Monsoon Car Tips: વરસાદી સિઝનમાં સુરક્ષિત ડ્રાઇવિંગ માટે ટાયર પ્રેશર કેમ છે સૌથી મહત્વનું? જાણો કારણ
વરસાદી સિઝનમાં સુરક્ષિત ડ્રાઇવિંગ માટે ટાયર પ્રેશર કેમ છે સૌથી મહત્વનું? જાણો કારણ

ચોમાસાની શરૂઆત થતાં જ રસ્તાઓ ભીના અને લપસણા બની જાય છે. આવી સ્થિતિમાં કાર ચલાવતી વખતે ખાસ સાવચેતી રાખવી જરૂરી બને છે. મોટાભાગના લોકો વરસાદમાં નીકળતા પહેલા વાઇપર, હેડલાઇટ અથવા બ્રેકની તપાસ તો કરે છે, પરંતુ ટાયર પ્રેશર પર ધ્યાન આપવાનું ઘણીવાર ભૂલી જાય છે. હકીકતમાં, ટાયરનું યોગ્ય પ્રેશર જ કારને રસ્તા પર મજબૂત પકડ આપે છે અને અકસ્માતની સંભાવના ઘટાડે છે.

જો કારના ટાયરમાં હવાની માત્રા ભલામણ કરતાં ઓછી હોય તો ટાયરનો રસ્તા સાથેનો સંપર્ક અસમાન બને છે. તેના કારણે સ્ટિયરિંગ ભારે લાગે છે, બ્રેક લગાવતી વખતે કારને રોકવામાં વધુ સમય લાગે છે અને ટાયર ઝડપથી ઘસાવા લાગે છે.

બીજી તરફ, ટાયરમાં જરૂર કરતાં વધુ હવા ભરેલી હોય તો ટાયરનો રસ્તા સાથેનો સંપર્ક ઓછો થઈ જાય છે, જેના કારણે વરસાદમાં કાર સરળતાથી લપસી શકે છે.

વરસાદ દરમિયાન ઘણી જગ્યાએ રસ્તા પર પાણી ભરાઈ જાય છે. આવી સ્થિતિમાં વધુ ઝડપે કાર ચલાવવાથી ટાયર અને રસ્તા વચ્ચેનો સંપર્ક અસમાન બની જાયે છે, જેને કારણે કાર પરનો કંટ્રોલ ગુમાવવાનો ખતરો રહે છે. જો ટાયર પ્રેશર યોગ્ય હોય અને ટાયરની ગ્રિપ સારી હોય તો આ જોખમને ઘણી હદ સુધી ઘટાડી શકાય છે.

કાર ઉત્પાદકો દરેક મોડલ માટે નિર્ધારિત ટાયર પ્રેશરની ભલામણ કરે છે. આ માહિતી સામાન્ય રીતે ડ્રાઇવર સાઇડના દરવાજાની અંદર, ફ્યુઅલ લિડ અથવા વાહનની યુઝર મેન્યુઅલમાં આપવામાં આવેલી હોય છે. લાંબી મુસાફરી પર નીકળતા પહેલા અથવા અઠવાડિયામાં એકવાર ટાયર પ્રેશર ચેક કરાવવાની આદત સુરક્ષાની દૃષ્ટિએ ખૂબ ઉપયોગી સાબિત થાય છે.

ટાયર પ્રેશર ઉપરાંત ટાયરની ટ્રેડ ડેપ્થ પણ તપાસવી જરૂરી છે. જો ટાયરની ગ્રિપ ઓછી થઈ ગઈ હોય તો વરસાદી રસ્તા પર બ્રેકિંગનું અંતર વધી શકે છે અને સ્કિડિંગની શક્યતા વધી જાય છે. જરૂર પડે તો સમયસર ટાયર બદલવા જોઈએ.

ચોમાસામાં સુરક્ષિત ડ્રાઇવિંગ માટે કેટલીક સરળ બાબતોનું પાલન કરવું પણ જરૂરી છે. વરસાદમાં અચાનક બ્રેક મારવાનું ટાળો, આગળના વાહનથી પૂરતું અંતર જાળવો, વધુ ઝડપે વાહન ન ચલાવો અને પાણી ભરાયેલા રસ્તા પર સાવધાનીપૂર્વક આગળ વધો.

માત્ર બે મિનિટનો ટાયર પ્રેશર ચેક તમને મોટી મુશ્કેલી, મોંઘા રિપેરિંગ ખર્ચ અને અકસ્માતના જોખમથી બચાવી શકે છે. તેથી વરસાદી મોસમમાં કાર સ્ટાર્ટ કરતા પહેલા ટાયરની સ્થિતિ અને પ્રેશરની તપાસને તમારી નિયમિત આદત બનાવો. (All Image Credit Source: Social Media)
આ પણ વાંચો: સવાર કે સાંજ? દીવો પ્રગટાવવાનો યોગ્ય સમય જાણો,ઘરમાં વધશે સકારાત્મકતા
