‘EPFO’ લાવ્યું કર્મચારીઓ માટે લોટરી જેવી સ્કીમ ! કર્મચારીઓના હક માટે સરકારનો ‘મોટો નિર્ણય’
દેશભરના લાખો કર્મચારીઓ અને કંપનીઓ માટે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) દ્વારા મોટી રાહત આપવામાં આવી છે. વાત એમ છે કે, સરકારે એક ખાસ 6 મહિનાની વિન્ડો ખોલી છે.

દેશભરના લાખો કર્મચારીઓ અને કંપનીઓ માટે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) દ્વારા મોટી રાહત આપવામાં આવી છે. એમ્પ્લોયર્સ એનરોલમેન્ટ સ્કીમ 2025 હેઠળ એવા કર્મચારીઓને સિસ્ટમમાં જોડવાની તક આપવામાં આવી છે કે, જેઓ વર્ષોથી પ્રોવિડન્ટ ફંડના કવરેજથી બહાર રહી ગયા હતા અથવા જેમના ડેટા ક્યારેય અપડેટ કરવામાં આવ્યા ન હતા. EPFO એ 1 નવેમ્બર 2025 થી 30 એપ્રિલ 2026 સુધી 06 મહિનાની સ્પેશિયલ વિન્ડો ખોલી છે, જેના દ્વારા એમ્પ્લોયર્સ જૂના કોમ્પ્લાયન્સ (નિયમોનું પાલન) ને નિયમિત કરી શકે છે.

આ યોજનાનો ઉદ્દેશ્ય 1 જુલાઈ 2017 થી 31 ઓક્ટોબર 2025 વચ્ચે બાકી રહી ગયેલા કર્મચારીઓને પ્રોવિડન્ટ ફંડના લાભો સાથે જોડવાનો છે. આ પહેલથી એવા કર્મચારીઓના પીએફ ખાતા સક્રિય થઈ શકશે કે, જેમને અત્યાર સુધી પીએફ, પેન્શન કે વીમાનો લાભ મળી શક્યો ન હતો.

એમ્પ્લોયર્સ એનરોલમેન્ટ સ્કીમ 2025 એ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) ની એક વિશેષ અનુપાલન સુધારણા યોજના (Special Compliance Improvement Plan) છે. આનો હેતુ એવા કર્મચારીઓના જૂના અથવા છૂટી ગયેલા પીએફ રેકોર્ડને નિયમિત કરવાની તક આપવાનો છે કે, જેમને અગાઉ કોઈ કારણસર EPF સિસ્ટમમાં એડ (Add) કરવામાં આવ્યા ન હતા.

આ યોજના હેઠળ એમ્પ્લોયર્સને સ્વૈચ્છિક જાહેરાત (Voluntary Declaration) કરવાની પરવાનગી આપવામાં આવી છે, જેથી તેઓ તેમના બાકી રહી ગયેલા કર્મચારીઓને EPF સિસ્ટમમાં ઉમેરી શકે. આ માટે સરકારે મર્યાદિત સમયગાળા માટે રાહત વિન્ડો પણ ઉપલબ્ધ કરાવી છે.

આ યોજના હેઠળ એક ચોક્કસ સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે. આ યોજના 1 નવેમ્બર 2025 થી લાગુ કરવામાં આવી છે અને તેની અંતિમ તારીખ 30 એપ્રિલ 2026 રાખવામાં આવી છે. આ યોજના 1 જુલાઈ 2017 થી 31 ઓક્ટોબર 2025 વચ્ચેના પાત્ર રોજગાર રેકોર્ડને આવરી લે છે. ટૂંકમાં, આ સમયગાળામાં બાકી રહી ગયેલા કર્મચારીઓને EPF માં જોડવા માટે એમ્પ્લોયર્સને કુલ 6 મહિનાની સ્પેશિયલ વિન્ડો આપવામાં આવી છે.

આ યોજનાનો લાભ એવા કર્મચારીઓને મળશે, જેઓ પોતાની નોકરી દરમિયાન પીએફના દાયરામાં આવતા હોવા છતાં સિસ્ટમમાં જોડાઈ શક્યા ન હતા. ખાસ કરીને જે કર્મચારીઓનો UAN જનરેટ થયો નથી, જેમનું પીએફ યોગદાન સમયસર જમા નથી થયું અથવા જેમના જોઈનિંગ ડેટા અને પગારના રેકોર્ડ અત્યાર સુધી અપડેટ કરવામાં આવ્યા નથી, તેઓ આ સ્કીમ માટે પાત્ર ઠરશે.

