Gir Somnath: આંધી અને પવન સાથે આવેલા વરસાદમાં આંબાઓ થયા જમીનદોસ્ત, કાચી કેરીઓ ખરી જતા ખેડૂતોને વ્યાપક નુકસાન
Gir Somnath: ગીર સોમનાથમાં આંધી અને પવન સાથે આવેલા વરસાદને કારણે આંબાના બગીચાઓમાં અનેક આંબાઓ જમીનદોસ્ત થયા છે. અનેક વૃક્ષો તેમજ થાંભલાને ભોંય ભેગા કરી દીધા છે. મોટાભાગની કેરીઓ ખરી પડતા ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.

ગીરસોમનાથના ખેડૂતો પર છેલ્લા પાંચ-છ વર્ષથી કુદરતી ગ્રહણ લાગ્યુ છે. કુદરતી આફતોને કારણે કેરીના પાકને ભારે નુકસાન પહોંચ્યુ છે.

જિલ્લાના તાલાલા ગીરના હરીપુર, આંકોલવાડી, સુરવા, ધાવા, મોરૂકા, હડમતીયા સહિતના ગામોમાં પવન સાથે આવેલા ભારે વરસાદને કારણે અનેક આંબા ઢળી પડ્યા છે. કેટલાક તૂટી ગયા છે.

આંધી સાથે આવેલા વરસાદમાં આંબા પરથી મોટાભાગની કેરીઓ ખરી પડી છે. આ કેરીઓને ખેડૂતો ન તો વેચી શકે છે ન તો પાકી શકે છે. એકાદ દિવસમાં તે બગડી જાય છે જેના કારણે ખેડૂતોને અનેકગણુ નુકસાન થયુ છે.

ભારે પવન અને વરસાદને કારણે અનેક આંબાના વૃક્ષો અને વીજ થાંભલાઓને ભોંય ભેગા કરી દીધા છે. જ્યારે કેરીઓ લેવાનો સમય હતો ત્યારે જ આખરી સમયે આંબામાંથી કેરીઓ ખરી પડી છે.

ખેડૂતો કેરીના બગીચાઓ લાખો રૂપિયાથી ઈજારદારોને આપી નિશ્ચિત બની જાય છે ત્યારે આ નુકસાની ખરા અર્થમાં ઈજારદારોને જ હોય છે. આથી સરકાર દ્વારા બગીચાના માલિક ખેડૂતોને નહીં પરંતુ ઈજારદારોને જ યોગ્ય સહાય ચુકવાય તો તેઓ આજીવિકા ચલાવી શકશે

તોફાન સાથે આવેલા વરસાદે સમગ્ર ગીર પંથકમાં કેસર કેરીને કરોડો રૂપિયાનુ નુકસાન પહોંચાડ્યુ છે. જ્યારે અન્ય પાકો તો અલગથી નુકસાન પામ્યા છે.બાગાયતી ખેડૂતો અને કેરીની ઈજારદારોને વ્યાપક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.

હાલ સરકાર દ્વારા કમોસમી વરસાદને પગલે થયેલા નુકસાન પેટે સહાય પેકેજની જાહેરાત કરાઈ છે ત્યારે આંબાવાડિયા ધરાવતા બાગાયતી ખેડૂતો પણ સરકાર તરફ સહાયની મીટ માંડીને બેઠા છે. ઈનપુટ ક્રેડિટ- યોગેશ જોષી-ગીરસોમનાથ