Diwali : ગુજરાતનું અક્ષરધામ મંદિર ઝગમગ્યું, 10,000 દીવડાઓનો ભવ્ય પ્રકાશ ઉત્સવની તૈયારી, જુઓ Photos
ગાંધીનગર સ્થિત સ્વામિનારાયણ અક્ષરધામ મંદિર આ વર્ષે ભવ્ય દીપાવલી દીપોત્સવ ઉજવી રહ્યું છે. 20-26 ઓક્ટોબર દરમિયાન 10,000 થી વધુ દીવડાઓ અને અદભુત રોશની સાથે શ્રદ્ધાળુઓ અવિસ્મરણીય આધ્યાત્મિક અનુભવ મેળવશે.

ગાંધીનગર સ્થિત સ્વામિનારાયણ અક્ષરધામ મંદિર આ વર્ષે પણ પ્રકાશના પર્વ દીપાવલીની ભવ્ય ઉજવણી માટે તેયાર છે. સોમવાર, તા. 20 ઓક્ટોબરથી રવિવાર, તા. 26 ઓક્ટોબર સુધી ચાલી રહેલી આ ઉજવણીમાં શ્રદ્ધાળુઓને અવિસ્મરણીય દિવ્ય અનુભવ થશે.

સંસ્કૃતિના આ પવિત્ર સ્થળે સતત 33 વર્ષથી 10,000 થી વધુ દીવડાઓ પ્રગટાવી દીપાવલીનો સંદેશ જનમાનસમાં ઉતારવામાં આવે છે. આ દ્રશ્ય અદભુત લાગે છે. મંદિરના પરિસર, પ્રાંગણ અને ગુંબજો પર પ્રકાશના હાર પહેરાવ્યા હોય તેવી લાગણી થાય છે. .

સંધ્યા સમયે આખું અક્ષરધામ પરિસર દેદીપ્યમાન બની જાય છે. હરિયાળા બગીચાઓને પ્રકાશથી ઝળહળાવતું ‘ગ્લો ગાર્ડન’ દર્શકોને નયનરમ્ય લાગે છે. ‘નીલકંઠ વાટિકા’માં રોશની, સંગીત અને રંગીન લાઈટોનું સંયોજન એક અનોખી આધ્યાત્મિક મઝા આપે છે.

108 ગૌમુખમાંથી વહેતી જલધારાઓ વચ્ચે ઊભેલી 49 ફૂટ ઊંચી તપોમૂર્તિ નીલકંઠ વર્ણીની મૂર્તિ આ પર્વનું મુખ્ય આકર્ષણ છે. જળપ્રવાહની મધુર ધ્વનિ અને રાત્રિના પ્રકાશથી ઝળહળતી મૂર્તિ દર્શનાર્થીઓને “સત્યમ્ – શિવમ્ – સુંદરમ્”ની અનુભૂતિ કરાવે છે. આ ક્ષણોમાં એક દિવ્ય શાંતિ છવાય છે.

બૃહદારણ્યક ઉપનિષદના “તમસો મા જ્યોતિર્ગમય” મંત્રની ભાવના આ આખી ઉજવણીમાં પ્રગટ થાય છે. અક્ષરધામનું આ દીપોત્સવ માત્ર દૃશ્યમાત્ર આનંદ નથી, પરંતુ આંતરિક જ્ઞાન, ભક્તિ અને પ્રકાશ તરફનો એક સંદેશ છે. અહીં આવનારા દરેક ભક્ત માટે દીપાવલી માત્ર તહેવાર નહીં, પરંતુ આત્મજ્યોતિનો અનુભવ બની રહે છે.
