એક પણ રૂપિયો ‘ટેક્સ’ નહીં ! ભારતના આ રાજ્યમાં લોકો ‘કરોડો કમાય’ છે પણ ‘કર’ નથી ભરતા
આખું ભારત દર વર્ષે માર્ચ મહિનામાં ટેક્સ બચાવવા માટે દોડાદોડી કરતું હોય છે, ત્યારે આ રાજ્યના મૂળ નિવાસીઓ બિન્દાસ પોતાની પૂરેપૂરી કમાણી ઘરે લઈ જાય છે. પગાર હોય, શેરબજારનો નફો હોય કે પછી બિઝનેસની કમાણી... અહીં સરકાર તમારી આવકમાંથી ભાગ નથી માંગતી.

ભારતમાં દર વર્ષે કરોડો લોકો પોતાની કમાણીની વિગતો ઇન્કમ ટેક્સ વિભાગને આપે છે. પગાર, બિઝનેસ, શેરબજાર કે ઇન્વેસ્ટમેન્ટ દ્વારા થતી કમાણી પર ટેક્સ ભરવો એ સામાન્ય બાબત છે. એવામાં શું તમે જાણો છો કે, ભારતમાં એક એવું રાજ્ય પણ છે કે, જ્યાં કમાણી પર ઝીરો ટેક્સ લાગે છે? આ રાજ્યના મૂળ નિવાસીઓ પોતાની આવક પર કોઈ ઇન્કમ ટેક્સ ભરતા નથી.

આ રાજ્ય પશ્ચિમ બંગાળની ઉત્તરે આવેલું છે. વાત એમ છે કે, ભારતનું એકમાત્ર રાજ્ય 'સિક્કિમ' જ છે, જ્યાં ઇન્કમ ટેક્સ ભરવામાં આવતો નથી. સિક્કિમનું જોડાણ જ્યારે ભારતમાં કરવામાં આવ્યું, ત્યારે તેમાં એક શરત ઉમેરવામાં આવી હતી કે, સિક્કિમના લોકો ઇન્કમ ટેક્સ નહીં ભરે. સિક્કિમના લોકોને વર્ષ 1975માં બંધારણની કલમ 371F હેઠળ ટેક્સ ફ્રી કરવામાં આવ્યા છે. ટૂંકમાં, સિક્કિમની અંદર લોકો ભલે કરોડો રૂપિયા કમાતા હોય પરંતુ તેમણે એક રૂપિયો પણ ટેક્સ ચૂકવવો પડતો નથી.

તમને જણાવી દઈએ કે, સિક્કિમના લોકો સિક્યોરિટીઝ અને ડિવિડન્ડ દ્વારા થતી કમાણી પર પણ ટેક્સ આપતા નથી. સિક્કિમમાં આ ટેક્સ-ફ્રી વ્યવસ્થા તમામ લોકો પર લાગુ પડતી નથી. આ છૂટ માત્ર એ જ લોકોને આપવામાં આવે છે કે, જેઓ વર્ષ 1961ના 'સિક્કિમ સબ્જેક્ટ રેગ્યુલેશન'માં નોંધાયેલા હતા અથવા તેમના વંશજો છે.

ટૂંકમાં, જે લોકો સિક્કિમના મૂળ નિવાસી નથી અથવા જેમણે પાછળથી ત્યાં આવીને વસવાટ શરૂ કર્યો છે, તેમણે ટેક્સ ભરવો પડે છે. આ જ કારણ છે કે, જો કોઈ વ્યક્તિ સિક્કિમમાં કામ કરે છે પરંતુ ત્યાંનો નિવાસી નથી, તો તેણે ભારતના બાકીના હિસ્સાની જેમ ઇન્કમ ટેક્સ ભરવો જ પડે છે.

સિક્કિમ ભારતનું એકમાત્ર એવું રાજ્ય છે કે, જ્યાંના મૂળ નિવાસીઓ ઇન્કમ ટેક્સ ભરતા નથી. આ વ્યવસ્થા દેશના બીજા કોઈ ભાગમાં નથી. જો કે, સિક્કિમમાં અન્ય પ્રકારના ટેક્સ જેવા કે જીએસટી (GST) અથવા રાજ્ય સરકાર દ્વારા લાદવામાં આવેલા ટેક્સ લાગુ રહે છે. આ વિશેષ છૂટને કારણે સિક્કિમ માત્ર વહીવટી દૃષ્ટિએ જ નહીં પણ આર્થિક રીતે એક અનોખું રાજ્ય બની ગયું છે. ભારતમાં Income Tax Act, 1961 હેઠળ ટેક્સ કાયદો લાગુ કરવામાં આવ્યો છે. આમાં દરેક ભારતીય નિવાસીએ પોતાની આવકમાંથી ટેક્સ ભરવો પડે છે.
ITR ફાઇલિંગ પહેલાં તૈયાર કરી લો આ ‘જરૂરી દસ્તાવેજો’, નહીં તો રિફંડ મેળવવામાં થઈ શકે છે ‘વિલંબ’
