EPF કે શેરબજાર ? રિટાયરમેન્ટ ફંડ માટે કયો વિકલ્પ તમારા માટે સૌથી વધુ ફાયદાકારક?
નિવૃત્તિ માટે બચાવેલા નાણાં સુરક્ષિત EPF માં રાખવા કે શેરબજારમાં રોકાણ કરવું? આ સવાલ દરેક પગારદાર કર્મચારીને મૂંઝવતો હોય છે. એવામાં ભવિષ્યની સુરક્ષા અને સારા વળતર વચ્ચે યોગ્ય પસંદગી કરવી ખૂબ જરૂરી બની જાય છે.

ઘણા સેલેરીડ લોકો એ વાતને લઈને મૂંઝવણમાં હોય છે કે, નિવૃત્તિ (રીટાયરમેન્ટ) માટે પૈસા EPF માં રહેવા દેવા જોઈએ કે શેરબજારમાં રોકાણ કરવું જોઈએ? આમ તો, બંને એસેટથી પૈસા વધારવામાં મદદ મળી શકે છે પરંતુ બંનેની પદ્ધતિ અને જોખમ અલગ-અલગ છે. EPF ને રિટાયરમેન્ટ માટે સુરક્ષિત ફંડ બનાવવાનું સાધન ગણવામાં આવે છે, જ્યારે શેરબજારમાં વળતર (રિટર્ન) બજારના પ્રદર્શન પર આધાર રાખે છે.

EPFO એ પોતાના સત્તાવાર યુટ્યુબ ચેનલ પર EPF અને શેરબજાર વચ્ચેનો તફાવત જણાવ્યો છે. એવામાં જે સંસ્થાઓ પર EPF એક્ટ લાગુ થાય છે અને જ્યાં 15,000 રૂપિયાની પગાર મર્યાદા લાગુ છે, ત્યાં કર્મચારીઓ માટે EPF એકાઉન્ટ હોવું જરૂરી છે. EPF માંથી નાણાં નક્કી કરેલા હેતુઓ માટે જ ઉપાડી શકાય છે. બીજીબાજુ, શેરબજારમાં રોકાણ કરવું પૂરેપૂરું રોકાણકારની ઇચ્છા પર આધાર રાખે છે અને રોકાણકાર પોતાની જરૂરિયાત મુજબ રકમ ઉપાડી શકે છે.

EPF ની એક ખાસ વાત એ છે કે, તેમાં કર્મચારી અને નિયોક્તા (એમ્પ્લોયર) બંને યોગદાન આપે છે. ટૂંકમાં, કર્મચારીના યોગદાનની સાથે કંપની તરફથી પણ નક્કી કરેલું યોગદાન મળે છે. આનાથી વિપરીત, શેરબજારમાં રોકાણ સંપૂર્ણપણે રોકાણકારના પોતાના નાણાંથી થાય છે. શેરબજારમાં રોકાણ કરનારને એમ્પ્લોયર તરફથી કોઈ ફરજિયાત વધારાનું યોગદાન મળતું નથી. EPF માં દર મહિને યોગદાન આપવું જરૂરી હોય છે. આનાથી કર્મચારીઓમાં નિયમિત બચત કરવાની ટેવ પડે છે. EPFO અનુસાર, EPF ખાતાધારકોને સરકાર દ્વારા જાહેર કરાયેલા વ્યાજ દરના આધારે વ્યાજ મળે છે.

બીજી તરફ, શેરબજારમાં વધુ વળતર મળવાની શક્યતા હોઈ શકે છે પરંતુ તેમાં જોખમ પણ વધુ છે. તેનું વળતર બજારના પ્રદર્શન પર આધારિત હોય છે. EPFO અનુસાર, EPF માં યોગદાન, વ્યાજ અને ઉપાડ ટેક્સ ફ્રી (કરમુક્ત) છે. જો કે, શેર વેચીને નફો કમાવવા પર કેપિટલ ગેઇન ટેક્સ લાગુ થાય છે. EPF સાથે જોડાયેલા કર્મચારીઓને પેન્શન અને વીમા સાથે જોડાયેલા લાભો પણ મળે છે. પાત્ર કર્મચારીઓ EPS હેઠળ પેન્શનનો લાભ લઈ શકે છે. આ સિવાય EDLI હેઠળ લાગુ નિયમો મુજબ વીમાનો લાભ પણ મળે છે.

EPFO નું સંચાલન અને નિયમન કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવે છે. EPF લાંબાગાળે સ્થિર અને સુરક્ષિત ફંડ તૈયાર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. બીજી તરફ, શેરબજારમાં વળતર નિશ્ચિત હોતું નથી અને તેમાં બજારનું જોખમ રહેલું હોય છે. EPFO અનુસાર, EPF નો મુખ્ય હેતુ સામાજિક સુરક્ષા અને ભવિષ્ય માટે નાણાકીય સ્થિરતા આપવાનો છે. આ બધા વચ્ચે શેરબજારમાં રોકાણ એ જોખમ લેવાની ક્ષમતા પર આધારિત હોય છે. આવી સ્થિતિમાં, બંને વિકલ્પો વચ્ચેનો તફાવત તેમના વળતર કરતાં તેમના હેતુ અને જોખમના સ્તરમાં વધુ છે.
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં, સોના-ચાંદીમાં, મ્યુચ્યુઅલ ફંડમાં અને IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. બજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.
Gold ETF અને Gold Fund માં ફરી કરી શકાશે ‘રોકાણ’, દેશના 4 અગ્રણી મ્યુચ્યુઅલ ફંડ હાઉસનો ‘મોટો નિર્ણય’
