રથયાત્રા પૂર્વે સપ્તરંગી રોશનીથી જળહળી ઉઠ્યુ જગન્નાથજીનું મંદિર, વ્હાલાને વધાવવાની તૈયારીઓનો થનગનાટ- Photos
ભગવાન જગન્નાથજીની રથયાત્રાને આડે બસ હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે અમદાવાદમાં જમાલપુર સ્થિત ભગવાન જગન્નાથજીના મંદિરને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યુ છે. વ્હાલાની રથયાત્રા પહેલા ભાવિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

જગન્નાથજીની રથયાત્રા પહેલાની તૈયારીઓના ભાગરૂપે મંદિરને શણગારવામાં આવી રહ્યુ છે. વિવિધ રંગી રોશનીનો શણગાર કરાતા હાલ મંદિર દીપી ઉઠ્યુ છે.

જગન્નાથ મંદિરે રથયાત્રા ની તૈયારી ને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. જેમ ભગવાનને સુંદર કલાત્મક વાઘાઓથી શણગારવામાં આવે છે, તેવી જ રીતે જગન્નાથ મંદિરને પણ કલરફુલ રોશનીથી શણગારવામાં આવ્યું છે.

મંદિરના પ્રાંગણમાં દિવાલોને રોશની થી મઢી દેવામાં આવી છે. તેની સાથે ગૌમાતા અને વાછરડાની આકૃતિ લાઈટથી પણ ઉપસાવવામાં આવી છે.

મંદિરની મુખ્ય દિવાલ ઉપર કલરફુલ રોશની થી જય રણછોડ માખણ ચોર અને 148 મી રથયાત્રામાં સૌને આવકારતો સંદેશ પણ મૂકવામાં આવ્યો છે.

મુખ્ય મંદિરના ઘુમ્મટ ઉપર પણ કલરફુલ રોશની કરવામાં આવી છે. જેમાં ધ્વજ દંડની બાજુમાં ડિઝાઇનર રોશની અને ભગવાનના મુખની નયન રમ્ય પ્રતિકૃતિ રાખવામાં આવી છે.

જેમ ભગવાનને સુંદર કલાત્મક વાઘાઓથી શણગારવામાં આવે છે તેવી જ રીતે જગન્નાથ મંદિરને પણ કલરફુલ રોશની થી શણગારવામાં આવ્યું છે. ભગવાનનું લાખેણું મામેરુ પણ ભક્તોના દર્શન માટે રાખવામાં આવ્યું છે.

રથયાત્રા પહેલા ભગવાન જગન્નાથ મોસાળમાં જાય છે. હાલ ભગવાન મોસાળમાં ગયેલા છે. આથી મંદિરમાં અત્યારે ભગવાનની મૂર્તિના સ્થાને ભગવાનની પ્રતિકૃતિ સમા સુંદર ફોટાઓ મૂકવામાં આવ્યા છે.