Breaking News : સુરતમાં ફૂડ સેફ્ટી વિભાગની તવાઈ, 280 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ હાથ ધરી, 1413 કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરાયો
હોટલ અને રેસ્ટોરન્ટોમાં ખાદ્ય સુરક્ષાને લઈને સતત ત્રીજા દિવસે સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી હોટલ અને રેસ્ટોરન્ટોમાં તપાસ દરમિયાન અનેક સ્થળોએ ખાદ્ય સામગ્રીના જથ્થા અને સ્વચ્છતાની ચકાસણી કરવામાં આવી હતી
સુરતમાં ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા હોટલ અને રેસ્ટોરન્ટોમાં ખાદ્ય સુરક્ષાને લઈને સતત ત્રીજા દિવસે સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી હોટલ અને રેસ્ટોરન્ટોમાં તપાસ દરમિયાન અનેક સ્થળોએ ખાદ્ય સામગ્રીના જથ્થા અને સ્વચ્છતાની ચકાસણી કરવામાં આવી હતી.
280 હોટલ અને રેસ્ટોરન્ટો તપાસ હાથ ધરવામાં આવી
ફૂડ સેફ્ટી વિભાગની ટીમે અત્યાર સુધીમાં 280 હોટલ અને રેસ્ટોરન્ટોમાં તપાસ હાથ ધરી છે. તપાસ દરમિયાન મળી આવેલા 1,413 કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવ્યો છે.
148 હોટલ અને રેસ્ટોરન્ટને નોટિસ
તપાસ દરમિયાન નિયમોનું પાલન ન કરતી 148 હોટલ અને રેસ્ટોરન્ટોને નોટિસ આપવામાં આવી છે. જ્યારે ગંભીર બેદરકારી સામે આવેલી 14 હોટલ અને રેસ્ટોરન્ટોને તાત્કાલિક બંધ કરાવવામાં આવી છે. આ ઉપરાંત, નિયમોના ભંગ બદલ ફૂડ સેફ્ટી વિભાગે સ્થળ પર જ કાર્યવાહી કરીને કુલ રૂ. 4.99 લાખનો દંડ વસૂલ્યો છે.
4.99 લાખનો દંડ વસૂલ્યો
ફૂડ સેફ્ટી વિભાગની આ કાર્યવાહીનો મુખ્ય હેતુ નાગરિકોને સુરક્ષિત અને ગુણવત્તાયુક્ત ખાદ્ય સામગ્રી મળી રહે તે સુનિશ્ચિત કરવાનો છે. આગામી દિવસોમાં પણ હોટલ અને રેસ્ટોરન્ટોમાં તપાસની કામગીરી યથાવત્ રહે તેવી શક્યતા છે.
