Breaking News: દ્વારકામાં TV9ના અહેવાલ બાદ તંત્ર જાગ્યું… રેલવે-ખાનગી જમીનનો વિવાદ પૂરો, 700 પરિવારોને મળશે નળથી પાણી – જુઓ Video
TV9 ગુજરાતીના અહેવાલ બાદ દેવભૂમિ દ્વારકાના ખંભાળિયાના ધરમપુર ગામે પીવાના પાણીની સમસ્યાનો ઉકેલ આવ્યો છે. રેલવે અને ખાનગી જમીન માલિક સાથેના વિવાદને કારણે અટકેલું પાઇપલાઇનનું કામ ફરી શરૂ થયું છે. આંતરિક અને મુખ્ય પાઇપલાઇન વચ્ચેનું જોડાણ પૂર્ણ થતાં બેડિયાવાડી અને ખવાસવાડીના 600 થી 700 પરિવારોને નળ દ્વારા પાણી મળશે.
દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા તાલુકાના ધરમપુર ગામે લાંબા સમયથી ચાલી રહેલી પીવાના પાણીની સમસ્યાનો આખરે સુખદ અંત આવ્યો છે. TV9 ગુજરાતી દ્વારા પ્રસારિત થયેલા અહેવાલની ધારદાર અસર જોવા મળી છે, જેના પગલે ગામમાં પાઇપલાઇન નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
ધરમપુર ગામના બેડિયાવાડી અને ખવાસવાડી વિસ્તારના આશરે 600 થી 700 પરિવારો દાયકાઓથી નળના પાણીથી વંચિત હતા. આ વિસ્તારોમાં આંતરિક પાઇપલાઇન તો હતી પરંતુ મુખ્ય પાઇપલાઇન સાથે માત્ર 100 ફૂટના અંતરે જોડાણ નહોતું. આ 100 ફૂટના નાના અંતરમાં રેલવે તેમજ ખાનગી વ્યક્તિની જમીન આવતી હોવાથી પાઇપલાઇન નાખવાનું કામ અટકી પડ્યું હતું, જેના કારણે પાણી લોકો સુધી પહોંચી શકતું નહોતું.
TV9 ગુજરાતીએ ગ્રામજનોની આ સમસ્યાને ઉજાગર કરતો અહેવાલ રજૂ કર્યો હતો. આ અહેવાલ બાદ તંત્ર સજાગ બન્યું અને ગામના સરપંચ રાકેશભાઈ તથા સ્થાનિક આગેવાનોએ સક્રિય ભૂમિકા ભજવી. તેમણે રેલવે અધિકારીઓ અને ખાનગી જમીન માલિક સાથે સફળતાપૂર્વક સંકલન કર્યું અને પાઇપલાઇન નાખવા માટેની જરૂરી મંજૂરી મેળવી.
હાલમાં, ધરમપુર ગામે પાઇપલાઇન નાખવાની કામગીરી ઝડપથી ચાલી રહી છે. અંદાજે 700 ફૂટ જેટલી પાઇપલાઇન નાખવામાં આવી છે અને બાકીનું કામ આગામી બે-ત્રણ દિવસમાં પૂર્ણ થવાની શક્યતા છે. આ કામગીરી પૂર્ણ થતાં જ બેડિયાવાડી અને ખવાસવાડી વિસ્તારના આશરે 500 થી 700 પરિવારોને વર્ષો બાદ નળ દ્વારા શુદ્ધ પીવાનું પાણી મળી રહેશે. ગ્રામજનોએ TV9 ગુજરાતીનો આભાર વ્યક્ત કર્યો છે કે, જેમણે તેમની વેદના સાંભળી અને તંત્રને સજાગ બનાવ્યું.

