતી રહે છે અને અલગથી ચૂકવણી કરવાની જરૂર પડતી નથી. હવે જ્યારે લાભાર્થીની ઉંમર 60 વર્ષ પૂરી થઈ જાય છે, ત્યારે તેને દર મહિને 3,000 રૂપિયાનું પેન્શન મળવાનું શરૂ થઈ જાય છે. જો પતિ અને પત્ની બંને આ યોજના સાથે જોડાયેલા હોય, તો બંનેને અલગ-અલગ પેન્શન મળશે. ટૂંકમાં, પરિવારને દર મહિને કુલ 6,000 રૂપિયા સુધીના પેન્શનનો લાભ મળી શકે છે.

જો પેન્શન શરૂ થયા પછી લાભાર્થીનું મૃત્યુ થાય છે, તો તેના પતિ કે પત્નીને કૌટુંબિક પેન્શન (ફેમિલી પેન્શન) આપવામાં આવે છે. પરિવારને મળતું આ પેન્શન મૂળ પેન્શનના 50 ટકા હોય છે. સરળ રીતે સમજીએ તો, 3,000 રૂપિયાનું પેન્શન મળતું હોય તો જીવનસાથીને દર મહિને 1,500 રૂપિયા મળશે. જો કોઈ સભ્ય સમયસર પોતાનો હપ્તો જમા કરાવી શકતો નથી, તો તે પછીથી વ્યાજ સાથે બાકી રકમ જમા કરાવીને યોજના ફરી શરૂ કરી શકે છે. વ્યાજનો દર સરકાર નક્કી કરશે. યોજનામાં જોડાયાના 10 વર્ષની અંદર બહાર નીકળવા પર સભ્યને માત્ર તેના દ્વારા જમા કરાયેલા યોગદાનની રકમ સેવિંગ્સ એકાઉન્ટના વ્યાજ સાથે પરત કરવામાં આવશે.

જો કોઈ સભ્ય 10 વર્ષ પછી પરંતુ 60 વર્ષની ઉંમર પહેલા યોજના છોડે છે, તો તેને તેના યોગદાનની સાથે પેન્શન ફંડ પર મળેલું વ્યાજ પણ પરત મળશે. સભ્યનું મોત થવા પર તેમનો જીવનસાથી યોજનાને આગળ ચાલુ રાખી શકે છે. જો કે, આ માટે તેમણે નિયમિત યોગદાન આપવું પડશે. જો 60 વર્ષની ઉંમર પછી પેન્શન મેળવતા સભ્યનું મૃત્યુ થાય છે, તો તેના નોમિની કે જીવનસાથીને 50 ટકા ફેમિલી પેન્શન મળશે. આ યોજનાની સૌથી મોટી ખાસિયત એ છે કે, બહુ ઓછા પૈસા જમા કરીને પણ વૃદ્ધાવસ્થા માટે પેન્શનની વ્યવસ્થા કરી શકાય છે.

ખાસ વાત એ છે કે, સરકાર પોતે પણ બરાબર રકમ જમા કરે છે, જેથી લાભાર્થીને વધારાનો ફાયદો મળે છે. આ યોજના કેન્દ્ર સરકારની ગેરંટી સાથે આવે છે, તેથી તેની વિશ્વસનીયતા પણ વધારે છે. આ ઉપરાંત ઓટો-ડેબિટ સુવિધાના કારણે દર મહિને પૈસા જમા કરાવવાની ઝંઝટ પણ રહેતી નથી. યોજનાનો લાભ લેવા માટે 60 વર્ષની ઉંમર સુધી નિયમિત યોગદાન આપવું જરૂરી છે. જો બેંક ખાતામાં પૂરતા પૈસા નહીં હોય તો હપ્તો કપાવામાં મુશ્કેલી આવી શકે છે.

બીજી એક વાત સમજવી જરૂરી છે કે, આ યોજનામાં 60 વર્ષ પછી દર મહિને 3,000 રૂપિયાનું નક્કી કરેલું પેન્શન મળે છે. આ મોંઘવારીના હિસાબે વધતું નથી. આથી ભવિષ્યની તમામ આર્થિક જરૂરિયાતો માટે માત્ર આ જ યોજના પર નિર્ભર રહેવાને બદલે બચત અને રોકાણના અન્ય વિકલ્પો પર પણ ધ્યાન આપવું જોઈએ.
3, 5, 10 કે 15 વર્ષ ? કયા ટાઈમ ફ્રેમની SIP પર મળે છે ‘સૌથી વધુ રિટર્ન’? જાણો આની પાછળનું ‘રહસ્ય’
