Rajkot Breaking: ભ્રષ્ટાચાર ઉપર ભ્રષ્ટાચાર. . . ! જંગલેશ્વર ડિમોલેશન વિવાદ પછી RMCના મટકીફોડ કાર્યક્રમમાં લાલ્યાવાડીના આરોપ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આયોજિત મટકીફોડ કાર્યક્રમમાં ₹17 લાખનું બજેટ હોવા છતાં ₹32 લાખનું ચૂકવણું કરાયું હોવાનો કોંગ્રેસ નેતા હેમાંગ વસાવડાએ આક્ષેપ કરી તપાસની માંગણી કરી છે. જ્યારે મેયર નેહલ શુક્લએ આ આક્ષેપોને નકારીને શું પ્રતિક્રિયા આપી? જાણો.
રાજકોટ મહાનગરપાલિકા (RMC) દ્વારા આયોજિત મટકીફોડ કાર્યક્રમમાં મોટાપાયે આર્થિક ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ સાથે રાજકીય ગરમાવો આવી ગયો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા હેમાંગ વસાવડાએ પ્રેસ કોન્ફરન્સ યોજીને શાસક પક્ષ પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે.
કોંગ્રેસ નેતાના જણાવ્યા મુજબ, મટકીફોડ કાર્યક્રમ માટે તંત્ર દ્વારા ₹17 લાખનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું. જોકે, નિયમો વિરુદ્ધ જઈને કાર્યક્રમ પાછળ કુલ ₹32 લાખનું તોતિંગ બિલ ચૂકવી દેવાયું છે. તેમણે વધુમાં દાવો કર્યો કે આ કાર્યક્રમમાં માત્ર પેટીસના નાસ્તા પાછળ જ ₹15 લાખનો તોતિંગ ખર્ચ દર્શાવવામાં આવ્યો છે, જે સીધેસીધો પ્રજાના ટેક્સના નાણાંનો ભ્રષ્ટાચાર છે. આ મામલે તેમણે નિષ્પક્ષ તપાસ કરાવવાની માંગણી કરી છે.
બીજી તરફ, રાજકોટના મેયર નેહલ શુક્લએ આ તમામ આક્ષેપોને નજરઅંદાજ કરતાં જણાવ્યું હતું કે હેમાંગભાઈ આવા સવાલો અવારનવાર કરતા રહે છે. મેયરે કટાક્ષ કરતાં કહ્યું કે તેઓ આવી પ્રેસ કોન્ફરન્સ યોજતા જ રહે છે, જેથી તેમને મારી શુભકામનાઓ છે.
રાજકોટ શહેરના ફેબ્રુઆરી મહિનામાં જંગલેશ્વર વિસ્તારમાં મેગા ડિમોલેશન શરૂ કરવામાં આવ્યું હતુ. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલેશનની કામગીરી શરુ કરવામાં આવી હતી. અંદાજે 1498 જેટલા મકાનોનું ડિમોલેશન કરાયું હતુ કુલ 7 ઝોનમાં કામગીરી હાથ ધરાવામાં આવી હતી. 3 દિવસ અને 8 ઝોનમાં ચાલેલા ડિમોલિશનનું બિલ ચર્ચામાં છે. ડિમોલેશન વખતે ફરજ પર હાજર કર્મચારીઓની ખાણીપીણીનું 27.20 લાખનું બિલ આવ્યું છે. ચા-કોફી અને બિસ્કીટનું બિલ 6.30 લાખ મુકાયુ છે. 21000 કપ ચા અને 4000 બોટલ લીંબુ સરબતનો ઉપયોગ કરાયો હતો. તો પ્રેમવતી રેસ્ટોરન્ટનું બિલ 20 લાખ રૂપિયા મુકાયુ હતુ.
ટોટલ જંગલેશ્વર ડિમોલેશન બિલ 27 લાખ ઉધારવામાં આવ્યું હતું. જો કે સ્ટેન્ડિંગ કમિટીએ આ બિલ અટકાવ્યું છે.કોંગ્રેસના કોર્પોરેટરો પાસેથી કાજુકતરી અને બેનરો વિજીલન્સે કબ્જે કરવામાં આવ્યા છે.