આ ઉપરાંત, જે કોન્ટ્રાક્ટ કે કામચલાઉ કર્મચારીઓ અત્યાર સુધી પીએફ સિસ્ટમથી વંચિત રહી ગયા હતા, તેઓ પણ આ સ્પેશિયલ વિન્ડોનો ઉપયોગ કરીને પીએફ, પેન્શન અને વીમા જેવા મહત્વના લાભ મેળવી શકશે.

બાકી રહી ગયેલા પીએફ (PF) ખાતા એક્ટિવ કરવાની પ્રક્રિયા એકદમ સરળ છે. આ યોજનાનો લાભ લેવા માટે નિયોક્તાએ (Employer) સૌ પ્રથમ EPFO પોર્ટલ પર લોગિન કરી તેવા કર્મચારીઓની ઓળખ કરવાની રહેશે, જેમના રેકોર્ડ અત્યાર સુધી નોંધાયા નથી. ત્યારબાદ કર્મચારીઓનો સંપૂર્ણ ડેટા પોર્ટલ પર અપલોડ કરી, જો UAN ન હોય તો નવો જનરેટ કરવો પડશે અથવા જૂના નંબરને લિંક કરવો પડશે.

આ પ્રક્રિયામાં કર્મચારીના પાછલા પગાર અને રોજગારની વિગતો દર્શાવી બાકી રહેલા પીએફ યોગદાનની જાહેરાત કરવાની રહેશે. અંતે, જરૂરી દસ્તાવેજો અપલોડ કર્યા બાદ EPFO દ્વારા તેની ચકાસણી (Verification) કરવામાં આવશે અને વેરિફિકેશન સફળ થયા પછી કર્મચારીને સત્તાવાર રીતે EPF રેકોર્ડમાં જોડી દેવામાં આવશે.

કર્મચારીઓએ પણ આ પ્રક્રિયામાં સક્રિયપણે ભાગ લેવો જોઈએ. તેમણે પોતાના HR અથવા એમ્પ્લોયર પાસેથી પીએફ સ્ટેટસ વિશે માહિતી લેવી જોઈએ અને તેમનું UAN બન્યું છે કે નહીં, તેની તપાસ કરવી જોઈએ.

આ સાથે જ EPFO પોર્ટલ પર પોતાની KYC વિગતો અપડેટ કરવી જોઈએ, જેમાં આધાર કાર્ડ, બેંક એકાઉન્ટ અને મોબાઈલ નંબર લિંક કરાવવો અનિવાર્ય છે. કર્મચારીએ પોતાની EPF પાસબુક પણ નિયમિતપણે ચેક કરવી જોઈએ અને જો કોઈ જૂના રોજગારની વિગતો નોંધાયેલી ન હોય, તો તેને અપડેટ કરાવવા માટે કંપનીનો સંપર્ક કરવો જોઈએ.

એમ્પ્લોયર્સ એનરોલમેન્ટ સ્કીમ હેઠળ કર્મચારીઓને ઘણા સંભવિત ફાયદા મળી શકે છે. સૌથી મોટો ફાયદો એ છે કે, તેમના બાકી રહી ગયેલા PF બેલેન્સને જમા (Credit) કરી શકાય છે. આ ઉપરાંત, કર્મચારી પેન્શન યોજના (EPS) નો લાભ પણ જોડાઈ શકે છે અને કર્મચારી વીમા યોજના હેઠળ સુરક્ષા પણ મળી શકે છે.

આનાથી કર્મચારીના સેવા સમયગાળાનો રેકોર્ડ યોગ્ય રીતે નોંધાશે, જેનાથી ભવિષ્યમાં નોકરી બદલતી વખતે PF ટ્રાન્સફર કરવાનું પણ ઘણું સરળ થઈ જશે. EPFO ની આ સ્પેશિયલ વિન્ડો એવા કર્મચારીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, જેમની નોકરી તો નોંધાયેલી હતી પરંતુ PF ના અધિકારો અધૂરા રહી ગયા હતા. નક્કી કરેલી સમયમર્યાદામાં કાર્યવાહી કરવાથી લાખો કર્મચારીઓના નિષ્ક્રિય અથવા છૂટી ગયેલા PF ખાતા ફરીથી સક્રિય થઈ શકે છે.
આ પણ વાંચો: PF વ્યાજ દરનું સસ્પેન્સ ખતમ… સરકારે લીધો ‘મોટો નિર્ણય’, કરોડો નોકરિયાતોના ખાતા પર થશે સીધી અસર
